Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

રાજકોટની એઇમ્‍સ ખાતે કાર્ડિયોપલ્‍મોનરી એક્‍સરસાઇઝ ટેસ્‍ટનો પ્રારંભ : ફેફસા અને હૃદયને લગતા રોગનું નિદાન શક્‍ય બનશે

નાની ઉંમરે કસરત બાદ આવતા હાર્ટ એટેક : શ્વાસની તકલીફ તેમજ કસરત કરવાની ક્ષમતાને માપવા માટે કાર્ડિયોપલ્‍મોનરી એક્‍સરસાઇઝ ઉપયોગી

રાજકોટ તા. ૧૩ : રાજકોટ નજીક પરાપીપળીયા ખાતે નિર્માણાધીન ગુજરાતની પ્રથમ એઇમ્‍સ હોસ્‍પિટલ ખાતે પહેલી વાર અદ્યતન મશીન દ્વારા કાર્ડિયોપલ્‍મોનરી એક્‍સરસાઇઝ ટેસ્‍ટ કરવામાં આવ્‍યો હતો. એઈમ્‍સના ડાયરેક્‍ટર અને પલ્‍મોનરી વિભાગના હેડ ડો. સી.ડી.એસ. કટોચ તેમજ અન્‍ય ડોક્‍ટર્સની ટીમની ઉપસ્‍થિતિમાં આ ટેસ્‍ટ પરીક્ષણ કરવામાં આવ્‍યું હતું.

રાજકોટ એઇમ્‍સ ખાતે ઓ.પી.ડી. તેમજ ટેલિમેડીસીન સેવાના પ્રારંભ બાદ ઇન્‍ડોર સેવાનો નજીકના સમયમાં પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ પૂર્વે અદ્યતન મશીન ઉપલબ્‍ધ બનતા શ્વસન તંત્રના રોગોને લગતા અને ફેફસાના દર્દીઓના રોગનું નિદાન કરવું સરળ બનશે.

ડો. કટોચના જણાવ્‍યા મુજબ વ્‍યકતિની કસરત કરવાની ક્ષમતાને માપવા માટે કાર્ડિયોપલ્‍મોનરી એક્‍સરસાઇઝ ટેસ્‍ટ (CPET) નો ઉપયોગ કરવામાં આવે છે. શ્વાસની તકલીફનુ કારણ જાણવા માટે પણ આ ટેસ્‍ટ ઉપયોગી છે. આ મશીન દ્વારા ટેસ્‍ટ કરવામાં આવતા કસરત માટે શરીરનો પ્રતિભાવ સામાન્‍ય છે કે અસામાન્‍ય છે તે સમજવા માટે હૃદય, ફેફસાં અને સ્‍નાયુઓ વિશેની માહિતી એકત્રિત કરવામાં આવે છે. આ માહિતી પરથી શ્વાસ લેવામાં તકલીફનું કારણ હૃદય, ફેફસાં અથવા સ્‍નાયુઓમાં કોઈ સમસ્‍યા છે કે નહીં તે જાણવામાં મદદ મળે છે.

આજકાલ કસરત કરતી વખતે કેટલાક લોકોને હૃદયરોગનો હુમલો થવાનું જાણવા મળે છે ત્‍યારે આ ટેસ્‍ટ કરાવવાથી હૃદય અને ફેફસાના રોગ ધરાવતા લોકોમાં હૃદય અથવા ફેફસાંને કારણે કસરતમાં કેટલી મર્યાદા છે તે નક્કી કરી શકાય છે.  તેમજ રીપોર્ટના આધારે ડોક્‍ટર્સ દ્વારા તેમને કસરત અંગે સૂચન કરવાથી વ્‍યક્‍તિને હૃદય રોગના હુમલાથી બચાવી શકાય છે.

રાજકોટ એઇમ્‍સ ખાતે કરવામાં આવેલ પ્રથમ ટેસ્‍ટ વખતે ડો. સંજય સિંઘલ, ડો. કૃણાલ દિઓકર, ડો. અનેરી પારેખ સહીત વિવિધ વિભાગના સહયોગીઓ ઉપસ્‍થિત રહ્યા હતાં.

(1:23 pm IST)