News of Tuesday, 14th June 2022
રાજકોટ તા. ૧૪: રૈયા રોડ પર વેદનમન બિલ્ડિંગમાં ધમધમતા ક્રિએટીવ કોમ્પ્યુટર કલાસીસના સંચાલકોએ પ્રેરક પ્રયોગ કર્યો છે. માનવ જાતના ધરોહર સમાન અતિ પ્રાચીન અને અતિ આધુનિક જ્ઞાનનો સંગમ રચી દીધો છે. કોમ્પ્યુટરના શિક્ષણમાં વેદની ઝલક છાત્રો સમક્ષ પીરસી છે.
ક્રિએટીવ કોમ્પ્યુટર કલાસીસ અને જોબ પ્લેસમેન્ટ આઠ વર્ષથી ધબકે છે. અહીં વિવિધ પ્રકારના કોર્ષ થાય છે. કલાસીસના સંચાલકો ચંદ્રેશ પિલોજપરા, હેમાંગ ટંકારિયા, મનોજ ચૌહાણ ‘અકિલા'ની મુલાકાતે આવ્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે, ક્રિએટીવ કોમ્પ્યુટર કલાસીસમાં ઓપરેટીંગનાં કોર્ષમાં પ્રેઝનટેશન સોફટવેર શીખવવા માટે અલગ અલગ પ્રોજેકટની યાદી તૈયાર કરતા હોઇએ અને વિદ્યાર્થીને પ્રોજેકટ પ્રેકટીસના ભાગ રૂપે આપતા હોઇએ છીએ. એટલે ક્રિએટીવની ટીમને વિચાર આવ્યો કે આપણે વેદ ઉપરનો પ્રોજેકટ બનાવીએ તો? જેથી ગુજરાતી ટાઇપીંગની પ્રેકટીસ પણ થશે અને વિદ્યાર્થીઓને પ્રેકટીસના ભાગ રૂપે પ્રોજેકટ પણ મળશે. એક એવો પ્રોજેકટ જેમાં આધુનીક ટેકનોલોજીની સાથે સાથે વેદોનો અભ્યાસ કરવા માટેનો અવસર પણ મળશે અને વિદ્યાર્થીઓની પ્રેકટીસમાં આપણે આપણા અભ્યાસને સ્થીરતા પણ આપી શકીશું. માત્ર અભ્યાસ ન કરતા વેદને યાદ કરે, પ્રોજેકટ બનાવતા બનાવતા તેના કાને વેદ ના વિચારો પહોંચે એટલા માટે અમે વેદનો અભ્યાસ કરવાનાં ભાગ રૂપે વેદ પ્રોજેકટને અભ્યાસ ક્રમમાં સમાવેશ કર્યો.
આ વિચારના ભાગ રૂપે ક્રિએટીવની ટીમે વેદ ઉપરનાં અલગ અલગ રપ થી ૩૦ પુસ્તકોનું વાંચન કર્યું. રેફરન્સ જોયા, વેદના અભ્યાસુ વ્યકિતઓ સાથે ચર્ચા કરી અને એ રીતે સફળ શબ્દોમાં ઢાળવાનો પ્રયત્ન કર્યો. પ્રેઝન્ટેશન સોફટવેરમાં ૧પ સ્લાઇડમાં અમે વેદ પ્રોજેકટ તૈયાર કર્યો. જેમાં વેદ એટલે શું? એ શા માટે? તેના ભાગ કેટલા? કયો વેદ સમાજને શું પ્રદાન કરે છે? તેમાં શું આપેલ છે? તેનું આંકલન કર્યું અને આ રીતે ક્રિએટીવની ટીમે વેદ પ્રોજેકટ તૈયાર કર્યો. અને પ્રોજેકટને અભ્યાસ ક્રમમાં સામેલ કર્યો.
પ્રોજેકટ બનાવવા દરમીયાન વિદ્યાર્થીઓ અમને વેદ અને દર્શન શાષાના સવાલો પણ કરે છે અને એ સમયે લેકચર વેદના ટોપીક માટે ફાળવીએ છીએ. નવી શૈલીમાં જુદી રીતે સરળ રજુઆત થકી વિદ્યાર્થીઓ આ પ્રોજેકટ માત્ર તૈયાર જ નથી કરતા પરંતુ એનો આનંદ પણ માણે છે. પ્રોજેકટ પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીઓએ પ્રોજેકટને એમના ઘરે, પણ લઇ જાય છે. એમનાં પરીવારમાં અમે કેવો પ્રોજેકટ બનાવ્યો તેની વાત પણ કરે છે. આ પ્રોજેકટ ૧૦ કે ૧રમાં ધોરણના જ વિદ્યાર્થીઓ નહીં પણ કોલેજ પૂર્ણ કરેલા વિદ્યાર્થીઓ પણ બનાવી રહ્યા છે.
પ્રોજેકટ પૂર્ણ થાય ત્યારબાદ વિદ્યાર્થીઓ અમને વેદ વિશેના સવાલો પૂછે છે, વેદનમન એટલે શું? એ જોવા અને જાણવા માગે છે અને ક્રિએટીવની ટીમ તે વિદ્યાર્થીઓને વેદ ઉપરની ચર્ચા કરતા કરતા વેદનમનની સફર કરાવીએ છીએ. હજુ આવા પુરાણો, ગુરૂકુળનું શિક્ષણ, શાસ્ત્રો વગેરે ટોપીક પરના બીજા પ્રોજેકટ બનાવી રહ્યા છીએ. આ પ્રોજેક્ટની વિશેષ વિગતો માટે મો. ૯૯૧૩ર, ૩૮૮૮૩ નંબર પર સંપર્ક થઇ શકે છે.