News of Monday, 15th November 2021
શિક્ષક પ્રવિણભાઇ અને સામા પક્ષે સગર્ભા રવારમાં : સામ સામી ફરિયાદ
રાજકોટ,તા. ૧૫ : જામનગર રોડ પર આવેલી બી.એ.ડાંગર કોલેજની પાછળ ઘર પાસે કચરો ફેંકવા પ્રશ્ને શિક્ષક પરિવારને શેરીમાં રહેતા પાંચ શખ્સોએ માર મારતા પોલીસે બંને પક્ષની સામસામી ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી છે.
મળતી વિગત મુજબ જામનગર રોડ પર બી.એ. ડાંગર કોલેજની પાછળ રહેતા પ્રવિણભાઇ ભીમજીભાઇ ચૌહાણ (ઉવ.૪૧)એ યુનિવર્સિટી પોલીસ મથકમાં શેરીમાં રહેતા પરસોતમ ચૌહાણ, દીપક ચૌહાણ, તથા અન્ય ત્રણ અજાણ્યા શખ્સોના નામ આપ્યા છે. પ્રવિણભાઇએ ફરિયાદમાં જણાવ્યુ છે કે, પોતે સરસ્વતી સ્કુલમાં શિક્ષક તરીકે નોકરી કરતા હતા પરંતુ કોરોનાના કારણે હાલ ત્યાં નોકરી કરતા નથી.ગઇ કાલે પોતે પરિવાર સાથે ઘરે હતા ત્યારે પોતાની શેરીમાં ચૌહાણ અને દિપક ચૌહાણ બંને પરસોતમ શેરીમાં રહે છે. તે અવારનવાર પોતાના ઘર પાસે કચરો ફેંકતા હોય જેથી પોતે તેને કચરો ફેંકવાની ના પાડી હતી તે બાબતનો ખાર રાખી બંને પોતાના ઘર પાસે આવીને બોલાચાલી કરી ઝઘડો કરવા લાગ્યા હતા ત્યારે પત્નિ નીતાબેન આવી જવા બંને શખ્સો ઇશ્કેરાઇને ગાળો દેવા લાગ્યા હતા. અને જ્ઞાતી પ્રત્યે અપમાનીત કરેલ અને પરસોતમે તેની બાજુમાં રહેતા બીજા ત્રણ માણસોને બોલાવી ત્રણેય શખ્સોએ પોતાને ઢીકા પાટુનો અને લાકડી વડે માર મારતા પોતાને માથાના ભાગે ઇજા કરી હતી. દેકારો બોલતા આસપાસના લોકો એકઠ થતા તમામ શખ્સો ભાગી ગયા હતા બાદ પોતાને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.
જ્યારે સામાપક્ષે જામનગર રોડ હોર્ન ઓકડે પ્લીસની પાછળ મહાદેવ પાર્ક પ્લોટ નં. ૧૫૨માં રહેતા ખુશાલીબેન અજયભાઇ પરમાર (ઉવ.૨૧)એ પ્રવિણ અને તેની પત્ની નીતાબેન સામે ફરિયાદ નોંધાવી છે. ખુશાલી બેને ફરિયાદમાં જણાવ્યુ છે કે, ગઇ કાલે પોતે ઘરે ઘરકામ કરતા હતા અને રવિવાર હોવાથી પતિ અજયભાઇ ઘરે હતા. દરમ્યાન પોતાની શેરીમાં રહેતા પ્રવિણ અને તેની પત્ની નીતાબેન ઘરની બહાર નીકળી શેરીના લોકોને તેના ઓટા ઉપર બેસવા બાબતે ગાળો બોલતા હોય જેથી પતિ અજયભાઇ ઘરની બહાર નીકળી તેને 'આમ બધાને એક સાથે ગાળો ન બોલો' તેમ કહી સમજાવતા આ પ્રવિણે કહેલ કે, 'તમે લોકો અમારા ઓટે બેસીને ગાળો કેમ બોલો છો' તેમ કહી ઉશ્કેરાઇ જઇ પતિ સાથે ઝપાઝુપી કરી ઢીકાપાટુનો માર મારવા લાગેલ જેથી પોતે પતિને છોડાવવા માટે વચ્ચે પડતા તેની પત્નીએ પોતાને ગાળો આપી ઝપાઝપી કરી ઢીકાપાટુ તથા લાતો મારવા લાગેલ પોતે પ્રેગ્નેન્ટ હોવા છતા માર મારતા આસપાસના લોકોએ વચ્ચે પડી પોતાને છોડાવ્યા હતા. અને પ્રવિણ કહેલ કે 'આજે તો આ અજયને જીવતો જવા દઇએ છીએ જો હવે પછી કોઇ બોલશે તો જાનથી મારી નાખશું' તેમ ધમકી આપી હતી. બાદ પોતે પ્રેગ્નેન્ટ હોય પોતાને મુંઢમાર મારેલ હોવાથી પોતાને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. આ બનાવમાં યુનિવર્સિટી પોલીસ મથકના એ.એસ.આઇ એચ.એલ.સબાડ સહિતે પ્રવિણભાઇ ચૌહાણની ફરિયાદ પરથી પરસોતમ ચૌહાણ અને દિપક ચૌહાણ તથા ત્રણ અજાણ્યા શખ્સો સામે મારામારી તથા એટ્રોસીટીની કલમ હેઠળ તેમજ સામાપક્ષે ખુશાલીબેન પરમારની ફરિયાદ પરથી પ્રવિણ અને તેની પત્ની સામે આઇપીસી ૩૨૩,૫૦૪,૫૦૬ (૨), ૧૧૪ની કલમ હેઠળ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.