Gujarati News

Gujarati News

News of Friday, 21st August 2020

સિવિલ હોસ્પિટલમાં કોરોનાના કપરા કાળમાં જનઆરોગ્યની કામગીરીની સાથોસાથ ઝળહળી રહી છે પ્રમાણિકતાની જ્યોત

તબિબી અધિક્ષક પંકજ બુચ, આરએમઓ ડો. મહેન્દ્ર ચાવડાની દેખરેખ હેઠળ ૨૩૭નો સ્ટાફ ફરજ બજાવે છે કોવિડમાં :સિવિલના કોવિડ સેન્ટરમાં ૭૧ લોકો દ્વારા ભુલી જવાયેલા કિંમતી દાગીના-રોકડ પરત અપાયા :સિકયુરીટી ઇન્ચાર્જ ગીરીરાજસિંહ બી. રાઠોડ કહે છે- કોઈ દર્દીનો સામાન ગેરવલ્લે ન થાય તે બાબતની ખુબ જ તકેદારી રખાય છેઃ દાગીનાની નોંધ માટે અલગ રજીસ્ટરઃ એકલા દર્દી આવે તો તેના સામાનનું પણ ખાસ ધ્યાન રખાય છે

રાજકોટ તા. ૨૧: પી.ડી.યુ સિવિલ હોસ્પિટલના કોવિડ કેર સેન્ટરમાં કોરોનાના કપરા કાળમાં જનઆરોગ્યની કામગીરીની સાથોસાથ માનવતા અને પ્રમાણિકતાની જ્યોત પણ ઝળહળતી રાખવામાં આવે છે. દર્દીઓની સાર-સંભાળ રાખવાની સાથોસાથ આ પણ એક મહત્વની કામગીરી પણ થઇ રહી છે. અત્યાર સુધીમાં ૭૧ દર્દીઓ અને તેના સગાઓ દ્વારા ભુલી જવાયેલો કિંમતી સામાન, દાગીના અને રોકડ હાથોહાથ પરત આપવામાં આવ્યા છે. સિવિલમાં અનેક કોરોના વોરીયર્સ એવા પણ છે કે જે લોકોના ધ્યાનમાં આવ્યા વગર શાંતીથી સતત પોતાનું કાર્ય કરી રહ્યા છે. આવા કોરોના વોરીયર્સને પણ અભિનંદન આપવા ઘટે.

 સિવીલ હોસ્પીટલમાં ૧૫૦ કરોડના ખર્ચે ઉભી કરાયેલી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં કોવિડ–૧૯ હોસ્પિટલ શરૂ થઇ છે. અહિ કુલ ૨૩૭ લોકો ફરજ બજાવે છે. જેના કોવિડ કંટ્રોલરૂમમાં સુપ્રિટેન્ડન્ટ ડો. પંકજ બુચના માર્ગદર્શન હેઠળ ફરજ બજાવતા કંટ્રોલરૂમ ઈન્ચાર્જ અને આર.એમ.ઓ. ડો. મહેન્દ્ર ચાવડા, માનવ સંસાધન મેનેજર રેખાબેન પટેલ, યશશ્વીબા જેઠવા તથા ડો. હર્ષદ દુસરા તેમજ વોર્ડ ઈન્ચાર્જ સિસ્ટર, સુપરવાઈઝર સ્ટાફ, પટ્ટાવાળા ભાઈઓ-બહેનો સહિત સિકયુરીટી ઇન્ચાર્જ ગીરીરાજસિંહ રાઠોડ અને તેની ટીમ દ્વારા અત્યાર સુધીમાં કુલ ૭૧ થી વધુ દર્દીઓ તથા તેમના સગા સંબંધીઓને તેમનો કિંમતી સામાન પરત આપ્યો છે.

આ બાબતે સિકયુરીટી ઇન્ચાર્જ ગીરીરાજસિંહ રાઠોડ જણાવે છે કે, જયારે કોઈ દર્દીને રજા આપવામાં આવે અથવા મૃત્યુ પામે ત્યારે તેના નજીકના સગાઓ તેની અંતિમવિધીમાં વ્યસ્ત હોવાને કારણે દર્દીનોઙ્ગ સામાન લઈ જવાનું ભૂલી જતા હોય છે. આથી જયારે દર્દી દાખલ થાય ત્યારે જ તેના ત્રણ નજીકના સબંધીનો નંબર લેવામાં આવે છે જેથી તેનો સંપર્ક સાધી દર્દીનો કોઈ સામાન પરત સોંપવામાં આવે ત્યારે 'ઓર્નામેન્ટ રજીસ્ટર'માં તેની નોંધ કરીને જ સામાન પરત આપવામાં આવે છે.

