Gujarati News

Gujarati News

News of Friday, 9th July 2021

પડધરીમાં નાસીરખાન અને તેના પત્નિ નુરજંહાબેન પર પડોશીઓનો હુમલો

મુસ્લિમ દંપતિના છોકરાઓને ઘર પાસે રમવાની ના પાડી ડખ્ખો કરાયો :નુરજંહાબેનને હાથમાં કડુ મારી દેવાતાં ફ્રેકચર

રાજકોટ તા. ૯:પડધરી મેમણ શેરીમાં રહેતાં નાસીરખાન બહાદુરખાન દાયણા (બ્લોચ) (ઉ.વ.૫૬) અને તેના પત્નિ નુરજંહાબેન નાસીરખાન દાયણા (ઉ.વ.૪૮) પર પડોશમાં જ રહેતાં ભરત ભરવાડ તથા તેના કોૈટુંબીક ભાઇઓ વીભા, કમલેશ સહિતે હુમલો કરી ઢીકા-પાટુનો માર મારી અને કડાથી માર મારતાં બંને પતિ-પત્નિને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. જેમાં પત્નિને હાથમાં ફ્રેકચર હોવાનું નિદાન થયું હતું.

પતિ-પત્નિ રાજકોટ દાખલ થતાં હોસ્પિટલ ચોકીના રાજુભાઇ ગીડાએ પડધરી પોલીસને જાણ કરી હતી. નાસીરખાનના પુત્ર જાબીરના કહેવા મુજબ અમારા ઘર નજીક મારા બે નાના ભાઇઓ રમતા હતાં ત્યારે ભરત દારૂ પીધેલી હાલતમાં આવ્યો હતો અને અહિ રમવા ભેગુ ન થવું, ઘર ભેગા થાવ તેમ કહી ગાળો ભાંડતા મારા પિતા અને માતા તેને સમજાવવા જતાં તે ઉશ્કેરાઇ ગયો હતો અને તેના ભાઇઓ સાથે મળી હુમલો કર્યો હતો. મારા મમ્મીને જમણા હાથમાં કડુ મારતાં તેને ફ્રેકચર થઇ ગયું હતું. પડધરી પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

(11:15 am IST)