રાજકોટઃ અત્યંત આનંદની વાત છે કે રાજકોટના આંગણે દેશ-વિદેશના ૧૨૫ સંતો-મહંતો પધારી રહ્યા છે. આ સંતોના દર્શન કરવા અને વિરલ ઘટનાના સાક્ષી બનવા માંગતા સૌ નગરજનોને શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા ૫ મી ફેબ્રુઆરી ના રોજ સાંજના ૭:૧૫ થી ૮:૪૫ સુધી આયોજિત જાહેર સભામાં પધારવા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવે છે.
સ્વામી વિવેકાનંદજીએ વિદેશથી પાછા ફરી ‘શિવજ્ઞાનથી જીવસેવા'ના આદર્શને મૂર્ત સ્વરૂપ આપવા અને ‘આત્મનો મોક્ષાર્થમ્ જગત્ હિતાય ચ'ના મંત્રને ચરિતાર્થ કરવા ૧ મે, ૧૮૯૭ ના રોજ રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી હતી. તેથી ૧ મે, ૨૦૨૨ થી ૧ મે, ૨૦૨૩ સુધી રામકૃષ્ણ મિશનની ૧૨૫ મી જયંતિ સમસ્ત વિશ્વમાં ધામધૂમથી ઉજવાઈ રહી છે. ત્યારે શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા તા. ૫ મી ફેબ્રુઆરી, ૨૦૨૩ ના રોજ જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે. ધર્મસભા નો વિષય છે - ‘રામકૃષ્ણ મિશન - તેનો આદર્શ અને પ્રવૃત્તિઓ'જેમાં ૧૧ વિદ્વાન સંન્યાસીઓ પ્રવચન આપશે.
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા તા. ૧ થી ૮ ફેબ્રુઆરી દરમિયાન ગુજરાત તીર્થયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આ બધા સંતો-મહંતો ભાગ લઈ રહ્યા છે. આ સંતો ૧લી ફેબ્રુઆરીએ અમદાવાદ પહોંચશે. અમદાવાદમાં અક્ષરધામ અને સાબરમતી આશ્રમની મુલાકાત લઈ ૨જી ફેબ્રુઆરીના રોજ વડોદરા પહોંચશે. તા. ૩જી ના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેશે. તા.૪થીના રોજ વડોદરામાં લક્ષ્મી વિલાસ પેલેસ, શ્રી અરવિંદ આશ્રમ તેમજ રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ, વડોદરાની મુલાકાત લેશે. તા.૫મી ના રોજ લીંબડીના ટાવર બંગલાની મુલાકાત લેશે, જેમાં સ્વામી વિવેકાનંદજી લીંબડીના ઠાકોર સાહેબ યશવંતસિંહના અતિથિરૂપે રહ્યા હતા. તેમજ રામકૃષ્ણ મિશન લીંબડીના નવનિર્મિત મંદિરની પણ મુલાકાત લેશે. તા.૫મી ના સાંજે શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા યોજાયેલ ભવ્ય જાહેર સભામાં ભાગ લેશે. તા. ૬ઠ્ઠીના જૂનાગઢમાં ગિરનાર તથા અન્ય સ્થળોના દર્શન કરી તેઓ સોમનાથ જશે. ત્યાં સોમનાથ મહાદેવના દર્શન કરી અન્ય સ્થળોની મુલાકાત પણ લેશે અને ૭મી તારીખે પોરબંદર જવા રવાના થશે. પોરબંદરમાં રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ (જે ભોજેશ્વર બંગલામાં સ્વામી વિવેકાનંદજી ઈ.સ ૧૮૯૧ માં લાંબા સમય સુધી રહ્યા હતા), કીર્તિ મંદિર વગેરેની મુલાકાત લઈ દ્વારકા જવા રવાના થશે. તા. ૮મી ના રોજ દ્વારકાધીશના દર્શન કરી તેઓ રાજકોટ આવશે અને સાંજે મહાત્મા ગાંધી મ્યુઝિયમની મુલાકાત લઈ તીર્થયાત્રાના સમાપન કાર્યક્રમમાં ભાગ લેશે જેમાં કેટલાક સંન્યાસીઓ તીર્થયાત્રાના અનુભવોની વાતો કરશે. આ સમાપન કાર્યક્રમ ૮મી ફેબ્રુઆરીના રોજ સાંજના ૭:૧૫ થી ૮:૪૫ વાગ્યે રહેશે.
