પ્રેમબહાદુર બન્યો ક્રુર: ઇન્દિરા સર્કલ પાસેના અજંતા એપાર્ટમેન્ટના સિકયુરીટી રૂમમાં રહેતાં નેપાળી શખ્સ પ્રેમબહાદુરે પોતાના શરીરમાં ગુજરી ગયેલા દાદીમા આવે છે તેવું કહી ધૂણવા માંડી પત્નિ, કાકા સાથે માથાકુટ કર્યા બાદ મોડી રાત સુધી ધૂણવાનું ચાલુ રાખી બાદમાં ધૂળેટી પર્વની વહેલી સવારે ઉંઘમાં રહેલી પત્નિના ગળા પર છરીનો ઘા ઝીંકી દીધા બાદ માસુમ પુત્રી અને પુત્રના ગળા પર પણ ઘા ઝીંક્યા હતાં. જેમાં દિકરીનો જીવ ગયો હતો. પ્રથમ તસ્વીરમાં હત્યારો પ્રેમ તેની પત્નિ અને સંતાનો સાથે જોઇ શકાય છે, કોઇ કલ્પના પણ ન કરી શકે કે આ શખ્સ પોતાના પરિવારનો વેરી બની જશે! અન્ય તસ્વીરમાં હત્યાનો ભોગ બનેલી ત્રણ મહિનાની લક્ષ્મીનો નિષ્પ્રાણ દેહ, તેનો ફાઇલ ફોટો અને હુમલામાં બચી ગયેલી પત્નિ બસંતી તથા ગંભીર રીતે ઘાયલ થયેલો પુત્ર નિયત જેનું પણ રાતે મોત થયું હતું તે જોઇ શકાય છે.
રાજકોટ તા. ૮: ‘મારા શરીરમાં ગુજરી ગયેલા દાદીમા આવે છે, તે મને કહે છે કે તે તનેઅને બાળકોને મારી નાંખશે'...પોતાની પત્નિ સામે ધુણતા ધુણતાં આવું રટણ કરનારા નેપાળી શખ્સે ધૂળેટી પર્વની વહેલી સવારે ભરઉંઘમાં રહેલી પત્નિ, ચાર વર્ષના પુત્ર અને ત્રણ મહિનાની ફુલડા જેવી દિકરીના ગળા પર છરી હુલાવી દેતાં તેમાં ત્રણ મહિનાની દિકરીનું મોત નિપજતાં અરેરાટી વ્યાપી ગઇ હતી. દિકરીની હત્યા અને પત્નિ-પુત્રની હત્યાનો પ્રયાસ કરી આ નેપાળી શખ્સ ભાગી જાય એ પહેલા યુનિવર્સિટી પોલીસે તેને પકડી લીધો હતો. સારવાર દરમિયાન રાત્રે ચાર વર્ષના પુત્રનું પણ મોત નિપજતાં બનાવ ડબલ મર્ડરમાં પરિણમ્યો હતો. અંધશ્રધ્ધામાં આવી ગયેલા નેપાળી શખ્સે રાક્ષસ જેવુ કૃત્ય આચરતાં સોૈ તેના પર ફિટકાર વરસાવી રહ્યા છે.
ઘટના એવી છે કે ઇન્દિરા સર્કલ પાસે જલારામ ચીકી પાછળ અજંતા એપાર્ટમેન્ટના પાર્કિંગમાં આવેલા સિક્યુરીટી રૂમમાં ધૂળેટીની સવારે બસંતી પ્રેમબહાદુર સાઉદ
(ઉ.વ.૨૫), તેના પુત્ર નિયત (ઉ.વ.૪) અને પુત્રી લક્ષ્મી (ઉ. ૩ મહિના)ને ધૂળેટીની વહેલી સવારે પતિ પ્રેમબહાદુર જ્યોતિબહાદુર સાઉદે ગળા પર છરીના ઘા મારી દેતાં ત્રણેયને લોહીલુહાણ હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પણ અહિ બાળકી લક્ષ્મીનો મૃતદેહ જ પહોંચ્યાનું જાહેર થયું હતું. હોસ્પિટલ ચોકીના જીજ્ઞેશભાઇ મારૂએ તુરત જ ઘટનાની જાણ સંબંધીત પોલીસ સ્ટેશનમાં કરી હતી. એ પછી સારવારમાં રાતે ૪ વર્ષના નિયતનું પણ મોત થયું હતું.
યુનિવર્સિટી પોલીસે આ બનાવમાં બસંતી પ્રેમબહાદુર સાઉદ (નેપાળી) (ઉ.વ.૨૫)ની ફરિયાદને આધારે તેણીના પતિ પ્રેમબહાદુર જ્યોતિબહાદુર સાઉદ (ઉ.વ.૨૭) વિરૂધ્ધ આઇપીસી ૩૦૨, ૩૦૭, ૩૨૪, ૩૨૩, ૩૭ (૧), ૧૩૫ મુજબ હત્યા-હત્યાની કોશિષનો ગુનો નોંધી આરોપીને સકંજામાં લીધો હતો.
