Gujarati News

Gujarati News

News of Friday, 31st March 2023

આજ રાતથી દેશના તમામ હાઈવેના ટોલ ટેક્‍સમાં વધારો થશે

ટોલના દરમાં ૩.૫ ટકાથી ૭ ટકાનો વધારો નેશનલ હાઈવે ઓથોરિટીએ જાહેર કર્યોઃ જ્‍યારે ઓછા અંતર માટે ૧૦ ટકા વધારાનો ચાર્જ ચૂકવવો પડશે : દેશભરમાં આજ રાતથી ૧૨ વાગ્‍યે ટોલની નવી કિંમત : લાગુ થઈ જશેઃ ગુજરાતમા પણ ટોલ ટેક્‍સમાં વધારો થશે

નવી દિલ્‍હી, તા.૩૧: દેશભરના એક્‍સપ્રેસ વે અને નેશનલ હાઈવે પર આજે અડધી રાત બાદથી મુસાફરી મુશ્‍કેલ બની જશે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્‍ડિયાએ ટોલના દરમાં ૩.૫ ટકાથી ૭ ટકાનો વધારો જાહેર કર્યો છે. જ્‍યારે ઓછા અંતર માટે ૧૦ ટકા વધારાનો ચાર્જ ચૂકવવો પડશે. આ જાહેરાતથી દેશભરના હાઈવે અને એક્‍સપ્રેસ વે પર ભાવ વધારો ઝીંકાશે. જેનાથી નાગરિકો પર મોંઘવારીનો વધુ એક માર ઝીંકાશે. આ તરફ ગુજરાતમાં પણ હાઈવે અને એક્‍સપ્રેસ વે પર ટોલટેક્‍સમાં વધારો થશે.

આજે અડધી રાતે ૧૨ વાગ્‍યાથી તમામ નેશનલ હાઈવે પર ટોલ ટેક્‍સનો નવો ભાવ લાગુ થઈ જશે. જેનાથી મુસાફરોના ખિસ્‍સા પર મોટી અસર પડશે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્‍ડિયાના પ્રોજેક્‍ટ ડાયરેક્‍ટર અરવિંદ કુમારે કહ્યું કે, દર ફાઈનાન્‍શિયલ વર્ષમાં ટોલ ટેક્‍સ રિવાઈઝ કરવામાં આવે છે. તે મુજબ ભાવ વધારો કરાયો છે.

કેન્‍દ્રના તમામ નેશનલ હાઇવે ઉપર આવેલા ટોલટેક્ષ ઉપર આજે રાત્રીના ૧૨ વાગ્‍યાથી ટોલટેક્ષ ઉપર વધારો કરવામાં આવશે. જેને લઈને સતત વધતી જતી મોંઘવારી વચ્‍ચે સામાન્‍ય માણસોને મોંઘવારીનો વધુ એક ઝાટકો લાગવા જઈ રહ્યો છે. બનાસકાંઠાના નેશનલ હાઇવે નંબર ૨૭ ઉપર આવેલ ટોલ પ્‍લાઝાઓ ઊપરથી પસાર થતાં વાહન ચાલકોની સવારી હવે મોંધી બનશે. રાજસ્‍થાનના કોટાથી ગુજરાતના કંડલા જતા નેશનલ હાઇવે ઉપર બનાસકાંઠામાં ખીમાણા, મૂડેઠા અને ભલગામ એમ ત્રણ ટોલપ્‍લાઝા આવેલા છે. જ્‍યાંથી રોજના નાના મોટા હજારો વાહનો પસાર થાય છે. જોકે આજે મધ્‍યરાત્રીના ૧૨ વાગ્‍યાથી નેશનલ હાઇવે ઉપરના તમામ ટોલપલઝા ઉપર ટોલટેક્ષમાં વધારો કરવામાં આવશે. જેમાં બનાસકાંઠામાં આવતા ખીમાણા, મુડેઠા, ભલગામ ટોળપલઝા ઉપર વાહનોના ટોલટેક્ષમાં ૫ રૂપિયાથી લઈને ૨૦ રૂપિયાનો ભાવ વધારો કરાયો છે. કાર જીપ અને નાના વાહનોના ટોલટેક્ષમાં ૫ રૂપિયા, LCV, LGV અને મિનિબસમાં ૧૦ રૂપિયા તો બસ અને ટ્રકમાં પણ ૧૦ રૂપિયાનો વધારો કરાયો છે. જ્‍યારે ત્રણ એક્‍સલ વાહનોમાં તેમજ ૬ એક્‍સલ વાહનોમાં ૧૫ રૂપિયાનો વધારો અને ૭ એક્‍સલના હેવી વાહનોમાં ૨૦ રુપિયાનો વધારો કરાયો છે. જેને લઈને વાહન ચાલકોમાં ખિસ્‍સામાં વધુ માર પડશે આજ રાત્રિથી વધતા ટોલટેક્ષના ભાવોના કારણે ટ્રાન્‍સપોર્ટ ખર્ચમાં વધારો થશે. તો બીજી બાજુ આ ભાવ વધારાના કારણે વાહન ચાલકોમાં નારાજગી જોવા મળી રહી છે.

રાષ્‍ટ્રીય રાજમાર્ગ શુલ્‍ક નિયમ ૨૦૦૮ મુજબ, શુલ્‍ક દરોમાં દર વર્ષે ૧ એપ્રિલથી સુધારો કરવામાં આવે છે. ટોલ ટેક્‍સમાં વધારો આ દિવસથી લાગુ થતો હોય છે. પ્રાપ્ત જાણકારી મુજબ, NHAI ટોલ ટેક્‍સમાં ૫ થી ૧૦ ટકા સુધીની વધારો કર્યો છે. જેમાં બનાસકાંઠાના નેશનલ હાઇવે ઉપર આવેલ ટોલપ્‍લાઝા ઉપર પહેલા કાર, જીપ,વાન અને LMV વાહનોનો ટોલટેક્ષ ૭૦ રૂપિયા હતો, જે વધીને ૭૫ રૂપિયા થયો છે. તો LCV, LGV અને મિનિબસ જેવા વાહનોનો ટોલટેક્ષ પહેલા ૧૧૦ રૂપિયા હતો જે વધીને ૧૨૦ રૂપિયા થયો છે. આ સિવાય બે એક્‍સલ વાહનો બસ અને ટ્રકનો ટોલટેક્ષ ૨૩૫ રૂપિયા હતો જે વધીને ૨૪૫ રૂપિયા થયો છે. તેમજ ત્રણ એક્‍સલ કોમર્શિયલ વાહનોનો ટોલટેક્ષ ૨૫૫ રૂપિયા હતો, જે વધીને ૨૭૦ રૂપિયા થયો છે. તો HCM EME, અને MAV જેવા ૪ થી ૬ એક્‍સલ વાહનોનો ટોલટેક્ષ પહેલા ૩૭૦ રૂપિયા હતો, જે વધીને ૩૮૫ રૂપિયા થયો છે તો ૭ એક્‍સલવાળા ઓવરસાઈઝડ વાહનોનો ટોલ ૪૫૦ રૂપિયા હતો જે વધીને ૪૭૦ રૂપિયા થયો છે.

(3:25 pm IST)