Gujarati News

Gujarati News

News of Tuesday, 5th January 2021

'નલ-સે-જલ' યોજનાની મુદતમાં ૩ મહિનાનો વધારો

રાજયમાં આ યોજનાને ઓછો પ્રતિસાદ મળતા સરકાર દ્વારા ૩૧માર્ચ સુધી મુદ્દત વધારાઇ

રાજકોટ તા. ૫:.  રાજય સરકારે ભૂતિયા નળ જોડાણોને રેગ્યુલાઇઝ કરવા માટે 'નલ-સે-યોજના'માં રાજકોટ સહિત સમગ્ર રાજયમાં ઓછો પ્રતિસાદ મળતા રાજય સરકાર દ્વારા આ યોજનાની મુદ્દતમાં ૩ મહિનાનો વધારો કરવામાં આવતા અંતિમ તા.૩૧ માર્ચ જાહેર કરી હોવાનું રાજય સરકારનાં સતાવાર સુત્રો માંથી જાણવા મળ્યુ છે.

આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ છેલ્લા ત્રણ મહિનામાં 'નલ સે જલ' યોજનાની ઝુંબેશ ચાલુ થઇ છે. જેમાં સૌથી વધુ ભૂતિયા નળ ૯૭૨૩ વેસ્ટ ઝોનમાં હોવાનું સર્વેમાં ખૂલ્યુ છે. સામાકાંઠે ઓછા એટલે કે ૩૫૨૭ ભૂતિયા નળ હોવાનું સર્વેમાં બહાર આવ્યુ છે. જયારે સેન્ટ્રલ ઝોનમાં ૫૯૨૧ ભૂતિયા નળ હોવાનુ સર્વેમાં ખૂલ્યુ છે. આ યોજનાના અંતિમ દિવસ ૫ સુધીમાં ૯૫૦ જેટલા ભૂતિયા નળ રેગ્યુલાઈઝની અરજીઓ મંજુર થઈ છે. હજુ ઘણુ અરજીઓ પેન્ડીંગ છે.  આ યોજનાની મુદત લંબાવવામા આવે તેવી શકયતાઓ દર્શાવવામાં આવી રહી છે. જે અનુસંધાને શહેરમાં કુલ ૧૯ હજારથી વધુ ભૂતિયા નળ હોવાનો સર્વે થયો છે. અને તે પૈકી બે હજાર જેટલા ભૂતિયા નળ રેગ્યુલાઇઝ કરવાં અરજીઓ મળતાં તેમાંથી ૯૫૦ જેટલી અરજીઓ મંજુર થઇ છે.

ભારત સરકારની 'નલ સે જલ' યોજના અંતર્ગત ગુજરાત સરકારશ્રીના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા તમામ શહેરી વિસ્તારોમાં પીવાના પાણીનો પુરવઠો દરેક ઘરમાં ટેપ વોટરથી મળે તે માટે નીતિ જાહેર કરી છે. આ નીતિ અનુસાર રાજકોટ મહાનગરપાલિકાનાં પાણીનું નેટવર્ક ઉપલબ્ધ હોય તેવા વિસ્તારોમાં જે નાગરીકો દ્વારા કોઇ પ્રક્રિયા વગર કે નિયત ફી ભર્યા વગર ગેરકાયદેસર સીધા પાણીનાં જોડાણ લેવામાં આવેલ હોય તેવા કનેકશનોને નિયત ફી ભરીને રેગ્યુલરાઇઝ-કાયદેસર કરી આપવા તથા રહેણાંકનાં એકમોમાં રહેતી વ્યકિતને નિયત ફી ભરી, નિયત પ્રક્રિયા દ્વારા પાણીનાં નવા કનેકશન આપવા-લિંક કરવા અંગેની કાર્યવાહી કરવામા આવી હતી.

(3:16 pm IST)