Gujarati News

Gujarati News

News of Saturday, 10th June 2023

સગર્ભાઓનું ખાસ કાઉન્‍સેલિંગ કરો : પ્રભવ જોષી

બાળ મરણ - માતા મરણ અટકાવો : આરોગ્‍ય વિભાગની સમીક્ષા બેઠક યોજાઇ

રાજકોટ તા.  ૧૦ :  જિલ્લા પંચાયત, રાજકોટ ખાતે જિલ્લા વિકાસ અધિકારીશ્રી દેવ ચૌધરીના અધ્‍યક્ષ સ્‍થાને તાલુકા હેલ્‍થ ઓફિસરશ્રીઓ તથા પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્ર તથા શહેરી પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્રના તમામ મેડીકલ ઓફિસરની સમીક્ષા બેઠક યોજાઇ હતી. જેમાં જિલ્લા આરોગ્‍ય અધિકારીશ્રી ડો. નિલેશ રાઠોડ, રી-પ્રોડકટિવ ચાઈલ્‍ડ હેલ્‍થ ઓફિસર(આર.સી.એચ.ઓ.) ડો.એમ. એસ. અલી, એડિશનલ ડિસ્‍ટ્રિકટ હેલ્‍થ ઓફિસર (એ.ડી.એચ.ઓ.) ડો. પી.કે.સિંહે વિસ્‍તૃત ચર્ચા કરી હતી.

આ તકે કલેકટર પ્રભવ જોશીએ માતા મરણ અને બાળ મરણ અટકાવવા અંગે જરૂરી પરામર્શ સાધી માતા મરણ અટકાવવા અંગે સગર્ભાઓનું કાઉન્‍સેલિંગ ઉપર સવિશેષ ભાર મૂક્‍યો હતો તથા હાઈ રિસ્‍ક સગર્ભાઓનું જિલ્લા કક્ષાએથી ટેલીફોનિક કાઉન્‍સેલિંગ કરવા અંગે જરૂરી માર્ગદર્શન આપ્‍યું હતું. ગોંડલ અને ઉપલેટા ખાતે ‘સ્‍પેશિયલ ન્‍યુબોર્ન કેર યુનિટ' શરૂ કરવા માટે કામગીરી હાલ પ્રગતિ હેઠળ છે, જે ટૂંક સમયમાં શરૂ થઈ જતાં આસપાસનાં ગ્રામ્‍ય વિસ્‍તારના નવજાત શિશુઓની સારવાર માટે દૂર સુધી જવું નહિ પડે. ‘કુપોષણમુક્‍ત ગુજરાત' અભિયાન અંતર્ગત સી.એમ.ટી.સી. માં વધુને વધુ બાળકોને લાભ મળે તે માટે માર્ગદર્શિત કરવામાં આવ્‍યા હતા.

આ તકે આરોગ્‍ય ક્ષેત્રની અગ્રેસર એવી ‘યંગ ઇન્‍ડિયા' સંસ્‍થા દ્વારા જિલ્લાના તમામ પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્ર અને શહેરી પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્રને ૬૨ ઈકો કાર્ડિયોગ્રામ (ઈ.સી.જી.) પોર્ટબલ મશીન આપવામાં આવ્‍યા હતા. જેની મદદથી ઇકો કાર્ડિયોગ્રામની વિનામૂલ્‍યે તપાસ થઇ શકશે. હૃદયની બીમારીમાં મેડિકલ ઈમરજન્‍સી સમયે યોગ્‍ય સારવાર કે યોગ્‍ય સ્‍થળે સમયસર રીફર કરી લોકોની જિંદગી બચાવી શકાશે. સમગ્ર રાજયમાં રાજકોટ જીલ્લો આ બાબતે પ્રથમ બની ગયો છે.

(4:44 pm IST)