Gujarati News

Gujarati News

News of Thursday, 30th September 2021

દિલ્‍હી - મુંબઇ ગ્રીન એક્‍સપ્રેસ વે ગુજરાતના વિકાસને નવી ચેતના આપશે

અંદાજે રૂ. ૯૮ હજાર કરોડના ખર્ચે તૈયાર થતો આ ૧,૩૮૦ કિલોમીટર લાંબો દિલ્‍હી-મુંબઈ એક્‍સપ્રેસ વે ભારતનો સૌથી લાંબો એક્‍સપ્રેસ વે હશે : આ એક્‍સપ્રેસ વે દેશની રાષ્ટ્રીય રાજધાની દિલ્‍હી અને આર્થિક રાજધાની મુંબઈને જોડશે : ગુજરાતમાં ૪૨૩ કિલોમીટરના એક્‍સપ્રેસ વે નું રૂ. ૩૫ હજાર કરોડથી વધુના ખર્ચે નિર્માણ થઈ રહ્યું છે : ગુજરાતમાં ૬૦ મોટા પુલ, ૧૭ ઇન્‍ટરચેન્‍જ, ૧૭ ફલાયઓવર અને ૮ આર.ઓ.બી.નું થશે નિર્માણ : ભરૂચ નજીક નર્મદા નદી પર એક્‍સપ્રેસ વે પર બાંધવામાં આવતો આઈકોનિક બ્રિજ ભારતનો પ્રથમ આઠ લેન પુલ હશે : મુસાફરી માટે વિશ્વસ્‍તરીય સુવિધાઓ પૂરી પાડવા માટે ગુજરાતમાં ૩૩ રોડસાઇડ સુવિધાઓનું આયોજન : નવા એક્‍સપ્રેસ-વે થી દિલ્‍હી અને મુંબઈ વચ્‍ચેનો મુસાફરીનો સમય લગભગ ૨૪ કલાકથી ઘટીને ૧૨ કલાક થવાની ધારણા : ૩૨૦ મિલિયન લિટરથી વધુ વાર્ષિક બળતણની બચત થશે : ૮૫૦ મિલિયન કિલોગ્રામ કાર્બન ડાયોક્‍સાઇડ (CO2) ઉત્‍સર્જનમાં ઘટાડો થશે, જે ૪૦ મિલિયન વૃક્ષો વાવવા સમાન છે : પર્યાવરણીય સુરક્ષા માટે હાઇવે પર ૪૦ લાખથી વધુ વૃક્ષો અને ઝાડીઓ રોપવાની યોજના છે

