Gujarati News

Gujarati News

News of Tuesday, 8th June 2021

૧ાા કિલોની સોનાની માળા ૧૨ાા લાખમાં ખરીદવા જતાં ભાવેશભાઇ છેતરાયાઃ મારવાડી શખ્સને ક્રાઇમ બ્રાંચે પકડ્યો

જયપુરથી ટ્રાવેલ્સમાં આવેલી મુર્તિ લેવા ગયા વર્ષે સોમનાથના વેપારી પુત્ર સાથે રાજકોટ આવેલા ત્યારે વાહનમાં મારવાડી શખ્સ સાથે ઓળખ થઇ હતીઃ એ શખ્સે ફોન નંબર લઇ ઓળખાણ કેળવી, પછી 'કળા' કરી હતી : રાજકોટમાં મકાનના પાયા ખોદતી વખતે હાથીના શણગારની માળા મળ્યાનો ફોન કર્યોઃ વેપારી જોવા આવતાં બે ટૂકડા સાચા સોનાના આપ્યાઃ એ પછી ફરી રાજકોટ બોલાવી ૧૨ લાખ લઇ ખોટી માળા પધરાવી'તી : માલધારી સોસાયટીના અશ્વિનને પણ આ રીતે છેતર્યાનું ખુલ્યું : છેતરવા માટે સાથે રાખેલી સોનાના મોતીની ખોટી માળા સાથે અર્જુનને પકડી લેવાયોઃ પ્રતાપસિંહ ઝાલા, ધર્મેન્દ્રસિંહ ઝાલા અને પુષ્પરાજસિંહની બાતમી

રાજકોટ તા. ૮: રાજકોટમાં મકાનના પાયા ખોદતી વખતે પ્રાચીનકાળના હાથીના શણગારની સોનાની દોઢ કિલોની માળા મળી છે...એવી વાત કરી મારવાડી શખ્સ અને તેની સાથેના ડોસીમા સહિતનાએ વેરાવળ સોમનાથ રહેતાં અને આરસના મુર્તિ-મંદિર બનાવવાનું કામ કરતાં વેપારી સાથે ૧૨ લાખની ઠગાઇ કરતાં બી-ડિવીઝન પોલીસે ગુનો નોંધ્યો છે. આ બનાવમાં ક્રાઇમ બ્રાંચે સુરેન્દ્રનગર ખાતે ઝૂપડામાં રહેતાં એક મારવાડી શખ્સને પકડી લીધો છે. તેની પાસેથી સોના જેવી ધાતુની માળાનો ઝૂમખો ૯૬૬ ગ્રામનો કબ્જે કરાયો છે. રાજકોટના યુવાનને પણ આ રીતે છેતરી લેવાયાનો ભેદ પણ ખુલ્યો છે.

આ બારામાં બી-ડિવીઝન પોલીસે સોમનાથ વેરાવળના જલારામનગર ક્રિષ્ના સોસાયટી-૪ (બી)માં રહેતાં અને આરસની મુર્તિઓ તથા મંદિર બનાવી વેંચવાનું કામ કરતાં ગુર્જર કડીયા ભાવેશભાઇ ઘિરજલાલ (ઉ.વ. ૪૭)ની ફરિયાદ પરથી દિલીપ મારવાડી, અર્જુન પનાભાઇ મારવાડી અને દિલીપ મારવાડીની માતા તથા અજાણ્યા શખ્સ સામે આઇપીસી ૪૦૬, ૪૨૦, ૧૧૪ મુજબ ઠગાઇનો ગુનો નોંધી અર્જુનને સકંજામાં લીધો છે.

