Gujarati News

Gujarati News

News of Thursday, 30th September 2021

પંજાબ કિંગ્સને મોટો ઝટકો :વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેઇલે અધ્ધવચ્ચે ખસી જવાનો નિર્ણય કર્યો

પંજાબ કિંગ્સ IPL 2021 ના પ્લેઓફમાં સ્થાન મેળવવા માટે સંઘર્ષ કરી રહી છે. તેને મોટો આંચકો લાગ્યો છે. ટીમના સુપરસ્ટાર વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેઇલે ટુર્નામેન્ટમાંથી ખસી જવાનો નિર્ણય કર્યો છે શુક્રવારે કોલકાતા નાઈટ રાઈડર્સ સામેની નિર્ણાયક મેચના એક દિવસ પહેલા જ વિન્ડીઝના દિગ્ગજે આ નિર્ણય લીધો છે. ગેઇલે આ નિર્ણયને સતત બાયો-બબલમાં રહેવાથી થતા થાકને જવાબદાર ગણાવ્યો છે.

પંજાબ કિંગ્સ (PBKS) એ ગેઇલ વતી એક નિવેદન બહાર પાડીને આ નિર્ણયની જાણકારી આપી હતી. ગેઈલે આ સિઝનમાં પંજાબ માટે 10 મેચ રમી હતી. અત્યારે પંજાબ તરફથી એ સ્પષ્ટ કરવામાં આવ્યું નથી કે, તેઓ ગેઇલના સ્થાને અન્ય કોઇ ખેલાડીને ટીમમાં સામેલ કરશે કે નહીં.

પંજાબ કિંગ્સે ગુરુવારે 30 સપ્ટેમ્બરની રાત્રે ટ્વિટ કરીને ગેઇલને ટુર્નામેન્ટમાંથી બ્રેક લેવાની માહિતી આપી હતી. પોતાના નિર્ણયનું કારણ સમજાવતા ગેઇલે કહ્યું, હું છેલ્લા કેટલાક મહિનાઓમાં ક્રિકેટ વેસ્ટ ઇન્ડીઝ, કેરેબિયન પ્રીમિયર લીગ અને હવે આઇપીએલના બબલનો ભાગ રહ્યો છું, અને હું મારી જાતને માનસિક રીતે તૈયાર અને તાજગી રાખવા માંગુ છું.

હું દુબઈમાં જ વિરામ લઇ વેસ્ટ ઈન્ડિઝને T20 વર્લ્ડ કપમાં મદદ કરવા પર મારું ધ્યાન કેન્દ્રિત કરવા માંગુ છું. મને આરામ આપવા બદલ હું પંજાબ કિંગ્સનો આભાર માનું છું. મારી પ્રાર્થનાઓ અને આશાઓ હંમેશા ટીમ (પંજાબ કિંગ્સ) સાથે છે. આગામી મેચો માટે શુભેચ્છાઓ.

(12:32 am IST)