Gujarati News

Gujarati News

News of Saturday, 20th August 2022

લોકમેળામાં સ્ટેચ્યૂ ઑફ યૂનિટી અને નડાબેટની પ્રતિકૃતિ જોવા જમાવડો

માહિતી ખાતાના ડોમમાં રાજ્યની ૨૦ વર્ષની વિકાસયાત્રા નિહાળતા મુલાકાતીઓ : ઘરઆંગણે લહેરાતા તિરંગાની થીમ અને ટૂરિઝમ પોઈન્ટની પ્રતિકૃતિઓ પાસે સેલ્ફી લેવા પડાપડી

રાજકોટ :રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત આઝાદીનો અમૃત લોકમેળો એ માત્ર શહેર જ નહીં, પણ સમગ્ર સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો છે, જેમાં લાખો લોકો આનંદ માણવા ઉમટી રહ્યા છે. અહીં મનોરંજન સાથે માહિતી મળે અને લોકો મેળાની સ્મૃતિઓને મોબાઇલના કેમેરામાં કંડારીને, એ સ્મૃતિને કાયમી સાચવી શકે તેવું વિશિષ્ટ આયોજન તંત્રએ કર્યું છે. મેળા મધ્યે આવેલા માહિતી ખાતાના ડોમમાં બનાવાયેલી સ્ટેચ્યૂ ઑફ યુનિટી તેમજ નડાબેટની આબેહૂબ પ્રતિકૃતિ પર સેલ્ફી લેવા લોકોનો ધસારો જોવા મળી રહ્યો છે.

 રાજકોટના લોકમેળામાં માહિતી નિયામકની કચેરી દ્વારા મનોરંજન સાથે માહિતી આપતા વિશિષ્ટ ડોમનું નિર્માણ કરવામાં આવેલું છે. મેળામાં મહાલતા લાખો લોકો પણ આ ડોમની મુલાકાત લે છે. જેમાં રાજ્યની ૨૦ વર્ષની વિકાસયાત્રાની ગાથા નિહાળે છે. એટલું જ નહીં, ગુજરાતનું વિશ્વ પ્રસિદ્ધ પ્રવાસન સ્થળ સ્ટેચ્યૂ ઑફ યુનિટી તેમજ સરદાર સરોવર ડેમની પ્રતિકૃતિ બનાવાયેલી છે. ગુજરાત રાજ્યના આ ગૌરવપૂર્ણ પ્રવાસન સ્થળ નિહાળીને લોકો આનંદ તો પામે છે, સાથે સેલ્ફી લેવા પણ ધસારો કરે છે. આ ઉપરાંત અહીં નડા બેટની ઈન્ડો-પાક બોર્ડરની પ્રતિકૃતિ પણ નિર્માણ કરાઈ છે. જ્યાં પણ લોકો ગૌરવભેર સેલ્ફી તેમજ ફોટો પડાવીને પોતે દેશની બોર્ડરના દર્શન કર્યા હોય એવો અહેસાસ કરે છે.

 આ મેળામાં કેન્દ્ર તેમજ રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની માહિતી પણ લોકો મેળવે છે. કેન્દ્ર અને રાજ્ય સરકારની અમૃત યોજનાઓની માહિતી પણ લોકોને પુસ્તિકા મારફત આપવામાં આવે છે.  મેળામાં હર ઘર તિરંગા થીમ પરની પ્રતિકૃતિ બનાવાઈ છે. જેમાં ઘર આંગણે વાસ્તવિક તિંરગો લહેરાય છે. લોકો આન-બાન અને શાન સાથે લહેરાતા તિરંગા સાથે ફોટો –સેલ્ફી પડાવીને દેશભાવના વ્યક્ત કરે છે. મનોરંજન સાથે માહિતી આપતો આ સ્ટોલ મેળાના લાખો મુલાકાતીઓનું આકર્ષણ કેન્દ્ર બન્યો છે. આ સ્ટોલને વધુમાં વધુ લોકો નિહાળે તે માટે તંત્ર દ્વારા અપીલ કરાઈ છે.

મેળામાં ધાર્મિક એકતા – તમામ ધર્મના પુસ્તકોના સ્ટોલ સાથે-સાથે

રાજકોટનો આઝાદીનો અમૃત લોકમેળો ખરા અર્થમાં વિશિષ્ટ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સ્વાતંત્ર્ય પર્વે દેશમાં એકતાનો માહોલ બનાવી રાખવાનો સંદેશો આપ્યો છે ત્યારે  મેળામાં પણ ધાર્મિક-સાંપ્રદાયિક એકતાનો માહોલ જોવા મળે છે. તમામ ધર્મના લોકો મેળાને સમાન રીતે માણે છે. એટલું જ નહીં, મેળામાં વિવિધ ધાર્મિક-સાંપ્રદાયિક-સામાજિક સંગઠનોને પણ વિવિધ સ્ટોલ આપવામાં આવ્યા છે. જયાં બધા ધર્મના પુસ્તકોના સ્ટોલ બાજુ-બાજુમાં છે અને મેળાના મુલાકાતીઓ આ વિવિધ સ્ટોલની સમાન ભાવથી મુલાકાત લે છે.

વિશેષ અહેવાલ - સંદીપ કાનાણી

(12:03 am IST)