Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021

શિક્ષણ ફકત નોકરી મેળવવા માટે નહિ, સામાજિક અને રાષ્ટ્રના ઘડતર માટે જરૂરી : મેયર

મનપા સંચાલિત ૬ હાઇસ્કુલના ૧૦૬૭ વિદ્યાર્થીઓને ગણવેશ વિતરણ : પી એન્ડ ટી શેઠ હાઇસ્કુલમાં કાર્યક્રમ યોજાયો

રાજકોટ તા. ૪ : મહાનગરપાલિકા સંચાલિત પી. એન્ડ ટી.વી. શેઠ હાઇસ્કુલ, વીરસાવરકર વિદ્યાલય, મહારાણી લક્ષ્મીબાઈ કન્યા વિદ્યાલય, સરોજીની નાયડુ ગર્લ્સ હાઇસ્કુલ, એકનાથ રાનડે વિદ્યાલય તેમજ મુરલીધર હાઇસ્કુલ મળી કુલ છ હાઈસ્કૂલના કુલ ૧૦૬૭ વિદ્યાર્થી ભાઇઓ-બહેનોને ગણવેશ (સ્કૂલ યુનિફોર્મ) વિતરણ કાર્યક્રમ મેયર ડો. પ્રદિપ ડવના અધ્યક્ષ સ્થાને પી. એન્ડ ટી.વી. શેઠ હાઈસ્કૂલ ખાતે યોજાયો.

આ પ્રસંગે મેયર ડો.પ્રદિપ ડવએ જણાવેલ કે, ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના દેશના વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે સર્વ શિક્ષણ અભિયાન દીકરી બચાઓ, દીકરી પઢાઓ, વાંચે ગુજરાત જેવા અનેક નિર્ણયો કરી શિક્ષણ ક્ષેત્રે જબરદસ્ત પરિવર્તન લાવેલ. સ્કુલના આચાર્ય, શિક્ષકો, વિદ્યાર્થીઓને પોતાના સંતાન હોય તેવી રીતે મહેનત કરી ભણાવે છે ત્યારે વાલીઓએ અને વિદ્યાર્થીએ ધગસ રાખવી જોઈએ તો જ તેનું સારૂ પરિણામ મળે. શિક્ષણ ફકત નોકરી મેળવવા પૂરતું માર્યાદિત નથી પરંતુ તમામ ક્ષેત્રે સમાજિક અને રાષ્ટ્રના ધડતર માટે શિક્ષણનું ખૂબ જ મહત્વ છે. મહાનગરપાલિકા અને રાજય સરકાર દ્વારા શિક્ષણ માટે ખૂબ જ પ્રોત્સાહન આપી રહી છે. શેઠ હાઇસ્કુલમાં મે અભ્યાસ કરેલ છે અને આજે સ્કુલમાં કાર્યક્રમમાં ઉપસ્થતિ રહેવાની તક મળેલ છે, તે મારા સૌભાગ્યની વાત છે તેમાં મેયરે અંતમાં જણાવેલ.

કાર્યક્રમની શરૂઆતમાં શેઠ હાઇસ્કુલના આચાર્ય તુષાર પંડ્યાએ શાબ્દિક સ્વાગત કરેલ. જયારે આચાર્ય અને શિક્ષકો દ્વારા ઉપસ્થિત સૌ મહાનુભાવોનુ પુસ્તક અને રૂમાલથી સ્વાગત કરેલ.

આ ઉપરાંત સશસ્ત્ર સેના ધ્વજ દિવસ નિમિતે વધુ ફાળો એકત્રિત કરનાર વિદ્યાર્થી પિયુષ રોઘેલીયા તેમજ મનીષ ગોંડલીયાને મેયર દ્વારા સ્મૃતિ ચિહ્રન આપવામાં આવેલ. તેમજ અગાઉ નવરાત્રીના તહેવારો દરમ્યાન યોજાયેલ રાસોત્સવના વિજેતા વિદ્યાર્થીને પ્રમાણપત્ર અને ઇનામ આપવામાં આવેલ. ત્યારબાદ તમામ મહાનુભાવોના હસ્તે ટોકનરૂપે વિદ્યાર્થી ભાઈ/બહેનોને ગણવેશ અર્પણ કરવામાં આવેલ.

તમામ હાઇસ્કુલના ૧૦૬૭ વિદ્યાર્થી/વિદ્યાર્થીનીઓને રૂ.૨૫ લાખના ખર્ચે સ્કૂલ યુનિફોર્મમાં બે જોડી જીન્સ, ટી-શર્ટ, બે જોડી મોંજા, એક જોડી બુટ તમેજ એક સ્કૂલ બેગ આપવામાં આવેલ.

કાર્યક્રમના અંતે આભારવિધિ સરોજીની નાયડુના આચાર્ય ડો.સોનલબેન ફળદુએ કરેલ. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શેઠ હાઇસ્કુલના શિક્ષણ નીતિનભાઈ ભૂતએ કરેલ.

આ પ્રસંગે ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, શસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, દંડક સુરેન્દ્રસિંહ વાળા, માધ્યમિક શિક્ષણ સમિતિના ચેરમેન ભાવેશભાઈ દેથરીયા, ડે. કમિશનર આશિષ કુમાર, કોર્પોરેટર વર્ષાબેન રાણપરા, ભારતીબેન મકવાણા, રાજકોટ શહેર ભાજપના મંત્રી જયોત્સનાબેન હળવદીયા, વોર્ડ નં.૧૪ ભાજપના પ્રમુખ હરિભાઈ રાતડીયા, મહામંત્રી વિપુલભાઈ માખેલા, શિક્ષણ સમિતિના સભ્ય કિશોરભાઈ પરમાર, આસી. મેનેજર એન. કે. રામાનુજ, તમામ હાઇસ્કુલના આચાર્ય ટી. એસ. પંડ્યા, ચાવડા, ગાજીપરા, સોનલબેન ફળદુ, પાઠક, ભરતભાઈ નગવાડીયા, શેઠ હાઇસ્કુલના સ્ટાફગણ તેમજ વિદ્યાર્થી ભાઈ-બહેનો, વાલીઓ વિગેરે ઉપસ્થિત રહેલ.

(2:52 pm IST)