Gujarati News

Gujarati News

News of Friday, 7th August 2020

પર્યાવરણના જતન માટે વૃક્ષોનું સંવર્ધન ખૂબ જરૂરીઃ હંસરાજભાઈ ગજેરા

રાજકોટ જિલ્લા કક્ષાનો ૭૧મો વન મહોત્સવ કણકોટ ખાતે ઉજવાયોઃ અમદાવાદની દુર્ઘટના અંગે શોક વ્યકત, શ્રધ્ધાંજલી

રાજકોટ, તા.૭: ગુજરાત રાજય બિન અનામત આયોગના અધ્યક્ષ શ્રી હંસરાજભાઇ ગજેરાએ રાજકોટ જિલ્લાના ૭૧માં જિલ્લા કક્ષાના વન મહોત્સવના શુભારંભ પ્રસંગે જણાવ્યું હતું કે પર્યાવરણના જતન માટે વૃક્ષોનું સંવર્ધન જરૂરી છે.

સમગ્ર રાજયમાં વૃક્ષોનું વાવેતર વિસ્તાર વધે અને જાહેર જનતામાં પર્યાવરણ અંગેની જાગૃતિ આવે તે હેતુસર આજરોજ સમગ્ર રાજયના તમામ જિલ્લાઓમાં એકીસાથે ૭૧મો વન મહોત્સવ ઉજવાઈ રહ્યો છે જેની ઉજવણી રાજકોટના સામાજીક વનીકરણ વિભાગ દ્વારા કણકોટની આદર્શ નિવાસી શાળા ખાતે કરવામાં આવી હતી.આ પ્રસંગે અધ્યક્ષ શ્રી ગજેરાએ વૃક્ષોનું મહત્વ સમજાવ્યું હતો અને ગ્લોબલ વોર્મિંગને અટકાવવા માટે વૃક્ષોના વધુને વધુ વાવેતર અને ઉછેર પર ભાર મૂકયો હતો.

સરદાર પટેલ સહભાગી જળસંચય યોજનાના અધ્યક્ષ ડો. ભરત બોઘરાએ જાહેર જનતાને વન મહોત્સવમાં સામેલ થવા અનુરોધ કરતાં જણાવ્યું હતું કે પર્યાવરણની શુદ્ઘિ માટે વૃક્ષોનું વાવેતર કરવું જરૂરી છે.  રાજકોટ જિલ્લામાં થઈ રહેલી વનીકરણની પ્રવૃત્તિઓની આંકડાકીય વિગતો ડો.બોઘરાએ રજૂ કરી હતી. રાજકોટ જિલ્લામાં વિવિધ સરકારી યોજનાઓ અન્વયે કુલ ૨૯, ૨૦૦ એકર જમીનમાં ૨,૭૭,૬૦૦ રોપાનું વાવેતર જુલાઈ ૨૦૨૦ સુધી કરવામાં આવ્યું છે જયારે વન મહોત્સવ નર્સરી યોજના હેઠળ ૧૬,૩૦,૦૦૦ રોપાઓ નો ઉછેર કરવામાં આવ્યો છે અને વિકેન્દ્રિત નર્સરી યોજના હેઠળ ૬,૭૫,૦૦૦ જાહેર જનતાના વાવેતર માટે ઉછેરવામાં આવ્યા છે.

ગાંધીનગરના અધિક અગ્ર મુખ્ય વન સંરક્ષકશ્રી સંજીવ ત્યાગીએ સ્વાગત પ્રવચનમાં ઉપસ્થિત તમામ અધિકારીઓને આવકાર્યા હતા અને કાર્યક્રમની રૂપરેખા રજૂ કરી હતી. મહાનુભાવો એ કણકોટ ની આદર્શ નિવાસી શાળા ખાતે વૃક્ષારોપણ કર્યું હતું.અમદાવાદ નવરંગપુરા હોસ્પિટલ ખાતે આ સર્જાયેલ દુર્ઘટનામાં અવસાન પામેલા નાગરિકો પ્રત્યે સંવેદના દર્શાવવા માટે આ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ વ્યકિતઓએ બે મિનિટનું મૌન પાળ્યું હતું.આ કાર્યક્રમમાં ધારાસભ્યો સર્વશ્રી ગોવિંદભાઈ પટેલ અને લાખાભાઈ સાગઠીયા, અગ્રણીશ્રી નાગદાનભાઈ ચાવડા, નિવાસી અધિક કલેકટરશ્રી પરિમલ પંડ્યા, પ્રાંત અધિકારીશ્રી ચરણસિંહ ગોહિલ, તાલુકા વિકાસ અધિકારીશ્રી ગણાત્રા, આસિસ્ટન્ટ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટશ્રી તન્વાણી, રેન્જ ફોરેસ્ટ ઓફિસરશ્રી જે.વી. ગાંગડીયા સહિત વનવિભાગના અધિકારીઓ તથા વૃક્ષપ્રેમી નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

(2:46 pm IST)