Gujarati News

Gujarati News

News of Wednesday, 10th February 2021

પં. દીનદયાળજીના વિચારોમાં રાષ્ટ્ર અને સમાજને સમૃધ્ધ બનાવવાની તાકાત હતી : રાજુભાઇ ધ્રુવ

રાજકોટ તા. ૧૦ : દેશની એકતા, અખંડિતતા, સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ સાથે સુશાનની વિચારધારાના પ્રણેતા અને જનસંઘ ભાજપના આરાધ્ય પુરૂષ પં. દીનદયાળ ઉપાધ્યાયજીના નિર્વાણદિન નિમિતે પં. દીનદયાળ ઉપાધ્યાય ફાઉન્ડેશનના સ્થાપક રાજુભાઇ ધ્રુવે ભાવાંજલી અર્પણ કરતા જણાવેલ કે પં. દીનદયાળજી એક મહાન રાષ્ટ્રાવાદી ચિંતક, વિચારક, સંગઠક, શિક્ષણશાસ્ત્રી, રાજનીતિજ્ઞ, વકતા, લેખક, પત્રકાર, સાહિત્યકાર અને ભારતીય સંસ્કૃતિના પ્રખર પુરસ્કર્તા હતા. આ આદર્શ રાજપુરૂષના સંકલ્પો પુરા કરીએ એજ તેમને સાચી શ્રધ્ધાંજલી ગણાશે.

તેમના જીવકાર્યોની યાદોને તાજી કરી યુવા પેઢી સુધી પહોંચાડવાના પ્રયાસરૂપી ભાવ વંદના કરતા રાજુભાઇએ જણાવેલ કે પં. દિનદયાળ ઉપાધ્યાય એટલે અનેકોને રાજકીય ક્ષેત્રે પ્રેરણા અને પ્રોત્સાહન પુરૂ પાડનાર અમર વ્યકિતત્વ. સામાજીક અને રાજકીય ક્ષેત્રે તેમણે કરેલુ ઋષિકાર્ય આજે અનેકોનો પથ પ્રકાશિત કરે છે. તેઓ જન્મથી નહીં પરંતુ કર્મથી મહાન હતા. એમના સમગ્ર જીવનનેો સાર એક વાકયમાં વ્યકત કરવો હોય તો કહી શકાય કે તેમણે સંઘર્ષપૂર્ણ જીવનમાં હંમેશા શ્રેષ્ઠતાને પ્રસ્થાપિત કરી.

પંડીતજીનો એકાત્મ માનવવાદ સર્વે જનઃ સુખિનઃ સન્તુ એટલે કે હું એકલો નહીં, સૌ સુખી થાયની ભાવનાને પ્રગટ કરતુ અલૌકિક ચિંતન છે. તેમ આજે તેમની પુણ્યતીથીએ કોટી કોટી વંદન કરતા રાજુભાઇ ધ્રુવે જણાવેલ છે.

(3:06 pm IST)