Gujarati News

Gujarati News

News of Friday, 3rd March 2023

રાજકોટ એકલા રહેતાં જેતપુરના લાખા ડાંગરનું આજીડેમમાં ડૂબી જતાં મોત

હીરાઘસુ યુવાનના છુટાછેડા થઇ ગયા હતાં

રાજકોટ તા. ૩: શહેરના કોઠારીયા રોડ ખોખડદળ નદીના પુલ પાસે વેલનાથપરામાં એકલા રહેતાં મુળ જેતપુરના યુવાનનું આજીડેમમાં ડૂબી જતાં મોત નિપજ્‍યું છે.

જાણવા મળ્‍યા મુજબ રાજકોટ ભાવનગર હાઇવે પર આરકે યુનિવર્સિટીના ગેઇટ નજીક આજીડેમમાં એક યુવાનની લાશ તરતી હોવાની જાણ થતાં કનક રોડ ફાયર બ્રિગેડની ટીમના શામળભાઇ, નિશારભાઇ, મેહુલભાઇ, હરેશભાઇ સહિતની ટીમ પહોંચી હતી અને મૃતદેહ બહાર કાઢી આજીડેમ પોલીસને જાણ કરતાં પોલીસે ઘટના સ્‍થળે પહોંચી કાર્યવાહી કરી હતી.

પોલીસે તપાસ કરતાં મૃતક યુવાન લાખાભાઇ હાજાભાઇ ડાંગર (ઉ.વ.૩૫-રહે. મુળ જેતપુર હાલ રાજકોટ) હોવાનું ખુલ્‍યું હતું. તેના સગાનો સંપર્ક કરતાં જેતપુર રહેતાં કાકાના દિકરાએ આવી મૃતદેહની ઓળખવિધી કરી હતી. તેણે પોલીસને જણાવ્‍યું હતું કે મૃતક લાખાભાઇના અગાઉ છુટાછેડા થઇ ગયા હતાં. તે હીરા ઘસતો હતો અને રાજકોટમાં એકલો જ રહેતો હતો. અવાર-નવાર તે ન્‍હાવા માટે જતો હતો. અકસ્‍માતે ડુબી ગયાની પ્રાથમિક વિગતો સામે આવી હતી. પીએસઆઇ એચ. બી. ગઢવી અને  હરપાલભાઇએ તપાસ યથાવત રાખી છે.

(5:18 pm IST)