Gujarati News

Gujarati News

News of Monday, 20th December 2021

બેડીપરામાં મકાનનું છજુ રિપેર કરવા મામલે મારામારીઃ ત્રણને ઇજા

ભગીરથસિંહ જાડેજા, તેના ભાઇ કુલદિપસિંહ જાડેજા પર રણજીત ઝાપડા સહિતનો હુમલોઃ સામે રણજીત પણ ઘાયલ થતાં ત્રણેયને સિવિલમાં ખસેડાયા

રાજકોટ તા. ૨૦: બેડીપરા જુની પોલીસ ચોકી નજીક ઇઝી બેકરી સામે રહેતાં બે ક્ષત્રિય બંધુ પર પડોશમાં રહેતાં ભરવાડ શખ્સોએ હુમલો કરી ધોકાથી માર મારી પથ્થરમારો કરતાં ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. સામે પક્ષે એક ભરવાડ યુવાનને પણ ઇજા થઇ હતી.

બેડીપરામાં રહેતાં અને ઘર સાથે જ પાનની દૂકાન ધરાવતાં કુલદિપસિંહ ગુલાબસિંહ જાડેજા (ઉ.૧૯) અને તેના ભાઇ ભગીરથસિંહ ગુલાબસિંહ જાડેજા (ઉ.૨૩) પર સાંજે ઘર નજીક રહેતાં રણજીત લક્ષમણભાઇ ઝાપડા-સિંધવ નામના ભરવાડ યુવાન તથા દિલી, ભીમા સહિતે ધોકાથી હુમલો કરી પથ્થરમારો કરી ઇજા કરતાં સારવાર માટે ખસેડાયા હતાં.

સામા પક્ષે રણજીત લક્ષમણભાઇ સિંધવ (ઉ.૩૧) પણ પોતાના પર કુલદિપસિંહ, ભગીરથસિંહ અને કાળુભાઇ સહિતે ઇંટથી હુમલો કરતાં ઇજા થયાની રાવ સાથે સિવિલમાં દાખલ થતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે બી-ડિવીઝનમાં જાણ કરી હતી. કુલદિપસિંહના સગાના કહેવા મુજબ આગામી સમયમાં ભગીરથસિંહના લગ્ન હોઇ તેમના ઘરનું છજુ રિપેર કરવાનું કામ ચાલતું હોઇ તે બાબતે રણજીત ઝાપડા સહિતે વાંધો ઉઠાવી માથાકુટ કરતાં મારામારી થઇ હતી. 

(3:18 pm IST)