ભાવેશભાઇએ પોલીસને છેતરપીંડીની વિગતો જણાવતાં કહ્યું હતું કે હું પરીવાર સાથે રહું છું અને મારે યોગેશ્વર મુર્તી ભંડાર નામની વેરાવળમાં પાટણ દરવાજા મ્યુનીસીપલ શોપ-૨૯ માં દુકાન છે. ત્યા હુ આરસના મંદિર અને મુર્તી બનાવી વેપાર કરી કરુ છું. મારે સંતાનમા બે દિકરા છે. ગયા વર્ષે મેં નવેમ્બર -૨૦૨૦ મહીનામાં જયપુરથી આરસની ભગવાનની મુર્તી બનાવવા માટે ઓર્ડર આપેલ હતો જેથી ગત તા. ૧૭/૧૧/૨૦૨૦ ના રોજ ટ્રાવેલ્સ મારફતે જયપુરથી રાજકોટ મુર્તી આવતાં તે લેવા માટે હુ અને મારો દિકરો પૃથ્વી ે રાજકોટ ગ્રીનલેંન્ડ ચોકડીએ આવ્યા હતા અને ટ્રાવેલ્સમાં મુર્તી આવી જતા આશરે સવારે ૧૧/૩૦ વાગ્યે અમે મુર્તી લઈ લીધેલ હતી. એ પછી અમે બંને ખાનગી વાહનમાં બેસી વેરાવળ જવા નિકળેલ હતા.

રસ્તામાં ગોંડલ ચોકડી પાસેથી અન્ય પેસેન્જર બેસેલ હતા જેમા એક ભાઇ ઉ.વ. આશરે ૨૫ વર્ષ અને એક બહેન આશરે ૨૨ વર્ષની હતી. આ બંને હિન્દી ભાષા બોલતા હતા અને તેઓને જુનાગઢ જવું હતું. રસ્તામાં નવાગઢ પાસે એક હોટલમા હોલ્ટ થતાં અને ત્યા અમે નાસ્તો કરતા હતા અને આ હિન્દી ભાષી લોકો ગરીબ જેવા લાગતા હોય જેથી મેં તેઓને નાસ્તો કરવા માટે કહેતાં તેમણે નાસ્તો કર્યો હતો. ત્યારે વાતચીતમાં એ ભાઇએ પોતાનું નામ  દિલીપ મારવાડી કહેલ હતું. નાસ્તો કરી પાછા વાહનમાં બેસી ગયેલ હતાં અને રસ્તામાં તે હિન્દી ભાષી દિલીપ મારવાડી મારા વિશે પુછતો હતો જેથી મે કહેલ કે હું સોમનાથ વેરાવળ રહુ છું તો તેણે કહેલું કે મે સોમનાથમાં ક્યારેય તમને જોયા નથી. તમારો ફોન નંબર આપો તેમ કહેતાં અમે બંનેએ એક બીજાના ફોન નંબરની આપ લે કરી હતી.

ત્યારબાદ ત્રણ–ચાર દિવસ પછી આ દિલીપનો મને ફોન આવ્યો હતો અને કહેલું કે હું રાજકોટમા મકાનમાં પાયા ખોદકામની મજૂરી કામ કરૂ છુ અને અમારા શેઠ અમને હેરાન કરે છે અને ખોદકામ દરમ્યાન મને હાથીનો શણગાર વાળી એન્ટીક વસ્તુ મળેલ છે જે મારે વેચી નાખવી છે. ત્યાબાદ આશરે દશેક દિવસ પછી હું અને મારો દિકરો પૃથ્વી રાજકોટ દિલીપને મળવા આવ્યા હતાં.  ત્યારે સવારે આશરે સાડા અગીયારેક વાગ્યે અમે દિલીપને મળેલ હતાં તે વખતે દિલીપ સાથે એક મોટી ઉપરના આશરે ૬૫ વર્ષના માજીં હતાં. દિલીપે આ તેના માતા હોવાનું કહ્યું હતું. અમે આજીડેમ ચોકડીથી આગળ સાઇડમા ઉભા રહેલ હતા અને ત્યા માજીએ અમને સોનાની માળાના બે કટકા બતાવી ચેક કરવા આપી દીધા હતાં. આથી આ લોકો ઉપર મને વિસ્વાસ બેસી ગયો હતો.