રાજકોટ તા. ૩૦ : કોઈપણ રાજય કે રાષ્ટ્રના વિકાસ માટે માર્ગો એ કરોડરજ્જુ સમાન હોય છે. કેન્‍દ્ર સરકાર દ્વારા ભારતમાલા પ્રોજેક્‍ટ હેઠળ સમગ્ર દેશમાં માર્ગોનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે જે નવા ભારતના નિર્માણમાં ધોરીનસ સમાન પુરવાર થશે.
આજે આપણે વાત કરીશું ગુજરાત સહિત પાંચ રાજયોમાંથી પસાર થતા દિલ્‍હી-મુંબઈ ગ્રીન ફિલ્‍ડ એક્‍સપ્રેસ વે ની (DME). નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્‍ડિયા દ્વારા અંદાજે રૂ. ૯૮ હજાર કરોડના ખર્ચે તૈયાર થઇ રહેલો આ ૧,૩૮૦ કિલોમીટર લાંબો દિલ્‍હી-મુંબઈ એક્‍સપ્રેસ વે ભારતનો સૌથી લાંબો એક્‍સપ્રેસ વે હશે. આ એક્‍સપ્રેસ વે દેશની રાષ્ટ્રીય રાજધાની દિલ્‍હી અને આર્થિક રાજધાની મુંબઈને જોડશે.ᅠ
આ ઉપરાંત હરિયાણા, રાજસ્‍થાન, મધ્‍યપ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્ર સહિત પાંચ રાજયોમાંથી પસાર થતા આ એક્‍સપ્રેસ વેમાં જયપુર, કિશનગઢ,અજમેર, કોટા, ચિત્તોડગઢ, ઉદયપુર, ભોપાલ, ઉજ્જૈન, ઇન્‍દોર, અમદાવાદ, વડોદરા, સુરત શહેરની આર્થિક પ્રવૃત્તિઓ સાથે લાખો લોકો માટે આર્થિક સમૃદ્ધિ લાવશે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના દ્રષ્ટિવંત નેતૃત્‍વમાં ન્‍યૂ ઇન્‍ડિયાની સંકલ્‍પના કરવામાં આવી છે. દિલ્‍હી-મુંબઈ એક્‍સપ્રેસ-વે ના કામની શરૂઆત માર્ચ-૨૦૧૯ માં કરવામાં આવી હતી. ૧,૩૮૦ કિલોમીટરમાંથી ૧,૨૦૦ કિલોમીટરથી વધુ માટે કોન્‍ટ્રાક્‍ટ આપવામાં આવ્‍યા છે અને કામો પ્રગતિમાં છે.
તેની અગત્‍યની કડી રૂપે ગુજરાતમાં ૪૨૩ કિલોમીટરનો એક્‍સપ્રેસ વે કુલ રૂ. ૩૫,૧૦૦ કરોડથી વધુના ખર્ચે બનાવવામાં આવી રહ્યો છે, જેમાંથી ૩૯૦ કિમીના કોન્‍ટ્રાક્‍ટ આપવામાં આવ્‍યા છે અને બાકીનું પેકેજ ટૂંક સમયમાં આપવામાં આવશે.ᅠ
ગુજરાત દેશનું મોટું આર્થિક કેન્‍દ્ર છે. દાહોદ, લીમખેડા, પંચમહાલ, વડોદરા, ભરૂચ, સુરત અને વલસાડ સહિત અન્‍ય શહેરોને કનેક્‍ટિવિટી પૂરી પાડવા માટે રાજયભરમાં અનેક ઇન્‍ટરચેન્‍જની યોજના છે. આ એક્‍સપ્રેસ વે વડોદરા-અમદાવાદ એક્‍સપ્રેસ વે દ્વારા રાજયની રાજધાની સાથે પણ જોડાશે.
ગુજરાતમાં ૬૦ મોટા પુલ, ૧૭ ઇન્‍ટરચેન્‍જ, ૧૭ ફલાયઓવર અને ૮ આર. ઓ.બીનું નિર્માણ કરવામાં આવનાર છે.ᅠ
