Gujarati News

Gujarati News

News of Tuesday, 16th February 2021

ઇંસ્ટાગ્રામ થકી ઇશ્ક થયો...લગ્ન કર્યા, દોઢ જ મહિનામાં દિશાએ દૂનિયા છોડી

વિરમગામની ૧૯ વર્ષની દિશાએ રાજકોટ આર્યનગરના હર્ષદ ઘેડીયા સાથે લવમેરેજ કર્યા હતાં: ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધોઃ મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ

રાજકોટ તા. ૧૬: સામા કાંઠે સંત કબીર રોડ પર આર્યનગર-૧૫માં રહેતી દિશા હર્ષદ ઘેડીયા (ઉ.વ.૧૯) નામની નવોઢાએ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં અરેરાટી વ્યાપી ગઇ છે. વિરમગામ માવતર ધરાવતી દિશા પરષોત્તમભાઇ પટેલને રાજકોટ આર્યનગરના હર્ષદ કમલેશભાઇ ઘેડીયા (સોની) સાથે ઇંસ્ટાગ્રામ થકી ઇશ્ક થયો હતો. એ પછી બંનેએ દોઢ મહિના પહેલા જ પ્રેમલગ્ન કર્યા હતાં. અચાનક દિશાએ ફાંસો ખાઇ દૂનિયા છોડી દેતાં સ્વજનોમાં કલ્પાંત સર્જાયો છે.

બનાવની જાણવા મળેલી માહિતી મુજબ આર્યનગર-૧૫માં રહેતી દિશાએ ઘરે ગળાફાંસો ખાઇ આપઘાત કરીલીધાની જાણ થતાં બી-ડિવીઝનના હેડકોન્સ. વિક્રમસિંહ કે. સોલંકી સહિતે ત્યાં પહોંચી જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યા મુજબ દિશાના માવતર વિરમગામ રહે છે. તેણીનો પરિચય થોડા  સમય પહેલા ઇંસ્ટાગ્રામ દ્વારા રાજકોટ આર્યનગરના હર્ષદ ઘેડીયા સાથે થયો હતો.  ચેટીંગ બાદ બંને વચ્ચે પ્રેમના અંકુર ફુટ્યા હતાં અને લગ્ન કરવાનું નક્કી કર્યુ હતું. એ પછી ગત ૨૧ ડિસેમ્બરે બંનેએ લગ્ન કર્યા હતાં. પરિવારજનોની સહમતિથી આ લગ્ન થયા હતાં.

 ગઇકાલે બપોર બાદ ઘરે કોઇ ન હોઇ દિશાએ દૂપટ્ટાથી ગળાફાંસો ખાઇ લીધો હતો અને જિંદગી ટૂંકાવી લીધી હતી. તે બે ભાઇમાં વચેટ હતી. પતિ હર્ષદે કહ્યું હતું કે અમારી વચ્ચે કોઇ બોલચાલી થઇ નહોતી, કોઇ વાંધો પણ નહોતો. તેણીએ અચાનક આવુ પગલુ કેમ ભર્યુ? તે અંગે અમે પણ અજાણ છીએ.

માવતર પક્ષને જાણ થતાં તેઓ પણ વિરમગામથી આવી ગયા હતાં. પિતા પરષોત્તમભાઇએ હાલ દિકરીના મૃત્યુ બાબતે કોઇ આક્ષેપ કર્યો નથી. આમ છતાં લગ્નગાળો ખુબ ટુંકો હોઇ પોલીસે મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ કરાવ્યું છે. તેમજ આપઘાતનું ચોક્કસ કારણ જાણવા તપાસ યથાવત રાખી છે.

(12:52 pm IST)