Gujarati News

Gujarati News

News of Tuesday, 9th February 2021

મ.ન.પા.ના અધિકારીઓ માટે ઈલેકટ્રીક કારની વિચારણાઃ માર્ચમાં બસ દોડવા લાગશે

૫૦ બસ મંજુર થયેલઃ પ્રથમ તબક્કે બીઆરટીએસ પર ૨૦ બસ દોડશે

રાજકોટ તા. ૯ :. શહેરને પ્રદૂષણમુકત કરવા અને બિનપરંપરાગત ઉર્જાનો ઉપયોગ વધારવાની યોજના હેઠળ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કેન્દ્ર સરકારના સહયોગથી શહેરમાં ઇલેકટ્રીક બસ દોડાવવાની યોજના અમલી બનાવવામાં આવનાર છે. આ માટે રાજકોટને કુલ ૧૫૦ બસ ફાળવવામાં આવનાર છે. તબક્કાવાર જરૂરીયાત મુજબ ઇલેકટ્રીક બસ શરૂ થશે. જેમાં માર્ચથી બી.આર.ટી.એસ. ૨૦ તેમજ મનપાના અધિકારીઓ માટે ઈલેકટ્રીકલ કાર લેવાની વિચાર હોવાનુ મનપાના સુત્રોમાંથી જાણવા મળી રહ્યુ છે.

આ અંગે સત્તાવાર સૂત્રોના જણાવ્યા પ્રમાણે ઉર્જા બચત અને પ્રદૂષણ નિવારણની અનેક યોજનાઓને રાજકોટ મહાનગરપાલિકાએ સાકાર કરી છે ત્યારે હવે ઇલેકટ્રીક બસ દોડાવવાનો પ્રોજેકટમા જ અમલી બનશે.

આ માટે અગાઉ સરકારે ૫૦ ઇલેકટ્રીક બસ મંજુર કરી હતી અને હવે વધુ ૧૦૦ ઇ-બસ મંજુર કરાઇ છે. આમ કુલ ૧૫૦ ઇ-બસ મળનાર છે. પ્રથમ તબક્કે ૨૦ બસ માર્ચ મહીનાથી પ્રથમ તબક્કામાં મળનાર ઇ-બસને બી.આર.ટી.એસ. રૂટ ઉપર દોડાવવાનું આયોજન છે. ત્યારબાદ તબક્કાવાર જરૂરીયાત મુજબ ઇ-બસોની સંખ્યા વધારવામાં આવશે અને તમામ સીટી બસ તથા બી.આર.ટી.એસ. રૂટમાં બસ ઇલેકટ્રીક બસ દોડાવવામાં આવશે.

ઇ-બસથી તંત્રને સંચાલન ખર્ચમાં દ્યટાડો થશે. કેમકે કેન્દ્ર સરકાર દ્વારા યોજના હેઠળ ઇલેકટ્રીક બસ ચલાવવા માટે તેના વપરાશ પર પ્રતિ કિ.મી. રૂ. ૨૫ સુધીની સબસીડી પણ આપનાર છે.

વધુમાં સુત્રોના જણાવ્યા પ્રમાણે મનપાના વર્ગ-૧ના અધિકારીઓ માટે ઈલેકટ્રીક કાર લેવાની વિચારણા ચાલી રહી છે પરંતુ ૧ કારની કિંમત ૨૦ લાખ હવાની રાજ્ય સરકારની ગ્રાન્ટ મળે તો જ ખરીદી કરી શકાય તેમ છે.

શહેરમાં ઇલેકટ્રીક બસો દોડવા લાગશે જેનાથી પ્રદૂષણમાં દ્યટાડો થશે. અને શહેરમાં શુધ્ધ પ્રાણવાયુનું પ્રમાણ વધશે.

(4:05 pm IST)