Gujarati News

Gujarati News

News of Saturday, 3rd April 2021

સ્મશાન ગૃહોમાં પણ લાંબુ વેઇટીંગ

કોરોનાથી મોતના આંકડામાં જમીન-આસમાનનો તફાવત

રાજકોટમાં કોરોનાથી મોતના સરકારી આંકડા અને સ્મશાનના આંકડામાં વિસંગતતા જોવા મળી : તંત્રના દાવાઓ વચ્ચે સ્થિતિ ખૂબ જ નાજૂક છેઃ જોકે, આમાં હજુ કબ્રસ્તાનના આંકડાઓ સામે આવ્યા નથી

રાજકોટ, તા.૩: સૌરાષ્ટ્ર અને ખાસ કરીને રાજકોટમાં સતત વધતા જતા કોરોનાના કેસના કારણે હોસ્પિટલના બેડ ભરાઈ રહ્યા છે. કોરોના કેટલી ઝડપથી લોકોને સંક્રમિત કરી રહ્યો છે તેનો અંદાજ સરકારી અને ખાનગી હોસ્પિટલમાં ખાલી બેડના આંકડા પરથી મેળવી શકાય છે. રાજકોટ જિલ્લાની તમામ સરકારી હોસ્પિટલમાં ગણતરીના બેડ જ ખાલી છે. તો રાજકોટની એક પણ ખાનગી હોસ્પિટલમાં હાલ જગ્યા નથી. રાજકોટ જિલ્લાની ૧૮ ખાનગી હોસ્પિટલોમાં ૫૯૫ બેડ ભરેલા છે. જયારે ૧૪૩ બેડ ખાલી હોવાની માહિતી સરકારી હેલ્પલાઇન ઉપરથી આપવામાં આવી છે. રાજકોટ શહેર અને જીલ્લામાં કોરોનાનાં કેસ વધી રહ્યા છે. જેની પ્રતિતિ સરકારી અને ખાનગી હોસ્પિટલનાં બેડ સતત ભરાતા જતા હોવા ઉપરથી થઇ રહી છે. પરંતુ રાજકોટમાં કોરોનાથી મોતના આંકડા પણ અલગ અલગ છે. જેથી સરકારી ગણતરી પર સીધા સવાલો ઉભા થાય છે. રાજકોટમાં કોરોનાથી મોતના સરકારી આંકડા અને સ્મશાનના આંકડામાં વિસંગતતા જોવા મળી રહી છે. તેમ ઝી ન્યુઝ (ગુજરાતી)નો અહેવાલ જણાવે છે.

રામનાથ પરા સ્મશાનમાં નોંધાયા ૧૩ મૃતદેહો, મોટામૌવા સ્મશાનમાં નોંધાયા ૩ મૃતદેહો, મવડી સ્મશાનમાં નોંધાયા ૨ મૃતદેહો, ૮૦ ફૂટ સ્મશાનમાં નોંધાયા ૭ મૃતદેહો, હવે ૧ એપ્રિલના સરકારી આંકડો  ૧૧

રામનાથ પરા સ્મશાનમાં નોંધાયા ૮ મૃતદેહો, મોટામૌવા સ્મશાનમાં નોંધાયા ૬ મૃતદેહો, મવડી સ્મશાનમાં નોંધાયા ૪ મૃતદેહો, ૮૦ ફૂટ સ્મશાનમાં નોંધાયા ૬ મૃતદેહો

તંત્રના દાવાઓ વચ્ચે સ્થિતિ ખૂબ જ નાજૂક છે. જોકે, આમાં હજુ કબ્રસ્તાનના આંકડાઓ સામે આવ્યા નથી. ૨ એપ્રિલના રોજ માત્ર ૮૦ ફૂટ સ્મશાન ગૃહમાં જ ૧૦ મૃતદેહોના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. સ્મશાન ગૃહમાં કોવિડના મૃતદેહોની અલગ નોંધ થાય છે અને કોવિડની ગાઇડલાઇન પ્રમાણે અંતિમ સંસ્કાર કરવામાં આવે છે.

તો બીજી તરફ, રાજકોટનો રામનાથપરા મુકિતધામમાં કોવિડ મૃતદેહના અંતિમ સંસ્કાર માટે વેઇટિંગ ચાલી રહ્યું છે. ૪ દિવસથી સતત મૃત્યુઆંકમાં વધારો થઇ રહ્યો છે. જેથી હવે મૃતદેહોને પણ અંતિમ સંસ્કાર માટે લાંબી લાઈનો પડી રહી છે. રામનાથ પરા સ્મશાનમાં કોરોનાથી મૃત્યુના આંક સામે આવ્યા છે. માત્ર એક સ્મશાનમાં જ અંતિમ વિધિની પરિસ્થિતિ અલગ અલગ જોવા મળી છે.

આંકડા પર નજર કરીએ તો આ સ્મશાનમાં...

જાન્યુઆરી મહિનામાં ૭૦ લોકોની અંતિમ વિધિ કરાઈ, ફેબ્રુઆરી મહિનામાં ૩૧ લોકોની અંતિમ વિધિ કરાઈ, માર્ચ મહિનામાં કુલ ૮૬ લોકોની અંતિમ વિધિ કરાઈ, ૨૯ માર્ચના રોજ ૮ની અંતિમ વિધિ કરાઈ, ૩૦ માર્ચના રોજ ૮ની અંતિમ વિધિ કરાઈ, ૩૧ માર્ચના રોજ ૧૩ની અંતિમ વિધિ કરાઈ, એપ્રિલ મહિનામાં કુલ ૧૪ ની અંતિમ વિધિ કરાઈ, ૧ એપ્રિલના રોજ ૮ની અંતિમ વિધિ કરાઈ, ૨ એપ્રિલના રોજ ૬ની અંતિમ વિધિ કરાઈ.

(4:08 pm IST)