Gujarati News

Gujarati News

News of Thursday, 12th November 2020

કણકોટ પાસે વર્ધમાન વિહારમાં ચંદુભાઇ મકવાણાનો ગળાફાંસો ખાઇ આપઘાત

ત્રણ સંતાને પિતાની છત્રછાંયા ગુમાવીઃ પથરીનો દુઃખાવો રહેતો હતો કદાચ તેનાથી કંટાળી ગયાની શકયતાઃ સાચુ કારણ જાણવા તપાસ યથાવત

રાજકોટ તા. ૧૨: કાલાવડ રોડ પર કણકોટ નજીક લાભુભાઇ ત્રિવેદી કોલેજની સામે વર્ધમાન વિહાર સોસાયટીમાં રહેતાં ચંદુભાઇ નથુભાઇ મકવાણા (ઉ.વ.૪૦) નામના યુવાને સાંજે ઘરે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો છે.

ચંદુભાઇએ સાંજે સાડા ચારેક વાગ્યે રૂમમાં પગલુ ભરી લીધું હતું. પત્નિ જમનાબેન જોઇ જતાં દેકારો મચાવતાં બીજા લોકો ભેગા થઇ ગયા હતાં અને ચંદુભાઇને બેભાન હાલતમાં નીચે ઉતારી સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતાં. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. હોસ્પિટલ ચોકીના સ્ટાફે તાલુકા પોલીસને જાણ કરતાં હેડકોન્સ. રમેશભાઇ ચોૈહાણે જરૂરી કાર્યવાહી કરી હતી.

આપઘાત કરનાર ચંદુભાઇસેન્ટીંગ કામની મજૂરી કરતાં હતાં. બે ભાઇ અને એક બહેનમાં મોટા હતાં. સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી છે. જેમાં પુત્રીઓ સોળ અને દસ વર્ષની તથા પુત્ર તેર વર્ષનો છે. ચંદુભાઇને પથરીનો દુઃખાવો રહેતો હતો. કદાચ આ કારણે પગલુ ભર્યાની પરિવારજનોએ શંકા દર્શાવી હતી. જો કે અંતિમવિધી બાદ પોલીસ મૃતકના પત્નિ સહિતના સ્વજનોના નિવેદનો નોંધી કારણ જાણવા તપાસ કરશે. તહેવારના દિવસોમાં સ્વજન ગુમાવતાં પરિવારજનોમાં કલ્પાંત સર્જાયો હતો.

(11:35 am IST)