સ્વામી વિવેકાનંદજી શિકાગો વિશ્વધર્મ સભામાં ભાગ લેવા માટે અમેરિકા ગયા તે પહેલાં તેમણે સમસ્ત ભારતનું પરિભ્રમણ કર્યું હતું. જેમાં સૌથી વધુ સમય (લગભગ આઠ મહિના) તેમણે ગુજરાતમાં ગાળ્યો, એ ગુજરાતનું ગૌરવ છે. સ્વામીજીને શિકાગોની વિશ્વ ધર્મસભા વિશેની સૌપ્રથમ વખત માહિતી ગુજરાતમાં મળી. અહીંથી જ તેમને સનાતન ધર્મનો પ્રચાર કરવા માટે વિદેશ જવાની પ્રેરણા મળી. જે જ્ઞાનગંગા સ્વામીજીએ વિદેશી ધરતી પર વહેડાવી તેની તૈયારી પણ સ્વામીજીએ અહીં ગુજરાતમાં કરી હતી.
ઈ.સ. ૧૮૯૧ માં સપ્ટેમ્બર મહિનામાં સ્વામી વિવેકાનંદજી અજમેરથી અમદાવાદ આવ્યા. ત્યાં અમદાવાદના સબ જજ શ્રી લાલશંકર ઉમિયાશંકર ત્રવાડીનું આતિથ્ય સ્વીકારી થોડા દિવસો પછી વઢવાણ ગયા. ત્યાં રાણકદેવીના દર્શન કરી લીંબડી પહોંચ્યા. અહીં લીંબડીના ઠાકોર સાહેબ શ્રી યશવંતસિંહજીએ તેમની બુરી મુરાદવાળા તાંત્રિક સાધુઓથી રક્ષા કરી. ત્યાંથી ભાવનગર, જૂનાગઢ, પોરબંદર, દ્વારકા, સોમનાથ, ભુજ, માંડવી, નારાયણ સરોવર, આશાપુરા માતાનો મઢ, પાલીતાણા, નડિયાદ થઈ વડોદરા પહોંચ્યા. ત્યાં તેઓ વડોદરાના દિવાન શ્રી મણીભાઈ જશભાઈના અતિથિરૂપે દિલરામ બંગલોમાં રહ્યા અને ત્યાંથી ૨૬ એપ્રિલ, ૧૮૯૨ ના રોજ મુંબઈ જવા રવાના થયા.
ગુજરાત માટે ગૌરવની વાત છે કે અહીં સ્વામી વિવેકાનંદજીના ત્રણ સ્મૃતિ મંદિરો છે. લીંબડીમાં જે ઐતિહાસિક રાજમહેલમાં સ્વામીજી રહ્યા હતા તે ઠાકોર સાહેબના વંશજોએ ઇ.સ. ૧૯૭૧માં શ્રીરામકૃષ્ણ પ્રાર્થના મંદિરને સ્મૃતિ મંદિર બનાવવા ભેટરૂપે આપી દીધો, જે પછીથી તેઓએ રામકૃષ્ણ મિશનને સોંપી દીધો. જે ઐતિહાસિક ભોજેશ્વર બંગલામાં સ્વામીજી પોરબંદરના એડમિનિસ્ટ્રેટર શ્રી શંકર પાંડુરંગ પંડિતના અતિથિરૂપે લાંબાગાળા સુધી રહ્યા હતા, તે બંગલો ગુજરાત સરકારે રામકૃષ્ણ મિશનને ૩૦ વર્ષની લીઝ પેટે માત્ર એક રૂપિયો ટોકન રેન્ટ પર ૧૨ મી જાન્યુઆરી ૧૯૯૭ ના રોજ સોંપી દીધો. જે ઐતિહાસિક દિલારામ બંગલામાં સ્વામીજી અતિથિ રૂપે રહ્યા હતા તે બંગલો પણ ગુજરાત સરકારે ૩૦ વર્ષની લીઝ પર માત્ર એક રૂપિયા ટોકન રેન્ટ પર રામકૃષ્ણ મિશનને ૧૮ એપ્રિલ, ૨૦૦૫ ના રોજ સોંપી દીધો.
આમ ગુજરાતમાં અત્યારે સ્વામીજીના ત્રણ સ્મૃતિ મંદિરો છે. આ સિવાય થોડા સ્થળો એવા છે જે સ્વામીજીની ચરણરજથી પાવન થયેલ છે. ત્યાં પણ સ્મૃતિ મંદિરો બનાવવાની શક્યતા છે. આથી અમે ગુજરાત સરકારને સ્વામી વિવેકાનંદ ટુરિસ્ટ સર્કિટ પ્રારંભ કરવા વિનંતી કરી છે. તેની પૂર્વ તૈયારીના ભાગરૂપે પ્રાયોગિક ધોરણે રામકૃષ્ણ મિશનના સંન્યાસીઓ માટે આ ગુજરાત તીર્થયાત્રાનું આયોજન થયું હોવાનું જણાવાયું છે.