ગીરીરાજસિંહ રાઠોડ વધુમાં જણાવે છે કે, કોઈ દર્દીનો સામાન ગેરવલ્લે ન થાય તે બાબતની ખાસ તકેદારી રાખીને એક ઈન્ચાર્જ સિસ્ટરની નિમણુક કરવામાં આવી છે. જો કોઈ દર્દી ૧૦૮માં એકલા આવે તો તેનો કિંમતી સામાન ગ્રાઉન્ડ ફલોર પરથી જ તેની પાસેથી લઈને, તેમના સબંધીઓને બોલાવીને સલામત રીતે પરત સોંપવામાં આવે છે. સામાન્ય રીતે જોઇએ તો સિવીલ હોસ્પિટલમાં વિનામુલ્યે સારવાર થતી હોવાના કારણે દર્દીએ પોતાની સાથે કીંમતી વસ્તુઓ, સામાન કે રોકડ રકમ લાવવાની જરૂર રહેતી જ નથી.

જે દર્દીઓને પોતાનો ભુલાયેલો કિંમતી સામાન પરત મળ્યો તેમાંના કેટલાકના અનુભવો જોઇએ તો સુરેન્દ્રનગર જિલ્લામાં રહેતા અને ફરસાણની દુકાનમાં કામ કરતા દિપકભાઈ શેઠ જણાવે છે કે, મને અને મારા માતૃશ્રીને કોરોના થતા અમે રાજકોટ સિવીલ ખાતે સારવાર લઈ રહ્યા હતા. મારી પરિસ્થિતિ નાજુક થતા મને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યો હતો. આ સમય દરમ્યાન મારો મોબાઈલ ફોન મારા માતુશ્રીને પરિવારના સંપર્ક માટે આપ્યો હતો. તેમજ દાખલ થતી વખતે મારા ખીસ્સામાં ૧૧ હજાર જેટલા રૂપિયા હતા. મારા બનેવી કિશોરભાઈને બોલાવીને તમામ રકમ તથા મોબાઈલ ફોન પરત સોંપેલા.  રાજકોટ સિવીલ ખાતે મળેલી સારવારના કારણે મને નવજીવન મળ્યું છે. એટલું જ નહીં તેમની કર્તવ્ય નિષ્ઠા કાબીલેદાદ છે.ઙ્ગ

આ ઉપરાંત, રહિમભાઈ ઈબ્રાહિમ ભાઈ, અલ્પેશભાઈ ઝાંઝરૂકિયા, પૂરીબેન દેવજીભાઈ, રાજેષભાઈ ચંદ્રવાડીયા, આકાશભાઈ મહેતા સહિત તમામ દર્દીઓના સબંધીઓને તેમનો સરસામાન સહિત મોટી રોકડ રકમ પણ પરત કરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનિય છે કે, રાજકોટ પી.ડી.યુ. સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં કોવિડ -૧૯ હોસ્પિટલની શરૂઆત થઈ ત્યારથી લઈને આજ દિન સુધીમાં કુલ ૭૧ જેટલા વ્યકિતઓના સગા-સબંધીઓને કુલ ૪૯,૦૦૦થી વધુની રોકડ રકમ સહિતની અનેક વસ્તુઓ પરત આપવામાં આવી છે. રાજય સરકારના આવા કર્મનિષ્ઠ કર્મયોગીઓના કારણે જ કોરોનાના કપરા કાળમાં જનઆરોગ્યની કામગીરી સાથોસાથ માનવતાની મહેક જળવાઈ રહી છે. કર્મ એ જ સાચો ધર્મ છે...ના સુત્રને ધ્યાને રાખીને રાજકોટ સિવિલ હોસ્પિટલના સ્ટાફે સંપૂર્ણ પારિવારિક ભાવનાથી માત્ર પોતાની ફરજ જ નહીં પરંતુ દેશસેવાના આ અવસરને સંપૂર્ણ ચરિતાર્થ કર્યો છે.

લોકો શું શું ભુલી જાય છે?

કોવિડમાં દર્દીઓ અને તેના સગા સંબંધીઓ મોટે ભાગે મોબાઈલ ફોન, ચાર્જર, ચશ્મા, ઘડીયાળ, પીળી-સફેદ ધાતુના વિવિધ દાગીનાઓ, દાંતનું ચોકઠુ, કપડાની થેલી આધારકાર્ડ-પાનકાર્ડ સહિતની મહત્વની અને ખુબ જરૂરી ચીજવસ્તુઓ ભુલી જતાં હોય છે. જે તમામને ખાત્રી કરી હેમખેમ હાથોહાથ પરત અપાય છે.

રાજ લક્કડ

માહિતી ખાતુ - રાજકોટ

(2:55 pm IST)