રાજકોટ તા. ૧૬: ભારતીય જનતા પાર્ટી પર રાજકોટના લોકોએ ૧૯૭૫થી મુકેલો વિશ્વાસ આજ સુધી એવો ને એવો રહ્યો છે. રાજકોટની પ્રજાએ પ્રાથમિક સુવિધાથી લઇને આધુનિક વિકાસકામો માટે કયારેય નિરાશ થવું પડ્યું નથી. વોર્ડ નં. ૭ના સૌ મતદારોને,નાગરિકોને એવો વિશ્વાસ અપાવીએ છીએ કે અમે ફકત સવાર સાંજ નહીં પરંતુ અડધી રાત્રે પણ આ વિસ્તારના લોકો માટે સતત ખડે પગે રહેશું. વોર્ડ નં. ૭ના ભાજપના યુવા અને શિક્ષિત ઉમેદવાર શ્રી ડો. નેહલ ચીમનભાઇ શુકલે પેલેસરોડ ખાતે કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે જણાવ્યું હતું.
પેલેસ રોડ ખાતે ચૂંટણી કાર્યાલયનું ઉદઘાટન ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું હતું. આ વિસ્તારના અગ્રણી અશોકભાઇ પાટડિયા (લુણસર વાળા) આ ઉપસ્થિત રહ્યા હતા. વોર્ડ પ્રમુખ રમેશભાઇ દોમડિયાએ સ્વાગત પ્રવચન કર્યું હતું.
ડો. નેહલ શુકલે કહ્યું હતું કે રાજકોટની પ્રજાએ ભાજપ માટે ફકત મતદાર કે નાગરિક નથી. ભાજપ માટે રાજકોટ એટલે ૧૯ લાખ લોકોનો વિશાળ પરિવાર છે. ભારતીય જનતા પાર્ટીના અગાઉના નેતા, એ મારા પિતા સ્વ.ચીમનભાઇ શુકલ હોય, સ્વ.કેશુભાઇ પટેલ હોય, સ્વ. અરવિંદભાઇ મણિયાર હોય કે પછી અહીંથી ચૂંટણી લડેલા અત્યારના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી કે મુખ્યમંત્રી વિજયભાઇ રુપાણી હોય, એ લોકો પ્રજાના સુખે સુખી અને દુઃખે દુઃખી રહ્યા છે. રાજકોટને પીવાના પાણીની સુવિધા, રસ્તા,ગટર,લાઇટની પ્રાથમિક સવલતોથી લઇને આધુનિક પુલ કે બગિચા, લાયબ્રેરી કે સ્ટેડીયમ જેવી સગવડો આપવા માટે એ સૌએ અથાગ પ્રયાસ કર્યા હતા અને એમાં એ લોકો સફળ રહ્યા હતા.રાજકોટમાં ૪૨ વર્ષથી ભાજપનું રાજ છે તેનું કારણ જ આ છે, ત્યારે અમે આ વિસ્તારમાં રહેતા લોકોને અને વોર્ડ નં. ૭ના અન્ય સૌ કોઇ રહેવાસીઓને એ ખાતરી આપીએ છીએ કે આ વોર્ડની વિકાસયાત્રા વધુ ઝડપથી આગળ વધારીશું. વિકાસના ફળ આ વિસ્તારને જલદી અને વધારે મળશે. સામાન્ય કામથી લઇને કોઇ પણ પ્રકારની સેવા માટે અમે સતત કાર્યરત રહેશું.વોર્ડ નં. ૭ના ભાજપના અન્ય ઉમેદવાર શ્રી દેવાંગ માંકડે કહ્યું કે ભાજપની પરંપરા અનુસાર અમે સતત લોકોના કાર્યો કરતાં રહેશું. જાહેર આરોગ્ય હોય કે રસ્તા અને સફાઇની વાત હોય, શકય હશે ત્યાં સુધી તો અમે કોઇ ફરિયાદનો મોકો જ કોઇને નહીં આપીએ. એમ છતાં ક્યાંય એવું લાગે કે કહેવા જેવું છે તો કોઇ પણ સમયે અમને કહી શકો છો. ભાજપના મહિલા ઉમેદવારો વર્ષાબહેન પાંધી અને જયશ્રીબહેન ચાવડાએ પોતાના પ્રવચનમાં કહ્યું કે ગુજરાતની વિજયભાઇ રૂપાણીની ભાજપ સરકારે આપણી શેરીઓમાંથી બેડાંયુધ્ધ ભુલાવી દીધું છે. પાણીની તંગી હવે અહીં કાયમ માટે ભૂતકાળ બની ચૂકી છે ત્યારે આગામી દિવસોમાં ચોવીસ કલાક પાણી આપવાની યોજના પણ ભાજપ લાવવાનો છે. મુખ્યમંત્રીએ નલ સે જલ યોજનાની જાહેરાત કરી છે.કાર્યક્રમનું સંચાલન નાગરિક બેન્કના મેનેજર, આ વિસ્તારના રહેવાસી નિલેશ શાહે કર્યું હતું. પેટા કાર્યાલયના ઉદ્ઘાટનમાં શહેર ભાજપના ઉપપ્રમુખ પુનિતાબહેન પારેખ, કોષાધ્યક્ષ અનિલભાઇ પારેખ, દંડક અભયભાઇ પરમાર, મહામંત્રી અનિલ લિંબડ અને રાજુભાઇ મુંધવા સોની સમાજના અગ્રણી શ્રી દીનુમામા, ભાયાભાઇ સાહોલિયા, અરવિંદભાઇ પાડડિયા, રાજુભાઇ માંડલિયા, કિરીટભાઇ વજીર, કિશોરભાઇ ચાવડા, શૈલેષભાઇ વ્યાસ, હરિઓમભાઇ ત્રિવેદી, રઘુવંશી અગ્રણી નવીનભાઇ કકડડ, જયપ્રકાશભાઇ કાનગડ, સતીષભાઇ ગમારા, યુવા મોરચાના નેતા મહેશભાઇ સાગઠિયા, રાજુભાઇ ચાવડા, વીનુભાઇ જીવરાજાની, રણજિતભાઇ ચાવડિયા, જે.પી. ધામેચા, મીનાબહેન સરવૈયા, મીનાબહેન પારેખ, વિશ્વાસ માંડલિયા, જયુભાઇ રાઠોડ, રમેશભાઇ પંડ્યા, મીનાબહેન સૂચક, આશીષ પુજારા, ભાઇચંદભાઇ માંડલિયા, દિનેશભાઇ સોલંકી, વિજય ચાવડા, સુરેશ સિંધવ, મુકેશ ગુસાણી, હરેશભાઇ પારેખ, મયુર પાટડિયા, દિલીપ ત્રિવેદી, કિરિટ ગોહેલ સહિતના ઉપસ્થિત રહ્યા હતા. તેમ યાદીના અંતમાં જણાવાયું છે.