હોસ્પિટલના બિછાનેથી બસંતી સાઉદે જણાવ્યું હતું કે હું પતિ અને બાળકો સાથે રહુ છું. મારે સંતાનમાં પુત્ર નિયત (ઉ.વ.૪) તથા પુત્રી લક્ષ્મી (ઉ.૩ મહિના) છે. છેલ્લા ચારેક વર્ષથી અમે ઇન્દિરા સર્કલ પાસે અજંતા એપાર્ટમેન્ટના સિક્યુરીટી રૂમમાં રહીએ છીએ. અમારુ મુળ વતન નેપાળના ટીકાપુર જીલ્લાના બટનપુર ગામ છે. હું એપાર્ટમેન્ટમાં અલગ અલગ ફલેટમાં કચરા પોતાનું કામ કરુ છું અને મારો પતિ પ્રેમબહાદુર ચોકીદારી કરવાની સાથે સાથે ગાડીઓ ધોવાનું કામ કરે છે.
છેલ્લા બે વર્ષથી અમારી સાથે મારા કાકાજી ભગતસિંગ સાઉદ પણ રહેવા આવ્યા છે. જે અલગ અલગ હોટેલોમાં કામ કરે છે. તેમની પાસે રહેવા માટે કોઇ જગ્યા ન હોવાથી તે અમારી સાથે જ રહે છે. મંગળવારે ૭મીએ રાતે પોણા બારેક વાગ્યે મારા કાકાજી સસરા ભગતસિંગ અમારા રૂમમાં આવેલ અને મારા પતિએ દરવાજો ખોલ્યો હતો. આ વખતે જ મારા પતિ પ્રેમબહાદુરના શરીરમાં તેના ગુજરી ગયેલા દાદીમા ગોમતી સાઉદ આવ્યા હતાં. અગાઉ પણ મારા પતિના શરીરમાં તેના દાદીમા આવતાં હોઇ તે ધુણવા માંડતા હતાં. આ વખતે પતિએ ધુણતા ધુણતા કહ્યું હતું કે-દાદીજી કહે છે એટલે હું બાળકોને મારી નાંખીશ. આથી મેં પતિને કહેલું કે તું ખોટા નાટક કરે છે.
મારા કાકાજી ભગતસિંગે પણ મારા પતિને કહેલું કે તું ખોટુ બોલવાનું બંધ કર. જેથી મારા પતિ અને કાકાજી ભગતસિંગ વચ્ચે ઝઘડો થયો હતો અને પતિએ મારા કાકાજી ભગતસિંગને લાફો મારી દીધો હતો. મેં વચ્ચે પડી બંનેને છોડાવ્યા હતાં. ત્યારબાદ રાતના દોઢેક વાગ્યે અમે બધા સાથે જમ્યા હતાં. એ પછી મારા કાકાજી ભગતસિંગ ફલેટના પાર્કિંગની પાછળ સુવા જતાં રહ્યા હતાં.
આ પછી પણ મારા પતિએ કહ્યું હતું કે મને દાદીએ કહેલું છે કે તે બધાને મારી નાંખશે. આવો બકવાસ મારા પતિએ દોઢેક કલાક ચાલુ રાખ્યો હતો. રાત્રે પોણા ત્રણેક વાગ્યા સુધી હું જાગતી જ હતી અને બાદમાં મને બેઠા બેઠા જ નીંદર ચડી ગઇ હતી. મારી બાજુમાં જ મારા બંને બાળકો સુતા હતાં. એ પછી અચાનક મારા પતિએ છરીથી મારા ગળા પર ઘસરકો મારી દીધો હતો. આથી હું ચીસ પાડી જાગી ગઇ હતી અને મને લોહી નીકળવા માંડયું હતું. એ પછી પતિએ મારા બાળકોને છરી મારવા હાથ ઉગામતાં મેં તેને ધક્કો મારી છરી પકડી લીધી હતી. જેથી મને ડાબા હાથના આંગળામાં ઇજા થઇ હતી.
