Gujarati News

Gujarati News

News of Tuesday, 5th October 2021

આજે અરવિંદભાઇ મણીયારનો જન્મદિનઃ રાત્રે 'સુરતરંગ'

દિગ્ગજ કલાકાર ભાવીન શાસ્ત્રીના સુરીલા ગીતો માણવા મળશેઃ અનોખો કાર્યક્રમ

તસ્વીરમાં ટ્રસ્ટના મેને.ટ્રસ્ટી  ડો. વલ્લભભાઇ કથીરીયા પ્રોજેકટ ઇન્ચાર્જ નિલેશભાઇ શાહ, રાજુલભાઇ દવે, હસુભાઇ ગણાત્રા, કમલેશભાઇ મહેતા, ભુપેન્દ્રભાઇ શાહ, ધર્મેશભાઇ મકવાણા નજરે પડે છે. (૪૦.૭)

રાજકોટ : આધુનિક રાજકોટના સ્વપ્ન દૃષ્ટા, રાજકોટના પ્રથમ ચૂંટાયેલા મેયર, ધારાસભ્ય અને રાજકોટ નાગરિક સહકારી બેંક લી.ના પૂર્વ ચેરમેન એમ અનેકવિધ પ્રકારની જવાબદારીઓ સફળતાપૂર્વક બજાવનાર શ્રી. અરવિંદભાઈ મણીઆરનો આજે પ ઓકટોબર મંગળવારે જન્મદિવસ છે. તેમની સ્મૃતિમાં રચાયેલા  શ્રી અરવિંદભાઈ મણીઆર જનકલ્યાણ ટ્રસ્ટના ઉપક્રમે પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ ગીત સંગીતના સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. છેક ૧૯૮૫ થી સતત ૩૭ વર્ષથી સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવાની પરંપરા આરંભાઈ છે અને અત્યાર સુધી એકધારી જળવાયેલી છે.

સુરતના ભાવિનભાઈ શાસ્ત્રી અને સાથી કલાકારો આ કાર્યક્રમ રજૂ કરશે. ભાવિનભાઈને ગુજરાતમાં શહેનશાહ-એ-સૂફીવાદ (સૂફી ગીતોના બાદશાહ) ના ખિતાબથી સન્માનિત કરવામાં આવ્યા છે. તેઓએ દેશ-વિદેશમાં ત્રણ હજારથી વધારે લાઈવ પ્રોગ્રામ કરી ખૂબ ખ્યાતિ મેળવી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં તેમણે પંદરથી વધારે લાઈવ પ્રોગ્રામ કરેલ છે, જેમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી, વાયબ્રન્ટ ગુજરાત વગેરે સામેલ છે. મુકેશભાઈ અંબાણી અને અમિતાભ બચ્ચન જેવી સેલિબ્રિટીઓ સમક્ષ પણ ભાવિનભાઈ પોતાની કલા રજૂ કરી ચૂક્યા છે. આવા એક મહત્વના કલાકારનો લાભ રાજકોટના નગરજનોને પ્રથમવાર મળશે.

તા. પ-ઓકટોબર, મંગળવારે રાત્રે ૮ કલાકે હેમુ ગઢવી હોલમાં 'સુરતરંગ' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમના અઘ્યક્ષ સ્થાને કર્ણાટકના પૂર્વ ગવર્નર વજુભાઈ વાળા રહેશે. અતિથિ વિશેષ તરીકે રાજયના પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી હાજરી આપશે. મુખ્ય મહેમાન પદે એનસીયુઆઈના ચેરમેન અને ગુજરાતના પૂર્વ મંત્રીશ્રી દિલીપભાઈ સંઘાણી રહેશે.

શ્રી અરવિંદભાઈના સાથી કાર્યકરોનું સન્માન કરવાનો ઉપક્રમ પણ ટ્રસ્ટ દ્વારા છેલ્લા દોઢેક દાયકાથી શરૂ  કરવામાં આવ્યો છે. આ વર્ષે ઈશ્વરભાઈ ગોગિયા (મરણોત્તર), મધુસૂદનભાઈ માણેક, પ્રબોધભાઈ મહેતા, હરિશભાઈ જોશી અને નાગજીભાઈ પટેલનું શાલ તેમજ મોમેન્ટો આપી અભિવાદન કરવામાં આવશે.

 કાર્યક્રમની સફળતા માટે શ્રી અરવિંદભાઈ મણીઆર જનકલ્યાણ ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી શ્રી ડો. વલ્લભભાઈ કથીરિયા, ટ્રસ્ટીઓ હંસિકાબેન મણીઆર, જયોતીન્દ્ર મહેતા, કલ્પકભાઈ મણીઆર અને શિવુભાઈ દવે, મહાસુખભાઈ શાહ ઉપરાંત પ્રોજેકટ ઈન્ચાર્જ જયંતભાઈ ધોળકિયા, નિલેશ શાહ, અશોકભાઈ પંડયા, લક્ષ્મણભાઈ મકવાણા, જહાનવીબેન લાખાણી, હસુભાઈ ગણાત્રા, રાજુલભાઈ દવે, પ્રભાતભાઈ ડાંગર, હરીશભાઈ શાહ, ગુણવંતભાઈ ભટ્ટ, રમેશભાઈ પરમાર, ભુપેન્દ્રભાઈ શાહ, ઈન્દ્રવદન રાજ્યગુરૂ, ભરતભાઈ અનડકટ, જગદીશભાઈ જોશી, કમલેશભાઈ મહેતા, અને સંજયભાઈ મોદી, મનીષભાઈ શેઠ, સંજયભાઈ ઓઝા વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે. કાર્યક્રમ સમયસર શરૂ થશે. પહેલી સાત રો અનામત છે તે પછી વહેલા તે પહેલાના ધોરણે બેઠક વ્યવસ્થા રહેશે. રાજકોટની સંગીતપ્રેમી જનતાને સંગીત સંઘ્યાનો આનંદ માણવા ટ્રસ્ટ દ્વારા   અનુરોધ કરવામાં આવે છે.   સંસ્થાની ઓફીશ્યલ વેબસાઇટ ઉપર આ કાર્યક્રમ નિહાળી શકાશે.

(3:30 pm IST)