Gujarati News

Gujarati News

News of Monday, 5th April 2021

અડધા અબજના કોૈભાંડમાં ત્રિપૂટી ૯ દિ'ના રિમાન્‍ડ પરઃ વધુ આરોપીઓની સંડોવણી ખુલવાની શક્‍યતા ભોગ બનનારા યુનિવર્સિટી પોલીસનો પુરાવા સાથે સંપર્ક કરે

રાજકોટ તા. પ : આશિષ ક્રેડીટ કો.ઓપ. સોસાયટી, સમય ટ્રેડીંગ અને સાઇ સમય ટ્રેડીંગના ત્રણ જુદા જુદા નામ હજારો થાપણદારો પાસેથી કરોડો રૂપિયાની થાપણો મેળવી તમામ રકમની ઉચાપત કરનાર આરોપીઓ પ્રદિપ ખોડાભાઇ ડાવેરા, હિતેષ મનસુખભાઇ લુકકા અને દિવ્‍યેશ અશોકભાઇ કાલોડીયા સામે ઉચાપત, છેતરપીંડી અને વિશ્વાસઘાતનો ગુનો દાખલ કરી ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરવામાં આવતાં રાજકોટના સ્‍પેશ્‍યલ સેસન્‍સ જજે ૯ દિવસની પોલીસ રીમાન્‍ડ ઉપર સોપવાનો હુકમ કરતાં વિશેષ તપાસ આગળ વધારવામાં આવી છે. આ ગુનામાં વધુ આરોપીઓના નામ સામે આવવાની શક્‍યતા છે.

આ કેસની હકિકત એવા પ્રકારની છે કે, ત્રણેય આરોપીઓએ પેઢી અને સોસાયટીના ભાગીદાર, ચેરમેન તથા વાઇસ ચેરમેનના હોદાઓ ધારણ કરી હજારો થાપણદારો પાસેથી કરોડ રૂપિયાની થાપણો મેળવેલ હતી જે ૧૦% ના માસિક વ્‍યાજ પરત આપવાની લાલચામણી જાહેરાતોથી મેળવવામાં આવેલ હતી. આ લલચામણી જાહેરાતોથી ભોળવાઇને હજારો લોકોએ પોતાની જીવન-મરણ સમાન મુડી આરોપીઓને શાપણમાં આપેલ હતી તેમજ ઘણા લોકોએ પોતાના પી.એફ.ફંડમાંથી ઉપાડીને આરોપીઓને આપેલ હતી.

આ ઉપરાંત પોલીસ તપાસ દરમ્‍યાન તેમ પણ જણાયેલ હતું કે અમુક લોકોએ પોતાના મકાનો ગીરવે મુકી બેંકમાંથી લોનો મેળવી અને આરોપીઓને ઉચા વ્‍યાજની લાલચે થાપણો આપેલ હતી. આ થાપણદારોમાંથી કોઇપણ વ્‍યકિતને કોઇ રકમ કે વ્‍યાજ પરત ન મળતા આરોપીઓની ઓફીસે ધકકા ખાવાનું શરૂ કરેલ અને એક સમયે વધુ માણસોની ભીડ થવા માંડતા આરોપીઓ પોતાની આ ભાડાવાળી ઓફીસ બંધ કરી ભાગી ગયેલ હતા.કોઇ અન્‍ય ઉપાય ન બચતા એક થાપણદારે ગાંધીગ્રામ પોલીસ સ્‍ટેશનમાં આરોપીઓ વિરૂદ્ધ રૂા.૪ લાખની ઉચાપતની ફરીયાદ કરેલ.

આ ફરીયાદની પ્રાથમીક તપાસ દરમ્‍યાન તપાસનીશ અમલદારને જાણવા મળેલ કે આ પ્રકારના હજારો થાપણદારો છે જેમની કરોડોની થાપણો કે તે ઉપર વ્‍યાજ ચુકવવામાં આવેલ નથી. આ કારણે આરોપીઓ વિરૂદ્ધ ફરીયાદ નોધી રીમાન્‍ડ માગતી અરજીની સુનાવણી દરમ્‍યાન સરકાર તરફે દલીલો કરતા જણાવવામાં આવેલ હતું કે આ ત્રણેય આરોપીઓએ કરોડો રૂપિયાની ઉચ્‍ચાપતની આ રકમો પોતાના કે પોતાના કુટુંબીઓના નામે મિલકતો ખરીદવામાં અને કંપનીના શેરો ખરીદવામાં રોકેલ છ.ે

આ ઉપરાંત આરોપીઓએ જંગી રકમની લોન પોતાના મળતીયાઓને આપેલ છે જે લોનોની પરત ચુકવણી થયેલ ન હતી. આ રીતે આરોપીઓએ થાપણદારોની સમગ્ર થાપણની રકમો પોતાના અંગત લાભમાં ચોકકસ રીતે ઇન્‍વેસ્‍ટ કરેલ છે આ માટે આ ત્રણેય આરોપીઓની વિસ્‍તૃત પુછપરછ કરવી જરૂર હોય પોલીસ રીમાન્‍ડની માંગણી કરવામાં આવતા સ્‍પેશ્‍યલ જજે ત્રણેય આરોપીને ૯ દિવસની પોલીસ રીમાન્‍ડ ઉપર સોપવાનો હુકમ કરેલ છે.આ કેસમાં સરકાર તરફે સ્‍પે.પી.પી.સંજયભાઇ કે. વોરા રોકાયેલ હતા.

છેતરાયેલા લોકોને રોકાણકારોને પુરાવા સાથે યુનિવર્સિટી પોલીસનો સંપર્ક કરવા જણાવાયું છે.

પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી પી. કે. દિયોરાની સુચના મુજબ પીઆઇ એ. એસ. ચાવડા, પીએસઆઇ એ. બી. જાડેજા, એ. બી. વોરા તથા હેડકોન્‍સ. રાજેશભાઇ એન. મિયાત્રા, બલભદ્રસિંહ ડી.ચુડાસમા, ગીરીરાજસિંહ એસ.જાડેજા, હરપાલસિંહ જે. જાડેજા, યુવરાજસિંહ આર. ઝાલા, મહેન્‍દ્રસિંહ કે.ડોડીયા તથા કોન્‍સ. જેન્‍તીગીરી ગૌસ્‍વામી, મેહુલસિંહ ચૂડાસમા, રાવતભાઇ ડાંગર, બ્રિજરાજસિંહ ગોહીલ, બલભદ્રર્સિહ જાડેજા સહિતની ટીમ તપાસ કરી રહી છે.

(5:21 pm IST)