Gujarati News

Gujarati News

News of Monday, 5th April 2021

જીવનની કોઇ પણ ખોટ ખૂબીનું સર્જન કરવા અને તકલીફ તકદીરના દરવાજા ખોલવા આવતી હોય છે : રાષ્ટ્રસંત પૂ. નમ્રમુનિ

સૌરાષ્ટ્ર કેસરી ગુરૂદેવ પૂજ્યશ્રી પ્રાણલાલજી મ.સા.ના સંયમ શતાબ્દી અવસરે સંયમ ગુણોત્સવ ઉજવાયો

રાજકોટ તા. ૫ : જેમના પુણ્યવંતા નામથી દેશના ખૂણે-ખૂણે વિચરણ કરી રહ્યાં છે અનેક અનેક સંત - સતીજીઓ અને જેમની એક પ્રેરણા વિરાટ આયોજનને મૂર્તિમંત કરવાનું સામર્થ્ય ધરાવનારી હતી એવાં હજારો હૃદયનાં પ્રાણ પરમ પ્રતાપી સૌરાષ્ટ્ર કેસરી ગુરૂદેવ પૂજય શ્રી પ્રાણલાલજી મહારાજ સાહેબની સંયમ શતાબ્દીનો અવસર, રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબનાં સાંનિધ્યે સંયમ ગુણોત્સવ અર્પણ કરીને અત્યંત ભકિતભાવે ઉજવાયો હતો.

ગુરુ પ્રાણના અપ્રતિમ ગુણોનું અત્યંત હૃદયસ્પર્શી શૈલીમાં વર્ણન કરીને રાષ્ટ્રસંત પરમ ગુરુદેવે સમજાવ્યું હતું કે, જીવનમાં જયારે જયારે પણ કોઈ ખોટ આવે છે કે તકલીફ આવે છે ત્યારે ત્યારે કોઈક ખૂબીનું સર્જન અને તકદીરનાં દરવાજા ખોલવા માટે જ આવતી હોય છે, જે દરવાજા સફળતાની મંજિલ સુધી દોરી જતાં હોય છે. સુખ અને દુઃખની ઘટમાળ સમા આ જીવનમાં સુખ હંમેશા સત્યથી દૂર લઇ જનારું હોય છે અને દુઃખ સત્યની સમીપ લઈ જતું હોય છે. માટે જ પ્રભુને હંમેશા વિનંતી કરીએ કે જયાં સુધી સિધ્ધ ન બનીએ ત્યાં સુધી સંકટોની વચ્ચે રાખજે! જીવનમાં કંઇક પણ ગુમાવ્યા સમયે જો વિચારણાઓ ને સમ્યક્ બનાવીએ તો તે ગુમાવવાનો અવસર ગુણ પ્રાગટ્યનો અવસર બની જતો હોય છે.

જીવનમાં એક સૂત્ર કાયમ માટે યાદ રાખવાનું છે કે, જીવનનો કોઈ પણ સાથ કે સંગાથ કદી કાયમ નથી રહેવાનો. દરેક સાથ અશાશ્વતતાની મહોર લઈને જ આવતો હોય છે. જગતના દરેક સાથમાં કોઈકને કોઈક સ્વાર્થનો શ્વાસ સમાયેલો જ હોય છે.

આ અવસરે વલસાડ – મગોધથી સંપ્રદાયવરિષ્ઠા પૂજય શ્રી પ્રાણકુંવરબાઈ મહાસતીજીએ ગુરુ પ્રાણનાં સમગ્ર જીવનનું વર્ણન કરીને સહુને અહોભાવિત કરી દીધાં હતાં. એ સાથે જ ઘાટકોપરના શ્રી હિંગવાલા જૈન સંઘમાં બિરાજિત ડો. પૂજય શ્રી જશુબાઈ મહાસતીજીએ ગુરૂ પ્રાણના સંસ્મરણોને વાગોળીને એમનાં અપ્રગટ ગુણોને પ્રગટ કરીને સહુને વંદિત કરી દીધાં હતાં. પૂજય શ્રી કૃપાબાઈ મહાસતીજીએ ગુરૂ પ્રાણની ગુણ પ્રશસ્તિ કરી ને શ્રદ્ઘાંજલિ અર્પણ કરી હતી. ગુરુ પ્રાણના સંયમ શતાબ્દી અવસર નિમિત્ત્।ે રાષ્ટ્રસંત પરમ ગુરુદેવે જીવદયા - અનુકંપાની પ્રેરણા કરતા અનેક અનેક ભાવિકો મૃત્યુના મુખમાં જઈ રહેલા બળદોને બચાવવા માટે અનુદાન અર્પણ કરવા ભાવિત બન્યાં હતાં. આજના દિવસે પૂજય શ્રી પ્રબોધિકાબાઈ મહાસતીજીની ૨૫મી દીક્ષા જયંતી અવસરે રાષ્ટ્રસંત પરમ ગુરુદેવે તેઓને આત્મહિત સાધીને સંયમ જીવન સાર્થક કરવાના મંગલ આશીર્વાદ આપ્યા હતા.સૌરાષ્ટ કેસરી ગુરૂ પ્રાણની સંયમ શતાબ્દીનાં સંસ્મરણો પ્રત્યે ભકિતભાવ દર્શાવતાં દેશના ખૂણે-ખૂણે બિરાજમાન અનેક સંત - સતીજીઓ, દેશ - વિદેશના અનેક સંઘો, મહિલા મંડળ, યુવક મંડળોના હજારો ભાવિકો એક વર્ષમાં ગુરુ પ્રાણનાં ચરણમાં એક લાખ આઠ હજાર આયંબિલ તપ આરાધનાની અર્પણતાના વિરાટ તપોત્સવ આયોજનમાં જોડાવા સંકલ્પબધ્ધ બન્યા હતા.

(3:04 pm IST)