Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

કલેકટર કચેરીમાં પોસ્‍ટ બજેટ વેબીનાર : ૮૦ કલાકારો જોડાયા : નરેન્‍દ્રભાઇની વર્ચ્‍યુઅલ ઉપસ્‍થિતિ

પી.એમ. વિશ્વકર્મા કૌશલ સમાન યોજના : હસ્‍તકલા કારીગરોને માર્ગદર્શન

રાજકોટ  તા. ૧૧ : પ્રધાનમંત્રીશ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ પી.એમ. વિશ્વકર્મા કૌશલ સમ્‍માન યોજના અંગેના પોસ્‍ટ બજેટ વેબિનારમાં દેશભરના કલાકારોને સંબોધન કરતા જણાવ્‍યું  હતું કે, હસ્‍તકલા થકી રોજગારી મેળવતા અસંગઠિત કારીગરોને પી.એમ. વિકાસ યોજના થકી મજબૂત પ્‍લેટફોર્મ પૂરું પાડી મહિલાઓ, અંતરિયાળ વિસ્‍તારના લોકોને મિશન મોડમાં બળ પૂરું પાડવાનું અભિયાન હાથ ધરવામાં આવ્‍યું છે. જેના થકી કારીગરોને આર્થિક ઉપાર્જન સાથે  રાષ્ટ્રના વિકાસમાં સહભાગી થવાનો અવસર પણ સાંપડશે.

એમ.એસ.એમ.ઈ. વિભાગ દ્વારા વિવિધ હસ્‍તકલા સાથે સંકળાયેલા લોકોને પી.એમ. વિકાસ યોજના અંગે માહિતગાર કરવા તેમજ કારીગરોને તેમના ક્ષેત્રમાં પડતી મુશ્‍કેલીઓ અંગે ફીડબેક લેવા માટે  ચાર તબક્કામાં વેબિનારનું આયોજન કરવામાં આવ્‍યું હતું, જેમાં પ્રથમ તબક્કાના પ્રારંભે પ્રધાનમંત્રીશ્રીએ પ્રવચન આપ્‍યું હતું.

વેબિનારના પ્રારંભે એમ.એસ.એમ.ઈ. વિભાગના સચિવશ્રી તેમજ આસિસ્‍ટન્‍ટ સેક્રેટરી ડો. રજનીશે સમગ્ર કાર્યક્રમની રૂપરેખા રજુ કરી હતી. કાર્યક્રમના પહેલા ચરણમાં ઓછા વ્‍યાજ દરે ઉપલબ્‍ધ લોન, ડિજિટલ વ્‍યવહારો અને સામાજિક સુરક્ષા, બીજા ચરણમાં અદ્યતન કૌશલ્‍ય પ્રશિક્ષણ અને આધુનિક સાધનો અને ટેકનોલોજીની ઉપલબ્‍ધતા, ત્રીજા ચરણમાં  સ્‍થાનિક તેમજ આંતરરાષ્ટ્રીય કક્ષાએ માર્કેટિંગ સહયોગ જયારે ચોથા ચરણમાં યોજનાનું માળખું, લાભાર્થીઓની ઓળખ તેમજ યોજનાના અમલીકરણ અંગે તજજ્ઞો દ્વારા આયોજન વિષયક માર્ગદર્શન  પૂરું પાડવામાં આવ્‍યું હતું.      

આ વેબિનારમાં રાજકોટ કલેકટર કચેરી ખાતે ૮૦ થી વધુ કલાકારોએ ઉપસ્‍થિત રહી માર્ગદર્શન મેળવ્‍યું હતું. આ તકે એમ.એસ.એમ.ઈ. - અમદાવાદ ડી.એફ.ઓ.ના સહાયક નિયામક શ્રી એસ.ડી. રામાવત,  ઇન્‍વેસ્‍ટીગેટર શ્રી રાજેશ કુમારે કલાકારો સાથે વાર્તાલાપ કરી તેઓને વિશેષ માર્ગદર્શન પૂરૂં પાડ્‍યું હતું. આ તકે જિલ્લા ઉદ્યોગ કેન્‍દ્રના મેનેજર શ્રી કિશોર મોરીએ રાજય સરકારની ઉદ્યોગોને પ્રોત્‍સાહન સંબંધી વિવિધ યોજનાઓની માહિતી આપી તેમજ કલાકારોને મુંઝવતા પ્રશ્નો સંદર્ભે માર્ગદર્શન પૂરૂં પાડ્‍યું હતું.

(2:54 pm IST)