સોનાના કટકા મેં વેરાવળમાં ચેક કરાવતા તે સોનાના જ હતાં. જેથી મને દિલીપ ઉપર વધારે વિશ્વાસ બેસી જતાં મેં હાથીની શણગાર ડીઝાઇન વાળી સોનાની માળા ખરીદવાનું નક્કી કર્યુ હતું.  દિલીપે કહેલ કે મારી પાસે આશરે દોઢ કિલોની માળા છે. જેથી મેં આ સોનાની માળા રૂપીયા ૧૨ લાખમાં ખરીદ કરવાનંુનક્કી કરેલ. જેથી હુ અને મારો દિકરો પૃથ્વી બંને રાજકોટ ગઈ તા. ૭/૧/૨૧ના રોજ રોકડા રૂપીયા ૧૨ લાખ લઈને આવેલ હતા અને અમે રાજકોટ મા હોસ્પિટલ ચોકમાં ભેગા થયા હતાં.  આ વખતે દિલીપ સાથે તેના માતા જેનુ નામ મને ખબ૨ નથી એ તથા  દિલીપના સગા અર્જુન ભનાભાઇ મારવાડી અને એક છોકરો હતાં. જેનુ નામ પણ મને ખબર નથી.

આ બધા હતા બાદમાં મને હોસ્પિટલ ચોકથી ભગવતીપરા પુલ નીચે મેલડી માતાજીના મંદિર પાસે લઈ ગયેલ અને ત્યા બપોરે આશરે ૧/૩૦ વાગેલ હતાં. ત્યા પ્રથમ અર્જુન ભનાભાઇ મારવાડીએ મને સોનાના બે કટકા બતાવેલ હતાં. જે મે સોનીના પથ્થ૨થી ચેક કરતા સાચા સોનાના કટકા હતા અને ત્યારબાદ તુરંત જ સોનાની માળા મને ફટાફટ દેખાડી કોઇ જોઇ જશે જ લ્દી કરો, તેમ કહી મારા થેલામાં અર્જુન મારવાડીએ મુકી દીધી હતી અને મેં તેને રૂપીયા આપી દીધા હતાં. ત્યારબાદ બધા તુરંતજ છુટા પડી ગયેલ હતા અને મને વજન વધારે લગેલ જેથી મે હોસ્પિટલ ચોકથી થોડે આગળ જઇ થેલીમા માળાને સોનીના ૫થ્થ૨થી ચેક કરતા આ માળા ખોટી હોવાનુ મને ખબર પડેલ જેથી મારી સાથે ખરા સોનાના નામે રૂપીયા ૧૨ લાખની છેતરપિંડી થયાની ખબર પડી હતી. એ પછી મેં મારી રીતે તપાસ કરી હતી. અંતે ફરિયાદ નોંધાવી છે.

દરમિયાન આ બનવામાં હેડકોન્સ. પ્રતાપસિંહ ઝાલા, કોન્સ. ધર્મેન્દ્રસિંહ ઝાલા અને પુષ્પરાજસિંહ જાડેજાને મળેલી બાતમી પરથી પારેવડી ચોકમાંથી સુરેન્દ્ર નવા જંકશન પાસે ઝૂપડામાં રહેતાં અને પ્લાસ્ટીકના ફુલ બનાવવાનું કામ કરતાં અર્જુન પનાભાઇ સોલંકી (મારવાડી) (ઉ.વ.૨૭)ને પકડી લીધો છે.

આરોપીએ અન્ય એક યુવાન  રાજકોટ માલધારી સોસાયટી-૪માં રહેતાં અશ્વિનભાઇ પ્રવિણભાઇ ભાટીને પણ સોનાનું મોતી વેંચવાના નામે વિશ્વાસમાં લઇ છેતરપીંડી કર્યાનું ખુલ્યું છે. અર્જુન અગાઉ મોબાઇલ ફોનની ચોરીમાં પકડાયો હતો.

પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ડી. વી. બસીયાની રાહબરીમાં પીઆઇ વી. કે. ગઢવી, પીએસઆઇ એમ. વી. રબારી, એએસઆઇ જયુભા પરમાર, દિગુભા જાડેજા, હેડકોન્સ. પ્રતાપસિંહ ઝાલા, હરદેવસિંહ જાડેજા, એભલભાઇ બરાલીયા, પુષ્પરાજસિંહ જાડેજા, ધમભા ઝાલા, સોકતભાઇ ખોરમ, મહેન્દ્રસિંહ જાડેજા સહિતે આ કામગીરી કરી હતી.

(3:05 pm IST)