ત્યારબાદ પતિએ ફરીથી મારા બાળકો પર છરીથી હુમલો કરવા પ્રયાસ કરતાં હું દોડીને બહાર પાર્કિંગ પાછળ સુતેલા મારા કાકાજી ભગતસિંગને બોલાવી લાવી હતી. ત્યારે મારો પતિ મારી દિકરી લક્ષ્મીને છરી મારતો હતો, દિકરી લોહીલુહાણ થઇ ગઇ હતી. બાજુમાં મારો દિકરો નિયત હતો તે પણ મને લોહીલુહાણ જોવા મળ્યો હતો. તે ડચકા ખાતો દેખાયો હતો. તેને પણ ગળામાં છરીનો ઘા મારવામાં આવ્યો હતો. હું અને કાકાજી ભગતસિંગ આવતાં મારો પતિ ભાગી ગયો હતો. જેથી હુ઼ બંને બાળકોને લોહીલુહાણ હાલતમાં તેડીને એપાર્ટમેન્ટની નજીક મારા સાસુ તારાબેન સાઉદ જે શિલ્પનમાં રહે છે ત્યાં પહોંચી હતી. સસરા પણ ત્યાં જ રહે છે. આ બંનેને જગાડીને મેં ઘટનાની જાણ કરી હતી. બાદમાં મારા નણદોયા દિપેન્દ્ર છતીને ફોન કરીને બોલાવ્યા હતાં અને ૧૦૮ને બોલાવી ૧૦૦ નંબરમાં પણ ફોન કર્યો હતો.
૧૦૮ આવતાં મને, દિકરી અને દિકરાને સિવિલ હોસ્પિટલે પહોંચાડવામાં આવ્યા હતાં. પરંતુ ત્રણ મહિનાની મારી દિકરી લક્ષ્મીને ડોક્ટરે મૃત જાહેર કરી હતી. મારા દિકરા નિયતને ગળામાં ગંભીર ઇજા થઇ હોઇ તેને ઓપરેશનમાં લઇ જવાયો હતો. મને ગળા પર ઘસરકો થયો હોઇ અને હાથની આંગળીમાં ઇજા થઇ હોઇ ટાંકા લેવામાં આવ્યા હતાં.
આ ઘટનામાં એવું કારણ છે કે મારો પતિ પ્રેમબહાદુર એવું માનતો હતો કે મારા દાદીજી સાસુ ગોમતી સાઉદ જે બે વર્ષ પહેલા ગુજરી ગયા છે તે તેના શરીરમાં આવીને તેને કહે છે કે તે મને અને મારા બાળકોને મારી નાંખશે. આવી વાત મારો પતિ અવાર-નવાર ધુણીને કહેતો હતો કે દાદીમાં મારા શરીરમાં આવ્યા છે તે તને અને બાળકોને મારી નાંખશે. ઘટના બની એ રાતે પણ મારા પતિએ આવો બકવાસ કર્યો હતો અને એ કારણે મારા કાકાજી સાથે માથાકુટ થઇ હતી. ત્યારબાદ વહેલી સવારે મારા પતિએ છરીથી હુમલો કરી દીધો હતો અને મારા તથા મારા પુત્ર-પુત્રીના ગળા પર છરી ફેરવી દીધી હતી. જેમાં મારી પુત્રીનું મોત થયું હતું. મને અને પુત્રને મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો.
ઘટના સંદર્ભે પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, સંયુક્ત પોલીસ કમિશનર સોૈરભ તોલંબીયા, ડીસીપી સુધીરકુમાર દેસાઇ, એસીપી પંડયાની રાહબરીમાં પીઆઇ એ. બી. જાડેજા, પીએસઆઇ ડી.આર. રત્નુ, ભગીરથસિંહ ખેર, લક્ષમણભાઇ મકવાણા, મેહુલસિંહ ચુડાસમા, કે. કે. પટેલ સહિતએ ફરિયાદની કાર્યવાહી કરી હતી.
ડી. સ્ટાફના પીએસઆઇ બી. વી. ઝાલા તથા ટીમના યુવરાજસિંહ ઝાલા, સિધ્ધરાજસિંહ જાડેજા, ગોપાલસિંહ જાડેજા, મહિપાલસિંહ જાડેજા, દિવ્યરાજસિંહ જાડેજા, વનરાજભાઇ લાવડીયા, પ્રકાશભાઇ કોડીયાતર, અજીતસિંહ પરમાર સહિતની ટીમે કાર્યવાહી કરી અને આરોપી ભાગી જાય એ પહેલા પકડી લીધો હતો. તેણે પોતાને દાદીમાં શરીરમાં આવતાં હોવાનું અને તેના કહેવાથી આમ કર્યાનું રટણ કર્યુ હતું. તેની માનસિક સ્થિતિ અંગે પણ પોલીસ તપાસ કરાવશે. આ ઘટનાએ શહેરભરમાં અરેરાટી ફેલાવી દીધી હતી.
નેપાળી શખ્સના આવા દાદીમાં પેંડમાં આવતાં હોવાના નાટકને પગલે તેની માસુમ ફુલડા જેવી ત્રણ જ મહિનાની દિકરી અને ૪ વર્ષના માસુમ પુત્રની તેના હાથે હત્યા થઇ જતાં સોૈ કોઇ ફિટકાર વરસાવી રહ્યા છે. પ્રેમબહાદુરની વિધીસર ધરપકડ બાદ પોલીસ આગળ કાર્યવાહી કરશે.
