Gujarati News

Gujarati News

News of Saturday, 3rd April 2021

રીમડિસીવરના આંકડાઓ સાથે ડ્રગ્ઝ કમિશનનો દાવો

દવા અને ઇન્જેકશન પૂરતા પ્રમાણમાં છે, લોકો ચિંતા ન કરે : ડો. કોશિયા

રાજકોટમાં ૩૫૦૪ ઇન્જેકશન ફાળવાયા : નીતિન પટેલ, જયંતી રવિનું સતત માર્ગદર્શન

રાજકોટ તા. ૩ : ફ્રુડ એન્ડ ડ્રગ કમિશ્નર ડો. એચ.જી.કોશીયાએ ઉમેર્યું કે રાજયના નાયબ મુખ્યમંત્રી શ્રી નિતીનભાઇ પટેલ અને આરોગ્ય વિભાગના અગ્રસચિવ ડો. જયંતિ રવીના સીધા માર્ગદર્શન હેઠળ કોરોના ની સારવાર માટે વપરાતા ઈન્જેકશન તથા દવાઓનો પૂરતો જથ્થો રાજયમા ઉપલબ્ધ થાય એ માટે સતત મોનીટરીગ દરરોજ કરવામાં આવે છે.કોરોનાની સારવાર માટે વપરાતા રેમડેસીવિર ઇન્જેકશનનો પુરતો જથ્થો રાજયમાં ઉપલબ્ધ છે એટલે નાગરિકોએ સહેજ પણ ચિંતા કરવાની જરૂર નથી. તેમ ફૂડ એન્ડ ડ્રગ કમિશનર ડો. એચ.જી.કોશિયાએ જણાવ્યું હતું.

ડો.કોશિયા એ આ અંગે વિગતો આપતાં કહ્યુ કે આજે ગુજરાત રાજયના તમામ જિલ્લાઓના દવા બજાર અને પ્રાઇવેટ હોસ્પિટલોમાં ૨૮,૧૧૯ ઇન્જેકશન ઉપલબ્ધ કરવામાં આવેલ છે. જે પૈકી અમદાવાદમાં ૯૨૨૩ ઇન્જેકશન, વડોદરામાં ૭૭૪૬ ઇન્જેકશન, સુરતમાં ૩૭૭૨ ઇન્જેકશન, રાજકોટમાં ૩૫૦૪ ઇન્જેકશન, મહેસાણામાં ૧૪૪ ઇન્જેકશનનું વિતરણ કરવામાં આવ્યુ છે. આ ઉપરાંત કંપનીના ડેપોમાં હાલમાં ઉપલબ્ધ આશરે ૧૦,૧૮૮ ઇન્જેકશનનો જથ્થો જિલ્લાઓમાં વિતરણ થવામાં આવનાર છે, આમ કુલ ૩૮,૩૦૭ ઇન્જેકશનનો જથ્થો રાજયના જુદા-જુદા જિલ્લાઓમાં વિતરણ થવામાં આવનાર છે. વધુમાં રાજય સરકારના દવાના ગોડાઉન જીએમએસસીએલ ખાતે કુલ ૧૬,૦૦૦ ઇન્જેકશનનો જથ્થો હાલમાં ઉપલબ્ધ છે, જે સરકારી હોસ્પિટલોમાં વિતરણ કરાનાર છે.

ડો. એચ.જી.કોશીયાએ રાજયના નાગરિકોને અપીલ કરી છે કે ગુજરાતમાં કોરોનાની સારવાર માટે વપરાશમાં લેવામાં આવતા મેડીકલ ઓકસીજન, રેમડેસીવીર ઇન્જેકશન, ફેવીપીરાવીર ટેબલેટ વિગેરે પુરતા પ્રમાણમાં જથ્થો સરકારી તેમજ પ્રાઇવેટ હોસ્પિટલો તથા દવા બજારમાં ઉપલબ્ધ છે. એટલે રાજયના નાગરિકોએ આ દવાની અછત અંગે ગભરાટ કે દહેશત રાખવાની સહેજ પણ જરૂર નથી.

(11:40 am IST)