News of Friday, 18th June 2021
રાજકોટ તા. ૧૮ : મ.ન.પા.ની આરોગ્ય શાખા દ્વારા લેવાયેલ બે આઇસ્ક્રીમના નમૂનાઓ સરકારી લેબોરેટરીએ નાપાસ કર્યા છે. જ્યારે ગાંધીનગર ફુડ વિભાગમાં થયેલી ફરિયાદના અનુસંધાને અમૂલ પાર્લરમાં ચેકીંગ કરી અને મ.ન.પા.ની આરોગ્ય શાખાએ આ પાર્લરની અમૂલની એજન્સી રદ્દ કરી હતી અને વિવિધ આઇસ્ક્રીમ પાર્લરોમાંથી આઇસ્ક્રીમ સહિત ૪ નમૂનાઓ લેવાયા હતા.
આ અંગે મ.ન.પા.ના ફૂડ સેફટી ઓફિસરે જાહેર કર્યા મુજબ રાજકોટ મહાનગરપાલિકાની ફુડ વિભાગની ટીમ દ્વારા જાહેરજનતાના આરોગ્ય હિતાર્થે રાજકોટ શહેરની જાહેર જનતાને ભેળસેળ રહિત આરોગ્યપ્રદ ખાદ્યપદાર્થો મળી રહે તે હેતુથી નમુના લેવાની કામગીરી કરવામાં આવેલ છે. જેની વિગત આ મુજબ છે
જે વેપારીઓને ત્યાંથી નમૂના લેવામાં આવેલ છે તેમાં(૧) રામ ગોલ્ડ તુવેર દાળ (૨૫ કિલો પેક) સ્થળ : નેકસસ ટ્રેડીંગ કં, ૫/૧ લાતી પ્લોટ, કુવાડવા રોડ (૨) “11 Double One Moong Mogar (from 30 kg pkd bag), સ્થળ : નેકસસ ટ્રેડીંગ કં, ૫/૧ લાતી પ્લોટ, કુવાડવા રોડ (૩) રાધેઆઇસ્ક્રીમ (પાંચ લિટર પેક), સ્થળ : મોવિયા માવા કેન્ડી એન્ડ આઇસ્ક્રીમ, પેડક રોડ (૪) મગ છડી દાળ, સ્થળ : ખોડીયાર પ્રોવિઝન સ્ટોર, મારૂતિનગરનો સમાવેશ થાય છે.
બે નમૂના નાપાસ
જ્યારે અગાઉ લેવાયેલ આઇસ્ક્રીમના બે નમૂના નાપાસ થયા હતા. જેમાં ન્યુ જલારામ મેઇન રોડ, મોરબી રોડ વિસ્તારમાં આવેલ ફીનીલ્સ એજન્સી એજન્સીમાંથી લેવાયેલ 'પીનીકસ આઇસ્ક્રીમ સ્પેશ્યલ થાબડી'માં મિલ્ક ફેટ ઓછું હોવાથી નમૂનો સરકારી લેબોરેટરીમાં નાપાસ થયેલ.
જ્યારે બીગબજાર પાસે આવેલ સહજાનંદ ફૂડસમાંથી નટચોકો લાઇવ તવા આઇસ્ક્રીમમાં મીલ્ક ફેટ ઓછા હોવાથી આ નમૂનો પણ નાપાસ થતાં હવે બંને વેપારી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઇ છે.
અમૂલ એજન્સી રદ્દ
જ્યારે રાજકોટ શહેરના ફરિયાદી ભુપતભાઇ ભોજાણી દ્વારા રાજકોટ સ્થિત પંચનાથ મંદિર, ડો.આર.પી.રોડ સ્થળે આવેલ ડી.કે.એન્ટરપ્રાઇઝ - અમુલ પાર્લર (ધવલ શશીકાંતભાઇ કારીયા) અંગે ગાંધીનગર FDCA ને ઓનલાઇન ફરિયાદ કરેલ હતી. ફરિયાદીની ફરિયાદની વિગત અન્વયે ફરિયાદીશ્રીએ અમુલ પાર્લર પાસેથી ચોકોબાર ખરીદતા તેમણે અમુલ પાર્લર હોવા છતાં અન્ય લોકલ ડીલાઇટ બ્રાન્ડની ચોકોબાર આપેલ. જેની તેમણે ગાંધીનગર ફરિયાદ કરતા આ ફરિયાદ રાજકોટ મહાનગરપાલિકાના ફુડ વિભાગને તપાસ માટે જાણ કરેલ. ફુડ વિભાગ દ્વારા સ્થળ તપાસ કરતા ડી.કે.એન્ટરપ્રાઇઝ - અમુલ પાર્લર (ધવલ શશીકાંતભાઇ કારીયા) અન્ય બ્રાન્ડની પણ ખાદ્યસામગ્રી વેંચાણમાં આવતી હતી. સ્થળ પર ફુડ સેફટી ઓફિસર દ્વારા અન્ય લોકલ ડીલાઇટ બ્રાન્ડની ચોકોબારનો નમુનો લીધેલ તથા હાઇજીનીક કન્ડીશન અંગે નોટીસ આપેલ.
અમુલ કંપનીના MOU તથા નિયમો અન્વયે અમુલ પાર્લરમાં કંપની દ્વારા નિયત કરેલ ખાદ્યસામગ્રી વેચવાની મંજુરી મળતી હોય છે. ઉપરોકત કામગીરીનો અહેવાલ ગાંધીનગર FDCA અને ગુજરાત મિલ્ક માર્કેટેંગ ફેડરેશન ઓથોરીટીને મોકલેલ. ગુજરાત મિલ્ક માર્કેટેંગ ફેડરેશન ઓથોરીટીએ તાત્કાલિક અસરથી ડી.કે.એન્ટરપ્રાઇઝ - અમુલ પાર્લરની એજન્સી સસ્પેન્ડ કરેલ છે અને અમુલ પાર્લરમાં કંપનીમાંથી પુરવઠો ઇસ્યુ કરવાનું સ્થગિત કરેલ છે. તેમ ફૂડ સેફટી ઓફિસરે જણાવ્યું હતું.
૧૪ દૂધવાળાઓને
વેકસીન મુકાવા નોટીસ
સુપર સ્પ્રેડરોની વેકસીનેશન અંગે આરોગ્ય વિભાગે આજે દૂધની ડેરીઓ તથા દૂધ વેચતા ફેરિયાઓ સહિત કુલ ૩૯ લોકોનું વેકસીનેશન અંગે ચેકીંગ કરેલ જેમાંથી ૧૪ લોકોએ વેકસીન નહી લીધાનું ખુલતા તેઓને વેકસીન મુકાવી લેવા મૌખિક નોટીસ અપાઇ હતી.