Gujarati News

Gujarati News

News of Thursday, 30th September 2021

‘શાહીન' વાવાઝોડુ ફંટાઇને કચ્‍છના અખાતમાંથી પાકિસ્‍તાનના મકરાન કોસ્‍ટ સુધી પહોંચશેઃ તેમ છતાં સૌરાષ્‍ટ્ર-કચ્‍છ-દિવ-દાદરા નગર હવેલીમાં 60 કિ.મી.ની ઝડપે પવન ફુંકાશે

બીજી ઓક્‍ટોબરે વાવાઝોડુ પોતાની ચરમસીમાએ પહોંચશે

અમદાવાદઃ ગુલાબ વાવાઝોડાની તીવ્રતા વધતી જોવા મળી રહી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, શાહીન વાવાઝોડું ફંટાઈને કચ્છના અખાતમાંથી પાકિસ્તાનના મકરાન કોસ્ટ સુધી પહોંચશે. આમ ગુજરાત પરથી વાવાઝોડાનો ખતરો ઘટી ગયો છે. વાવાઝોડાને કારણે માછીમારોને દરિયામાં ન જવા માટે એલર્ટ કરવામાં આવ્યું છે.આજે વાવાઝોડાને કારણે સૌરાષ્ટ્ર, કચ્છ, દિવ અને દાદરા નગર હવેલીમાં 60 કિ.મીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતાઓ છે.

આજે વાવાઝોડું ડીપ ડિપ્રેશનમાં ફેરવાશે. દરિયાકાંઠાના વિસ્તારોમાં 45થી 70 કિ.મીની ઝડપ સુધીનો પવન ફૂંકાશે. જ્યારે આવતી કાલે પહેલી ઓક્ટોબરે શાહિન ચક્રવાતનું રૂપ ધારણ કરશે. જેથી 100 કિ.મીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતાઓ છે. 2 ઓક્ટોબરે શાહિન પોતાની ચરમસીમા પર પહોંચશે જેથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં 100થી 110 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ શિપ દ્વારા વાવાઝોડાને કારણે દરિયામાં ગયેલા માછીમારોને પરત આવવા આદેશ કર્યો છે. ઓખા અને પોરબંદર સહિત ગુજરાતના કોસ્ટ ગાર્ડ સ્ટેશનોને એલર્ટ કરી દેવામાં આવ્યાં છે. તે ઉપરાંત ગુજરાતના 17 જિલ્લામાં NDRF-SDRFની ટીમ તૈનાત કરી દેવામાં આવી છે, પોરબંદરના પોર્ટ પર 3 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. રાજ્યમાં વરસાદને કારણે મુખ્ય 6 અન્ય 3, પંચાયત હસ્તકના 197 અને એક નેશનલ હાઈવે સહિત કુલ 207 રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંઘ કરી દેવામાં આવ્યાં છે. તે ઉપરાંત રાજ્યના 57 ગામોમાં વરસાદને કારણે વીજ પુરવઠો ખોરવાયો છે.

વરસાદને પગલે રાજ્યમાં NDRFની 20માંથી 17 અને SDRFની 11માંથી 8 ટીમોને ડિપ્લોઇ કરી દેવામાં આવી છે. NDRFની 20 પૈકીની સુરત, વલસાડ, નવસારી, રાજકોટ, ગીરસોમનાથ, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, જામનગર, પાટણ, મોરબી, દ્વારકા, પોરબંદર, ખેડા તથા ગાંધીનગરમાં એક એક ટીમ ડિપ્લોઇ કરવામાં આવી છે. જ્યારે SDRFની 11 પૈકીની રાજકોટ, જૂનાગઢ, જામનગર અને ખેડા ખાતે ડિપ્લોઇ કરવામાં આવી છે.

(5:05 pm IST)