ગુજરાત રાજયમાં આ કોરિડોરની મુખ્‍ય વિશેષતા એ છે કે દિલ્‍હી-વડોદરા વિભાગમાં ટકાઉ ડિઝાઇન સાથે આયોજિત નવીન પેવમેન્‍ટ ડિઝાઇન અને એક્‍સપ્રેસ-વે ને ટકાઉ બનાવવા માટે આબોહવાની પરિસ્‍થિતિઓના આધારે વડોદરા-મુંબઈ વિભાગ માટે કોંક્રિટ પેવમેન્‍ટ ડિઝાઇન કરવામાં આવી છે.
બે કિ.મી લાંબો એક્‍સ્‍ટ્રાડોઝ કેબલ સ્‍પાન બ્રિજ, ભરૂચ નજીક નર્મદા નદી પર એક આઇકોનિક બ્રિજ એક્‍સપ્રેસ વે પર બાંધવામાં આવતો ભારતનો પ્રથમ ૮ -લેન પુલ હશે. ભરૂચ શહેર નજીક આઇકોનિક ઇન્‍ટરચેન્‍જ સાથે દેશમાં એક્‍સપ્રેસ -વે વિકાસની ઓળખને નવી ગતિ આપશે.
રાજયમાં રોજગારીની તકો ઊભી કરવા તેમજ મુસાફરી માટે વિશ્વસ્‍તરીય સુવિધાઓ પૂરી પાડવા માટે ગુજરાતમાં ૩૩ રોડસાઇડ સુવિધાઓ (WSAs)નું આયોજન કરવામાં આવી રહ્યું છે.
સમગ્ર એક્‍સપ્રેસ-વેનો એક મોટો વિભાગ, વડોદરા-અંકલેશ્વરનો ૧૦૦ કિલોમીટરનો વિસ્‍તાર બાંધકામના અંતિમ તબક્કામાં છે અને માર્ચ ૨૦૨૨ સુધીમાં ટ્રાફિક માટે ખુલ્લો કરવાનો લક્ષ્યાંક છે. માર્ચ ૨૦૨૩ સુધીમાં અંકલેશ્વરથી તલસારી સુધીનો બાકીનો વિભાગ પૂર્ણ કરવાનો લક્ષ્યાંક છે. જેનાથી વડોદરાથી મુંબઈ માત્ર સાડા ત્રણ કલાકમાં પહોંચી જવાશે.
નવા એક્‍સપ્રેસ-વે થી દિલ્‍હી અને મુંબઈ વચ્‍ચેનો મુસાફરીનો સમય લગભગ ૨૪ કલાકથી ઘટીને ૧૨ કલાક થવાની ધારણા છે એટલે ૫૦ ટકા જેટલી સમયની બચત થશે.
આનાથી ૩૨૦ મિલિયન લિટરથી વધુ વાર્ષિક બળતણની બચત થશે અને ૮૫૦ મિલિયન કિલોગ્રામ કાર્બન ડાયોક્‍સાઇડ (CO2) ઉત્‍સર્જનમાં ઘટાડો થશે. જે ૪૦ મિલિયન વૃક્ષો વાવવા સમાન છે.
નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્‍ડિયા (એનએચએઆઇ) ની પર્યાવરણીય સુરક્ષા પ્રત્‍યેની પ્રતિબદ્ધતાના ભાગરૂપે હાઇવે પર ૪૦ લાખથી વધુ વૃક્ષો અને ઝાડીઓ રોપવાની યોજના છે.
પર્યાવરણીય અને વન્‍યજીવનની અસરને ઘટાડવી એ દિલ્‍હી-મુંબઈ એક્‍સપ્રેસ વે માટે આ પ્રોજેક્‍ટનો પાયાનો આધાર રહ્યો છે. આ એક્‍સપ્રેસ -વે એશિયામાં પહેલો અને વિશ્વનો બીજો છે, જેમાં વન્‍યજીવોની અનિયંત્રિત હિલચાલની સુવિધા માટે પ્રાણી ઓવરપાસ છે. DMEમાં ત્રણ વન્‍યજીવન અને ૭ કિમીની સંયુક્‍ત લંબાઈ સાથે પાંચ ઓવરપાસ હશે અને વન્‍યજીવોની એકીકૃત હિલચાલ માટે સમર્પિત કરવામાં આવશે.ᅠ
