Gujarati News

Gujarati News

News of Tuesday, 9th February 2021

આંબેડકરનગરનો યુવાન ઘરે જમવા આવ્યા બાદ ફાંસો ખાઇ મોત મેળવી લીધું

બે માસુમ પુત્રોએ પિતાની છત્રછાંયા ગુમાવતાં પરિવારમાં શોક

રાજકોટ તા. ૯: ગોંડલ રોડ એસટી વર્કશોપ પાછળ આંબેડકરનગરમાં રહેતાં મુળજીભાઇ ઉકાભાઇ પરમાર (ઉ.વ.૩૫) નામના યુવાને ઘરે સાંજે સાતેક વાગ્યે ગળાફાંસો ખાઇ લેતાં બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ મોત નિપજતાં સ્વજનો શોકમાં ગરક થઇ ગયા હતાં.

હોસ્પિટલ ચોકીના વાલજીભાઇ નિનામાએ જાણ કરતાં માલવીયાનગર પોલીસ મથકના પીએસઆઇ બી. બી. રાણાએ જરૂરી કાર્યવાહી કરી હતી. આપઘાત કરનાર મુળજીભાઇ બે ભાઇમાં મોટા હતાં અને કારખાનામાં કામ કરતાં હતાં. ગઇકાલે બપોર સુધી કામ કર્યા બાદ તે ઘરે જમવા આવેલ અને એ પછી આ પગલુ ભરી લીધું હતું. કારણ અંગે પરિવારજનો અજાણ હોઇ પોલીસે તપાસ યથાવત રાખી છે.

લિવર કિડની ફેઇલ થતાં રૈયાધારના મહેન્દ્ર પરમારનું મોત

અન્ય બનાવમાં રામાપીર ચોકડી રૈયાધાર મફતીયાપરામાં રહેતો અને આરએમસીની  ગાડીમાં કામ કરતો મહેન્દ્રભાઇ મગનભાઇ પરમાર (ઉ.વ.૩૦) લિવર-કિડની ફેઇલ થઇ ગયા હોઇ ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ તબિબે મૃત જાહેર કરતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. મહેન્દ્ર પરિવારનો એક જ આધારસ્તંભ હતો. તેના મોતથી માસુમ પુત્ર-પુત્રીએ પિતાની છત્રછાંયા ગુમાવી છે.

(3:09 pm IST)