Gujarati News

Gujarati News

News of Tuesday, 16th February 2021

બેડીપરાના વ્હોરા વેપારી તાહેરભાઇનો સોની બજારની દૂકાનમાં ઝેર પી આપઘાત

ઇલેકટ્રીક ચીજવસ્તુનો વેપાર કરતા'તાઃ ગૃહકલેશની શકયતા

રાજકોટ તા. ૧૬: બેડીપરામાં મુફદ્દલ રેસિડેન્સીમાં રહેતાં તાહેરભાઇ શબ્બીરભાઇ વૈદ (ઉ.વ.૪૦) નામના વ્હોરા વેપારી યુવાને સોની બજારમાં ગેબી પીરની દરગાહ પાસે આવેલી પોતાની ઇલેકટ્રીક ચીજવસ્તુની દૂકાને ઝેરી દવા પી આપઘાત કરી લેતાં પરિવારમાં માતમ છવાઇ ગયો છે.

તાહેરભાઇએ સાંજે પાંચેક વાગ્યે દૂકાનમાં ઝેર પી લેતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. બીજી હોસ્પિટલમાં લઇ જવા અહિથી રજા લીઘી હતી, પરંતુ બાદમાં તુરત જ ફરીથી સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતાં. પરંતુ સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

હોસ્પિટલ ચોકીના રાજુભાઇ ગીડા અને અનોપસિંહ ઝાલાએ એ-ડિવીઝન પોલીસને જાણ કરતાં પીએસઆઇ જે. એમ. ભટ્ટ સહિતે હોસ્પિટલે પહોંચી કાર્યવાહી કરી હતી. આપઘાત કરનાર તાહેરભાઇ બે ભાઇ અને બે બહેનમાં મોટા હતાં. ચાર મહિના પહેલા જ તેની શાદી સુરતની યુવતિ સાથે થઇ હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં ગૃહકલેશ કારણભુત હોવાની શકયતા જણાઇ છે. વધુ તપાસ યથાવત રાખવામાં આવી છે.

(12:54 pm IST)