Gujarati News

Gujarati News

News of Sunday, 19th September 2021

ખામી સર્જાતા મુંબઇથી A-320 નીયો સિરીઝનું એરક્રાફ્ટ પ્લેનનું સૌપ્રથમવાર રાજકોટ એરપોર્ટ પર થયું લેન્ડીંગ

રાજકોટ એરપોર્ટ પર દૈનિક 122ની કેપેસિટી ધરાવતા એરક્રાફ્ટનું ઉતરણ અને ઉડ્ડયન થતું હોય છે, પરંતુ શનિવારે સૌ પ્રથમ વખત 160ની કેપેસિટી ધરાવતા નિયો એરક્રાફ્ટનું ઉતરણ થયું હતું. મુંબઈ-રાજકોટની ફ્લાઇટ મુંબઈ એરપોર્ટ પર હતી ત્યારે ટેક્નિકલ ફોલ્ટ સર્જાયો હતો તેના બદલે સૌ પ્રથમ નિયો એરક્રાફ્ટ મુંબઈથી રવાના કરવામાં આવ્યું હતું. જેમાં 160 પેસેન્જર બેસી શકે છે. આ એરક્રાફ્ટ પહેલીવાર રાજકોટ એરપોર્ટ પર આવતું હોય એરપોર્ટ ઓથોરિટી દ્વારા તેનું વોટર કેનનથી સ્વાગત કરવામાં આવ્યું હતું.

મુંબઈ માટેની ફ્લાઇટમાં ટેક્નિકલ ક્ષતિ સર્જાઈ હતી

આ અંગેની વિગત મુજબ એર ઇન્ડિયાની મુંબઈ-રાજકોટ અને રાજકોટ-મુંબઈ માટેની ફ્લાઇટ ઉડાન ભરે છે. પરંતુ મુંબઈ માટેની ફ્લાઇટમાં ટેક્નિકલ ક્ષતિ સર્જાઈ હતી. જેથી તે આ ફ્લાઈટને ત્યાં જ ગ્રાઉન્ડ કરી દેવું પડ્યું હતું. ત્યારે રાજકોટ એર ઇન્ડિયા તરફથી સૂચન કરવામાં આવ્યું હતું કે, રાજકોટ એરપોર્ટના રનવેની કેપેસિટી વધી ગઈ છે. ત્યારે જો શક્ય હોય તો નિયો એરક્રાફ્ટ મોકલવામાં આવે. આ સૂચન મળ્યાના એક કલાકમાં મળેલા સૂચનની અમલવારી કરવામાં આવી હતી.

આ ફ્લાઇટમાં 12 બિઝનેસ ક્લાસની સીટ હોય છે

આ ફ્લાઇટમાં 12 બિઝનેસ ક્લાસની સીટ હોય છે અને 150 ઈકોનોમી ક્લાસની સીટ હોય છે. મુંબઈથી ઉડાન ભરતા એરક્રાફ્ટમાં ટેક્નિકલ ક્ષતિ સર્જાતા ત્યાંથી આવતા મુસાફરો પણ રાજકોટ એરપોર્ટ પર મોડા પહોંચ્યા હતા અને રાજકોટથી મુંબઈની ફ્લાઇટ પણ નિયત સમય કરતા બે કલાક મોડી પડી હતી. જો આગામી દિવસોમાં આ પ્રકારની ફ્લાઇટ નિયમિત ઉડ્ડયન ભરશે. તેમ એરલાઇન્સના અધિકારીઓ જણાવી રહ્યા છે.

(4:13 pm IST)