Gujarati News

Gujarati News

News of Wednesday, 7th October 2020

રવિવારે પુષ્ય નક્ષત્રનો સંયોગ : ખરીદારી ખૂબ જ શુભ ફળદાયી

આ શુભ સંયોગમાં કરવામાં આવતું લેવડ-દેવડ, રોકાણ, ખરીદારી અને શરૂ કરેલાં કામથી ધનલાભ

રાજકોટ : રવિવારે પુષ્ય નક્ષત્ર હોવાથી રવિ પુષ્ય યોગ બની રહ્યો છે. આ દિવસે પુષ્ય નક્ષત્ર સવારે 6.20 વાગ્યાથી શરૂ થશે અને રાતે 1.20 વાગ્યા સુધી રહેશે. આ દિવસે હીરાના આભૂષણ, ઇલેક્ટ્રોનિક સામાન, ઓટોમોબાઇલ, જમીન, મકાન, કપડાં અને અન્ય ખરીદારી કરવાથી સુખ-સમૃદ્ધિ વધે છે. આ સિવાય જમીન અને મકાનમાં રોકાણ કરવા પર  ફાયદાકારક સાબિત થઇ શકે છે.તેમજ વાહન, ફર્નીચર, ઘરેણાં, ઓટોમોબાઇલ, ઇલેક્ટ્રોનિક્સ અને અન્ય ઘરેલૂ સામાનની ખરીદારી પણ શુભ રહેશે

  . જ્યોતિષ શાસ્ત્રમાં ઉલ્લેખવામાં આવતાં 27 નક્ષત્રોમાં 8માં નંબરે પુષ્ય નક્ષત્ર હોય છે. આ નક્ષત્ર ગુરુવાર અને રવિવારના દિવસે હોવાથી મહાયોગ બને છે. સાથે જ, સોમ અને શુક્રવારના દિવસે આ નક્ષત્રનું હોવું શુભ માનવામાં આવે છે. એટલે બધા નક્ષત્રોમાં પુષ્યને સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ નક્ષત્રનો સ્વામી શનિ છે. રવિ પુષ્ય યોગમાં માંગલિક કાર્ય અને ખરીદારી કરી શકાય છે.

   આ વર્ષનો પહેલો અને છેલ્લો રવિ પુષ્ય સંયોગ છે જે આખો દિવસ રહેશે. આ પહેલાં 12 જાન્યુઆરીએ સવારે લગભગ સાડા 4 કલાક માટે આ યોગ બન્યો હતો પછી 13 સપ્ટેમ્બરની રાતે બન્યો હતો. હવે 8 નવેમ્બરે સવારે સાડા 8 વાગ્યા સુધી જ રહેશે. આ સ્થિતિ વર્ષમાં ત્રણથી ચાર વાર જ બને છે. એટલે દરેક પ્રકારના શુભ કામ અને નવા કામની શરૂઆત માટે 11 તારીખના રોજ બની રહેલો શુભ સંયોગ ખૂબ જ ખાસ રહેશે. આ શુભ સંયોગમાં કરવામાં આવતું લેવડ-દેવડ, રોકાણ, ખરીદારી અને શરૂ કરેલાં કામથી ધનલાભ થાય છે. આ યોગમાં ખરીદારી ખૂબ જ શુભ ફળદાયી હોય છે.

(12:04 pm IST)