Gujarati News

Gujarati News

News of Wednesday, 18th January 2023

પૂજિત રૂપાણી ટ્રસ્‍ટ દ્વારા કાન, નાક, ગળાનોનિઃશુલ્‍ક નિદાન કેમ્‍પઃ શ્રવણ યંત્ર અપાશે

રાજકોટ તા. ૧૮: શ્રી પુજીત રૂપાણી મેમોરીયલ ટ્રસ્‍ટ તથા રોટરી કલબ ઓફ રાજકોટ મીડટાઉનનાં સંયુકત ઉપક્રમે તારીખઃ રર રવિવારે સમયઃ સવારે ૯ થી ૧૧-૩૦, વિના મૂલ્‍યે શ્રવણયંત્ર (હિયરીંગ એઇડ) વિતરણ તથા કાન-નાક-ગળાના નિદાન કેમ્‍પનું આયોજન કરવામાં આવેલ છે. જે લોકોને કાનમાં બહેરાશ આવી ગઇ હોય, કાનમાં ઓછું સંભળાતું હોય, કાનમાં સાંભળવાનું મશીન લઇ ન શકતા હોય તેવા જરૂરિયાતમંદ દર્દીઓને વહેલા તે પહેલાના ધોરણે વિનામૂલ્‍યે શ્રવણયંત્ર (બહેરાશમાં ઉપયોગી થતું મશીન) ડોકટરની સલાહ મુજબ વિતરણ કરવામાં આવશે. કેમ્‍પનું ઉદ્‌ઘાટન ધારાસભ્‍ય ઉદય કાનગડના હસ્‍તે થશે.

જે દર્દીઓને કાન, નાક કે ગળાની નાની મોટી તકલીફો રહેતી હોય, કાકડા વધવા, કાનમાં રસી આવવી, અવાજ બેસી જતો હોય, શરદી રહેતી હોય, નાકમાં મસા રહેતા હોય આવા કોઇપણ રોગોનું નિદાન નામાંકિત ડોકટરો સર્વ શ્રી ડો. સુનિલભાઇ મોદી, ડો. જતિનભાઇ મોદી, ડો. નિરવભાઇ મોદી, ડો. દર્શનભાઇ ભટ્ટ, ડો. વિમલભાઇ હેમાણી, ડો. વૈભવભાઇ હાપલિયા દ્વારા કરવામાં આવશે.

શ્રવણયંત્ર (હિયરીંગ એઇડ) માટે લાભ લેનાર દર્દીઓએ પોતાના ઓળખપત્ર તરીકે આધારકાર્ડની ઝેરોક્ષ પુરૂં સરનામું: આવકનો દાખલો તેમજ કલર પાસપોર્ટ સાઇઝ ફોટો સાથે લાવવો જરૂરી છે. જરૂરિયાતમંદ દર્દીઓને વિનામૂલ્‍યે શ્રવણયંત્ર વહેલા તે પહેલાના ધોરણે વિતરણ કરવામાં આવશે. જરૂરીયાતમંદ દર્દીઓને પોતાના આરોગ્‍યની સુખાકારી માટે આ કેમ્‍પનો લાભ લેવા શ્રી પુજીત રૂપાણી મેમોરિયલ ટ્રસ્‍ટનાં ચેરમેન શ્રી વિજયભાઇ રૂપાણીએ અપીલ કરી છે.

રવિવારે યોજાનાર આ કેમ્‍પને યશસ્‍વી બનાવવા ટ્રસ્‍ટના ટ્રસ્‍ટી શ્રીમતી અંજલીબેન રૂપાણી તથા શ્રી મહેશભાઇ ભટ્ટ માર્ગદર્શન હેઠળ મેડિકલ કમિટી મેમ્‍બર્સ શ્રી ડો. જૈમનભાઇ ઉપાધ્‍યાય, ડો. નયનભાઇ શાહ, ડો. વિભાકરભાઇ વચ્‍છરાજાની, દિવ્‍યેશભાઇ અઘેરા, બીપીનભાઇ   વસા   જહેમત ઉઠાવી રહ્યા છે.

કેમ્‍પ અંગે વિશેષ માહિતી માટે ટ્રસ્‍ટના વહીવટી અધિકારી શ્રી ભાવિનભાઇ ભટ્ટનો શ્રી પુજીત રૂપાણી મેમોરીયલ ટ્રસ્‍ટ, ‘‘કિલ્લોલ'', ૧-મયુરનગર, રાજકોટ મ્‍યુનિસિપલ કોર્પોરેશન (પૂર્વ ઝોન) સામે, ભાવનગર રોડ, ખાતે રૂબરૂ અથવા ફોન નં. ૦ર૮૧-ર૭૦૪પ૪પ/ર૭૦૧૦૯૮ દ્વારા સંપર્ક સાધવો. કેમ્‍પ આ જ સ્‍થળે યોજાનાર છે.

(4:03 pm IST)