Gujarati News

Gujarati News

News of Friday, 9th October 2020

મહેશ્વરી સોસાયટીના અયુબભાઇ અને તેના પત્નિને રૈયાધારના ઓસમાણની ધમકી

જુનુ મનદુઃખ કારણભુતઃ ભકિતનગર પોલીસે આરોપીની ધરપકડ કરી

રાજકોટ તા. ૯: મહેશ્વરી સોસાયટીમાં રહેતાં મુસ્લિમ યુવાન અને તેના પત્નિને રૈયાધારના મુસ્લિમ શખ્સે અગાઉના મનદુઃખનો ખાર રાખી ગાળો દઇ મારી નાંખવાની ધમકી આપતાં પોલીસે ગુનો નોંધ્યો છે.

આ બારામાં ભકિતનગર પોલીસે મહેશ્વરી સોસાયટી-૨-બીમાં 'અરમાન' ખાતે રહેતાં અને પીપળીયા હોલ પાસે જૈમીન ગોડાઉનમાં કીપર તરીકે કામ કરતાં અયુબભાઇ માહમદભાઇ કડીવાર (ઉ.વ.૪૨)ની ફરિયાદ પરથી રૈયાધાર મફતીયાપરા ફિલ્ટર પ્લાન પાસે રહેતાં ઓસમાણ સુલેમાનભાઇ જુલાયા (ઉ.૪૭) સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી લેવામાં આવી છે.

અયુબભાઇએ ફરિયાદમાં જણાવ્યું છે કે ગુરૂવારે બપોરે સાડા ત્રણેક વાગ્યે મારા પત્નિ ફરહાનાએ ફોન કરી વાત કરેલી કે ઓસમાણ ફકીર ઘર પાસે આવ્યો છે અને ઝઘડો કરે છે તેમજ મારવાની ધમકી આપે છે. આથી હું ગોડાઉનથી ઘરે આવ્યો હતો. ઓસમાણ મારા ઘર પાસે દકેકરો કરી ઝઘડો કરતો હોઇ તેને ના પાડતાં વધુ ઉશ્કેરાયો હતો અને મને ગાળ દઇ મારી નાંખવાની ધમકી આપતાં મેં પોલીસને બોલાવી હતી.

અયુબભાઇએ વધુમાં જણાવ્યું હતું કે અગાઉ અમે સાતેક વર્ષ પહેલા રસુલપરામાં રહેતાં હતાં ત્યારે ઓસમાણ પણ પડોશમાં રહેતો હતો. તે વખતે માથાકુટ થઇ હોઇ તેનું મનદુઃખ ચાલતું હોઇ જેનો ખાર રાખી ઓસમાણે ફરીથી ડખ્ખો કર્યો હતો.

એએસઆઇ સુભાષભાઇ વી. ડાંગરે આરોપીની ધરપકડ કરી છે. તે કડીયા કામની મજૂરી કરે છે.

(12:49 pm IST)