Gujarati News

Gujarati News

News of Tuesday, 19th October 2021

છ મહિના પહેલા જ લવમેરેજ કરી રાજકોટ આવેલા યુપીના અનિલે આત્મહત્યા કરી

આશાપુરાનગરમાં રહી ફાસ્ટફૂડની લારીમાં કામ કરતો'તોઃ કારણ અકળ

રાજકોટ તા. ૧૯: કોઠારીયા રોડ હુડકો કવાર્ટર પાછળ આશાપુરાનગર-૧૬માં ભાડાના મકાનમાં રહેતાં મુળ ઉત્તર પ્રદેશના અનિલ છોટેલાલ આપો (ઉ.વ.૧૯) નામના યુવાને સાંજે રૂમમાં ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં અરેરાટી વ્યાપી ગઇ હતી.

બનાવ અંગેની જાણ કન્ટ્રોલ રૂમના ઇન્ચાર્જ પીએસઆઇ કડછામેડમ મારફત થતાં ભકિતનગરના પીએસઆઇ એ. વી. બકુતરા મેડમે ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી. આપઘાત કરનાર યુવાનના પરિચીતે જણાવ્યું હતું કે અનિલ પાંચ છ મહિના પહેલા તેના વતનમાંથી લવમેરેજ કરી પત્નિ ગીતાદેવી સાથે રાજકોટ આવ્યો હતો. પ્રારંભે એકાદ મહીનો હલેન્ડા રહી ત્યાંની કોઇ હોટેલમાં કામ કર્યુ હતું. ચારેક મહિનાથી રાજકોટ આશાપુરાનગરમાં રૂમ ભાડે રાખી બંને રહેતાં હતાં અને અનિલ ફાસ્ટ ફૂડની લારીમાં કામ કરતો હતો. તેના બીજા ચાર જેટલા ભાઇઓ અને માતા-પિતા યુપીમાં રહે છે.

અનિલે આપઘાત શા માટે કર્યો? તે અંગે તેની પત્નિ કે સગાને ખબર ન હોઇ પોલીસે તપાસ યથાવત રાખી છે. સગાએ તેના માતા-પિતા સાથે વાત કર્યા બાદ રાજકોટમાંજ મૃતદેહની અંતિમવિધી કરી હતી.

(4:25 pm IST)