કાનમાં સીટી સંભળાય છે પછી ધ્રુજારી આવે છે અને પછી દાદીમાં શરીરમાં આવે છે...હત્યારા પ્રેમબહાદુરનું રટણ
ઞ્જ દિકરીની હત્યા અને પત્નિ-પુત્રની હત્યાનો પ્રયાસ કરી ભાગી ગયેલા આરોપી પ્રેમબહાદુર જ્યોતિબહાદુર સાઉદને પોલીસે દબોચી લીધો હતો. તેણે એવું રટણ કર્યુ હતું કે મારા શરીરમાં મારા ગુજરી ગયેલા દાદીમાં આવે છે. મને કાનમાં પહેલા સીટી સંભળાય છે, પછી શરીર ધ્રુજવા માંડે છે અને ત્યારપછી દાદીમાં મારા શરીરમાં આવી જાય છે. તેણે જ આ બધાને માર્યા છે! પ્રેમબહાદુરની માનસિક હાલત અંગે પણ પોલીસ તપાસ કરાવશે. આ ઘટના પાછળ બીજુ કોઇ કારણ તો નથી ને? તેની પણ તપાસ થઇ રહી છે.
બસંતીએ કહ્યું-અમને ત્રણેયને પતિ પતાવી દેવાનો હતો, મેં સામનો કર્યો અને દિકરા-દિકરીને લોહીલુહાણ હાલતમાં લઇને ભાગી પણ...
ઞ્જપતિના હીચકાર હુમલામાં બચી ગયેલી પત્નિ લક્ષમી સાઉદે હોસ્પિટલના બિછાનેથી કહ્યું હતું કે પતિ પ્રેમબહાદુર ઘણા સમયથી વારંવાર ધૂણવાનું ચાલુ કરી દેતો હતો અને કહેતો હતો કે મારા શરીરમાં ગુજરી ગયેલા દાદીમા ગોમતીદેવી આવે છે, તે તમને બધાને (એટલે કે મને અને મારા બાળકોને) મારી નાંખવાનું કહે છે. પણ પતિની આવી વાતને હું સાચી માનતી નહોતી અને તે નાટક કરતો હોવાનું સમજતી હતી. મંગળવારે રાતે પોણા બારેક વાગ્યે પતિએ ફરી ધૂણવાનું અને દાદીમા મારી નાંખશે એવું બોલવાનું ચાલુ કરી માથાકુટ કરી હતી. એ પછી અમે સુઇ ગયા હતાં અને ધૂળેટીની વહેલી સવારે તે છરી કાઢી તૂટી પડયો હતો. પહેલા મારા ગળે છરી હુલાવી હતી, મેં સામનો કર્યો હતો અને બાજુમાંથી કાકાજીને બોલાવવા ગઇ હતી. ત્યાં તેણે દિકરા અને દિકરીના ગળા પર છરી હુલાવી દીધી હતી. એ અમને બધાને મારી નાંખવાનો હતો. હું જેમ તેમ કરી મારા બાળકોને બચાવીને નજીકમાં રહેતાં સાસુ સસરા પાસે ગઇ હતી અને ત્યાંથી અમને હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પણ મારી દિકરી બચી શકી નહોતી. તેમજ સારવાર દરમિયાન દિકરાનો પણ જીવ જતો રહ્યો હતો. તેમ વધુમાં લક્ષ્મીએ જણાવ્યું હતું.
રાત્રે નિયતના મોતને પગલે સગાનો વોર્ડમાં હંગામોઃ પોલીસ બોલાવવી પડી
સારવારમાં ધ્યાન નહિ અપાયાનો આક્ષેપ કરાયોઃ જો કે તબિબોએ તુરંત ઓપરેશન હાથ ધરી ૪ વર્ષના નિયતને બચાવવા ખુબ પ્રયાસ કર્યા હતાં
ઞ્જપિતાએ ગળા પર ઝીંકેલા છરીના ઘાથી ત્રણ માસની બાળકીનું સવારે જ મોત થયું હતું. જ્યારે ૪ વર્ષના નિયતને બચાવવા તબિબોએ ભરપુર પ્રયાસ કર્યા હતાં. પરંતુ સારવાર દરમિયાન રાતે નિયતનો પણ જીવ જતો રહ્યો હતો. આ બનાવને પગલે સગાઓએ હંગામો મચાવી સારવારમાં બેદરકારીનો આક્ષેપ કરતાં અને વોર્ડમાં દેકરો મચાવતાં રેસિડેન્ટ તબિબે જાણ કરતાં સિનીયર ડો. એમ. સી. ચાવડાએ ૧૦૦ નંબરમાં ફોન કરતાં પોલીસ આવી હતી. પછી મામલો થાળે પડયો હતો.