Gujarati News

Gujarati News

News of Thursday, 11th February 2021

એસટી ડ્રાઇવર શક્‍તિસિંહ નોકરી પુરી કરીને ઘરે આવ્‍યા, ડેલી ખખડાવી ત્‍યાં જિંદગીની સફર પુરી

સરિતા વિહાર સોસાયટીમાં બનાવઃ ડેલીએ જ બેભાન થઇ ઢળી પડયાઃ પરિવારમાં શોક

રાજકોટ તા. ૧૧: જિંદગીની સફરનો અંત ગમે ત્‍યારે અને ગમે તે રીતે આવી જતો હોય છે. યુનિવર્સિટી રોડ પર સરિતા વિહાર સોસાયટી બ્‍લોક નં. ૧૬૫માં રહેતાં અને એસટીમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવતાં શક્‍તિસિંહ સજ્જનસિંહ ઝાલા (ઉ.વ.૫૪) સાથે આવુ જ બની ગયું હતું. સાંજે તેઓ નોકરી પુરી કરી ઘરે પહોંચ્‍યા અને ડેલી ખખડાવી ત્‍યાં જ એકાએક ઢળી પડયા હતાં અને જિંદગીની સફરનો અંત આવી ગયો હતો.

શક્‍તિસિંહ ઝાલા રાજકોટ એસટી ડેપોમાં નોકરી કરતાં હતાં. સાંજે જામનગરથી રાજકોટ રૂટની બસ લઇ રાજકોટ આવી નોકરી પુરી થતાં ઘરે પહોંચ્‍યા હતાં. અહિ ડેલી ખખડાવી હતી. સ્‍વજન ડેલી ખોલવા આવ્‍યા ત્‍યાં શક્‍તિસિંહ નીચે પડી ગયેલા દેખાતાં તુરત જ ખાનગી હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ તબિબે નિષ્‍પ્રાણ જાહેર કરતાં કલ્‍પાંત સર્જાયો હતો. હાર્ટએટેક આવી ગયાનું ખુલ્‍યું હતું.

બનાવ અંગે યુનિવર્સિટીના હેડકોન્‍સ. અજયસિંહ ચુડાસમા અને દિપકભાઇએ જરૂરી કાર્યવાહી કરી હતી. મૃતક શક્‍તિસિંહને સંતાનમાં બે પુત્ર છે. જેમાં એક હોમગાર્ડ તરીકે ફરજ બજાવે છે.

(11:50 am IST)