એક્‍સપ્રેસ વે માં બે આઇકોનિક આઠ લેન ટનલનો પણ સમાવેશ થશે. પ્રથમ મુકુન્‍દા અભયારણ્‍ય દ્વારા ૪ કિમીના વિસ્‍તારમાં ભયજનક પ્રાણી સૃષ્ટિને જોખમમાં નાખ્‍યા વગર અને બીજી માથેરાન ઇકો સેન્‍સિટિવ એરિયા (MET) માં (ઇકો સેન્‍સિટિવ ઝોન) ૪ કિમી ૮ ખ્‍લેન-ટનલમાંથી પસાર થશે. આ પ્રોજેક્‍ટ દેશના ઇજનેરી કૌશલ્‍યનું ઉત્‍કૃષ્ટ ઉદાહરણ હશે.ᅠ
આ એક્‍સપ્રેસ વેના નિર્માણમાં ૧.૨ મિલિયન ટનથી વધુ સ્‍ટીલનો વપરાશ થશે, જે કલકત્તાના જાણીતા હાવડા બ્રિજ જેવા ૫૦ પૂલો ના નિર્માણ સમાન છે.ᅠ
આ પૂલોના નિર્માણ દરમિયાન ૪૦ મિલિયન ટ્રક ભરાય તેટલી એટલે કે આશરે ૩૫૦ મિલિયન ક્‍યુબિક મીટર માટી ખસેડવામાં આવશે.
DME એ હજારો પ્રશિક્ષિત સિવિલ એન્‍જિનિયરો અને ૫૦ લાખથી વધુ માનવ-દિવસના કામ માટે રોજગારીનું સર્જન કર્યું છે.
આ પ્રોજેક્‍ટમાં ૮ મિલિયન ટન સિમેન્‍ટનો વપરાશ થશે, જે ભારતની વાર્ષિક સિમેન્‍ટ ઉત્‍પાદન ક્ષમતાનો લગભગ બે ટકા છે.ᅠ
દિલ્‍હી-મુંબઈ એક્‍સપ્રેસ -વેનું અન્‍ય એક અનોખું પાસું કોરિડોરમાં વપરાશકર્તાઓની સગવડ અને સલામતી સુધારવા માટે હાઇવે પર ૯૪ સ્‍થળો પર (વે સાઇડ એમેનિટીઝ -WSAs) વિવિધ સુવિધાઓ ઉભી કરવામાં આવશે. એક્‍સપ્રેસ વે પર પેટ્રોલ પંપ, મોટેલ, આરામ વિસ્‍તાર, રેસ્‍ટોરાં અને દુકાનોનો સમાવેશ થશે. તબીબી કટોકટીની સ્‍થિતિમાં કનેક્‍ટિવિટી વધારવા અને લોકોને બહાર કાઢવા માટે આ વે-સાઇડ સુવિધાઓમાં હેલિપેડ પણ હશે.
આ એક્‍સપ્રેસ-વે માં દિલ્‍હી-દૌસા-લાલસોટ વિભાગ જે દિલ્‍હી-જયપુર એક્‍સપ્રેસ-વેનો ભાગ છે અને વડોદરા-અંકલેશ્વર વિભાગ જે વડોદરાને ભરૂચના આર્થિક કેન્‍દ્ર સાથે જોડે છે, માર્ચ ૨૦૨૨ સુધીમાં ટ્રાફિક માટે ખુલવાની અપેક્ષા છે. છે.સમગ્ર એક્‍સપ્રેસ વે માર્ચ ૨૦૨૩ સુધીમાં પૂર્ણ કરવાની યોજના છે. દિલ્‍હીથી વડોદરા વિભાગ માટે ૧૫,૦૦૦ હેક્‍ટર વિસ્‍તાર માટે જમીન સંપાદન કામગીરી એક વર્ષથી ઓછા સમયમાં પૂર્ણ કરવામાં આવી છે.ᅠ
તદુપરાંત એક્‍સપ્રેસવેની બંને બાજુ એટલી ખુલ્લી જગ્‍યા રાખવામાં આવી છે કે ભવિષ્‍યમાં તેને ૧૨ લેન સુધી વધારી શકાય.
હાલના તબક્કે જે ગતિથી કામ ચાલી રહ્યું છે તે જોતાં રાજસ્‍થાનમાંથી ૩૮૦ કિ.મી., મધ્‍ય પ્રદેશમાંથી ૩૭૦ કિ.મી., ગુજરાતમાંથી ૪૨૩ કિ.મી., મહારાષ્ટ્રમાંથી ૧૨૦ કિ.મી. અને હરિયાણામાંથી ૮૦ કિ.મી.માંથી પસાર થનારો ‘ગ્રીન હાઈવે' માર્ચ-૨૦૨૩માં પૂર્ણ કરવાનું નિર્ધારિત કરવામાં આવ્‍યું છે.

 

(1:07 pm IST)