Gujarati News

Gujarati News

News of Monday, 5th December 2022

ઘટેશ્વરમાં એસઆરપીમેનનું બેભાન હાલતમાં મોતઃ પત્‍નિએ ૧૩ દિવસ પહેલા જ આત્‍મહત્‍યા કરી હતી

અતુલભાઇ ગામીત ઘરે બેભાન થઇ જતાં હોસ્‍પિટલમાં ખસેડાયા પણ દમ તોડી દીધોઃ લિવરમાં તકલીફ હોવાનું તારણ નીકળ્‍યું: બે પુત્રી પખવાડીયામાં મા-બાપ વિહોણી થઇ જતાં અરેરાટી

રાજકોટ તા. ૫: જામનગર રોડ પર ઘંટેશ્વર એસઆરપી કેમ્‍પ બ્‍લોક ૧૮ ક્‍વાર્ટર નં. ૨૧૦માં રહેતાં એસઆરપીમેન અતુલભાઇ રમણલાલ ગામીત (ઉ.વ.૩૯) ગઇકાલે બપોર બાદ ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજ્‍યું હતું. લિવરમાં તકલીફ હોવાથી મૃત્‍યુ થયાનું પ્રાથમિક તપાસમાં ખુલ્‍યું હતું. હજુ તેર દિવસ પહેલા જ અતુલભાઇના પત્‍નિ પ્રિતીકાબેને ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. માતા બાદ પંદર દિવસના અંદરે બે દિકરીઓએ પિતા પણ ગુમાવતાં પરિવારમાં કલ્‍પાંત સર્જાયો છે.

અતુલભાઇ રવિવારે બપોરે ત્રણેક વાગ્‍યે ઘરે એકાએક બેભાન થઇ જતાં સારવાર માટે ખસેડાયા હતાં. પરંતુ તબિબે નિષ્‍પ્રાણ જાહેર કરતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે યુનિવર્સિટી પોલીસને જાણ કરતાં પીએસઆઇ ડી. આર. રત્‍નુએ જરૂરી કાર્યવાહી કરી હતી. લિવરની તકલીફને કારણે મૃત્‍યુ થયાનો પ્રાથમિક રિપોર્ટ આવ્‍યો હતો.  ઉલ્લેખનિય છે કે એસઆરપીમેન અતુલભાઇના પત્‍નિ પ્રિતીકાબેન (ઉ.વ.૩૩)એ ગત ૨૨મીએ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. પ્રિતીકાબેન ઇન્‍સ્‍ટાગ્રામમાં મેસેજ કરતાં હોઇ તે બાબતે પતિ-પત્‍નિ વચ્‍ચે ચડભડ થયા બાદ પતિ અતુલભાઇ ગામિત પરેડ કરવા ગયા બાદ ઘરે આવ્‍યા ત્‍યારે પત્‍નિ લટકતાં જોવા મળ્‍યા હતાં. અગિયાર વર્ષના લગ્ન જીવનમાં આ દંપતિ બે દિકરીના માતા-પિતા બન્‍યા હતાં. આ બંનેએ પખવાડીયામાંજ માતા બાદ પિતા પણ ગુમાવતાં કલ્‍પાંત સર્જાયો હતો.

(11:59 am IST)