Gujarati News

Gujarati News

News of Tuesday, 7th September 2021

આજી ડેમે રમણિય 'રામવન'નું નિર્માણ પૂરજોશમાં : ડિસેમ્બરમાં થશે તૈયાર

ઓપન એર એમ્ફીથિયેટર - જટાયુ - હનુમાનજીના સ્કલ્પચર તૈયાર : નિતીન ભારદ્વાજ - પ્રદિપ ડવ - પુષ્કર પટેલ - અમિત અરોરા સહિતના પદાધિકારીઓ - અધિકારીઓની સ્થળ મુલાકાત : હાઇવેટસ સુંદર એન્ટ્રીગેટ : ઇલેકટ્રીક કાર અને ફુડકોર્ટ સહિતની આકર્ષક સુવિધાઓ

રાજકોટ તા. ૭ : અહીંના આજીડેમના ડાઉન સ્ટ્રીમમાં મ.ન.પા. દ્વારા ભગવાન શ્રીરામના વનવાસ દરમિયાનનું જીવનચરિત્ર તાદૃશ કરતું વિશાળ રમણિય 'રામવન' તૈયાર થઇ રહ્યું છે. જેનું મોટાભાગનું કામ પૂર્ણતાના આરે છે. બાકીનું કામ ૩૧ ડિસેમ્બર સુધીમાં પૂર્ણ કરી લોકાર્પણ કરવા માટે પૂરજોશમાં કામગીરી ચાલી રહી છે. જેનું નિરીક્ષણ પ્રદેશ ભાજપ કારોબારીના સભ્ય અને અગ્રણી એવા નિતીનભાઇ ભારદ્વાજ તથા મેયર પ્રદિપ ડવ, સ્ટેન્ડીંગ કમિટિ ચેરમેન પુષ્કર પટેલ અને મ્યુ. કમિશનર અમિત અરોરા સહિતના અધિકારીઓએ કર્યું હતું.

આ અંગે મ.ન.પા.ની યાદીમાં જણાવાયું છે કે, શહેરના શહેરીજનોને શહેરથી દુર ટ્રાફિક તેમજ પ્રદુષણથી મુકત એક રમણીય તથા કુદરતી વાતાવરણ મળી રહે તેવા શુભ આશયથી રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આજીડેમ પાસે ડાઉન સ્ટ્રીમ વિસ્તારમાં આશરે ૪૭ એકર જમીન પર અર્બન ફોરેસ્ટ 'રામવન' ની ભેટ આપેલ છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અર્બન ફોરેસ્ટ 'રામવન' પ્રથમ ફેઇઝમાં રૂ. ૭.૬૯ કરોડના ખર્ચે સિવિલ કામોની કામગીરી ચાલુ છે. આ ઉપરાંત ભગવાન શ્રીરામના જીવન પ્રસંગોને ધ્યાનમાં રાખી રૂ.૧.૬૧ કરોડના ખર્ચે સ્કલ્પચરો બનાવવાની કામગરી હાથ ધરવામાં આવેલ છે. જેના અનુસંધાને આજ તા.૭ના મેયર ડો.પ્રદિપ ડવ, પ્રદેશ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા, શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, બાગ બગીચા કમિટી ચેરમેન અનિતાબેન ગોસ્વામી, ડે.કમિશનર આશિષ કુમાર, એ.આર. સિંઘ, એડી. સિટી એન્જી. વાય. કે. ગોસ્વામી, ટાઉન પ્લાનીંગ અધિકારી સાગઠીયા, ગાર્ડન એન્ડ પાર્કસના ડિરેકટર ડો. હાપલીયા, પી.એ. ટુ કમિશનર વિગેરેએ સ્થળ મુલાકાત લીધેલ.

એજન્સી દ્વારા તેમના વર્કશોપમાં નિર્માણ પામી રહેલ સ્કલ્પચરો જેવા કે, જટાયુ ગેઈટ, હનુમાનજી, રામ-સીતા, લક્ષ્મણ, રામ તથા કેવટ, રામ-લક્ષ્મણ તથા શબરી, રામ-સીતા વનવાસ, વિગેરેનું ૮૦% કામ પૂર્ણ થયેલ છે. તેમજ અન્ય સ્કલ્પચરનું પ્રેઝન્ટેશન પણ નિહાળવામાં આવ્યું હતું.

અર્બન ફોરેસ્ટ 'રામવન'માં એડમીન ઓફીસ, સાઈકલ ટ્રેક, વોકિંગ ટ્રેક, ગઝેબો, કુદરતી પાણીના સ્ત્રોતોનું નવિનીકરણ, પાથ-વે તેમજ પુલ અને રેલીંગ, પાણીના પરબ, ટોઇલેટ બ્લોકસ, બાળકો માટે પ્લેગ્રાઉન્ડ, એકઝીબીશન એરિયા માટે પ્લેટફોર્મ, જુદા જુદા પ્રકારના પથ્થરો તેમજ અન્ય મટીરીયલનો ઉપયોગ કરીને પાથ-વે, ઓપન એર એમ્ફી થીયેટર, વિવિધ પ્રકારની બેન્ચીસ, રોડ જંકશન આઈલેન્ડ, સોલાર લાઈટ્સ વિગેરે સુવિધા ઉપલબ્ધ થશે.

ભગવાન શ્રીરામના જીવન પ્રસંગોને આધારિત જેમાં મુખ્ય દરવાજો ધનુષ્ય બાણ સાથેનો, સીતાજી, લક્ષ્મણજી, જટાયુ આકારનો દ્વાર, ભગવાન રામ અને કેવટ, રામ-સીતા વનવાસ, રામ-લક્ષ્મણ શબરી, ચાખડી, ભગવાન રામનો સુગ્રીવ અને જાંબુવન સાથે મેળાપ, વાનરસેના સાથે રામસેતુ બનાવવાનું, હનુમાનજી સંજીવની પહાડ સાથે, રામ રાજયભિષેક, રામ વનવાસનો પથ, પાથવે પાસે મ્યુરલ કામ, સોફા ટાઈપ બેન્ચ, બેન્ચ, રેલીંગ, ફોરેસ્ટ/હટ, ગજેબો, નોર્મલ હટ, લાકડા જેવો પુલ, દીવાલો ઉપર કલેડીંગ કામ, યોગ કરતા બાળકો વિગેરે નિર્માણ થશે.

આગામી ડિસેમ્બર માસમાં 'રામવન'નું લોકાર્પણ કરવાનું આયોજન છે. જેથી સ્કલ્પચરો બનાવી રહેલ એજન્સીને ઝડપથી કામગીરી પૂર્ણ કરવા સુચના આપવામાં આવેલ. 'રામવન' ડેવલપ થતા રાજકોટના શહેરીજનોને એક નવું નજરાણું મળશે અને ભગવાન શ્રીરામના જીવન ઝરમરના સ્કલ્પચરોથી નવી પેઢીને પ્રેરણા મળશે.

(4:07 pm IST)