Gujarati News

Gujarati News

News of Thursday, 22nd September 2022

કોંગ્રેસે ખાંડા ખખડાવ્‍યા : ધારાસભા માટે રાજકોટ જિલ્લાની ૮ બેઠકો માટે કાલે સેન્‍સ

નાગર બોર્ડીંગ ખાતે વિપક્ષી નેતા સુખરામ રાઠવા અને સૌરાષ્‍ટ્રના પ્રભારી રામકિશન ઓઝા ચૂંટણી લડવા ઇચ્‍છુકોને સાંભળશે

રાજકોટ તા. ૨૨ : ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને કોંગ્રેસની ક્‍વાયત તેજ થઇ છે. દરેક રાજકીય પક્ષો ચૂંટણી જીતવા પોતપોતાની રીતે જોર લગાવી રહ્યાં છે. ત્‍યારે રાજકોટ જિલ્લાની ૮ બેઠકો માટે આવતીકાલે સેન્‍સ લેવાશે. જે માટે નાગર બોર્ડિંગ ખાતે પ્રદેશ નેતાઓ ઉપસ્‍થિત રહેશે. જિલ્લા અને તાલુકાના આગેવાનો સાથે તેઓ બેઠક કરશે.

રાજકોટ શહેરની ત્રણ બેઠક સિવાય રાજકોટ ગ્રામ્‍ય અને જસદણ, ગોંડલ, ધોરાજી તથા જેતપુર બેઠક માટે આવતી કાલે સેન્‍સ લેવાશે. એટલે કે આ બેઠકો માટે ૬૩ આગેવાનોએ ફોર્મ ભરીને ટિકિટની દાવેદારી કરી છે. આ તમામ દાવેદારોને આગેવાનો કાલે શુક્રવારે સાંભળશે અને તેમની દાવેદારી ક્‍યા દ્રષ્ટિકોણથી યોગ્‍ય છે, કેવી રીતે તે બેઠક જીતી શકાય વગેરે મુદ્દાઓ પર ચર્ચા કરશે.

મહત્‍વનું છે કે, દાવેદારોને ટોળાં સ્‍વરૂપે નહીં પરંતુ તેમને એકલા આવીને જ પોતાની વાત રજૂ કરવા તાકીદ કરવામાં આવી છે. વિધાનસભાની ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ અત્‍યાર સુધીમાં ઉમેદવારોની ત્રણ યાદી જાહેર કરી દીધી છે. ત્‍યારે હવે કોંગ્રેસે પણ ચૂંટણી લડવા ઇચ્‍છુક ઉમેદવારો પાસેથી નામ મંગાવ્‍યા બાદ કોંગ્રેસ હરકતમાં આવી ગઇ છે. ત્‍યારે કાલે તા. ૨૩ને શુક્રવારે રાજકોટ શહેર જિલ્લાની ૮ બેઠકો માટે દાવેદારોને પાર્ટી નિયુક્‍ત આગેવાનો દ્વારા સાંભળવામાં આવશે.

આ અંગે રાજકોટ શહેર કોંગ્રેસના પ્રમુખ પ્રદીપ ત્રિવેદીએ જણાવ્‍યું હતું કે, ‘રાજ્‍યની ૧૮૨ બેઠક માટે રાજયભરમાંથી ૯૦૦થી વધુ નેતા આગેવાનોએ કોંગ્રેસમાંથી ચૂંટણી લડવાની ઇચ્‍છા વ્‍યક્‍ત કરી છે. જેના ભાગરૂપે કોંગ્રેસ હાઇકમાન્‍ડે ઉમેદવાર પસંદગી પ્રક્રિયા શરૂ કરી છે. રાજકોટ શહેર જિલ્લાની ૮ બેઠકો માટે કાલે તા. ૨૩ના રોજ સવારના ૧૦થી ૧૨ દરમિયાન નાગર બોર્ડિંગ ખાતે દાવેદારોને સાંભળવા માટે વિપક્ષી નેતા સુખરામ રાઠવા અને સૌરાષ્ટ્રના પ્રભારી રામકિશન ઓઝા આવી રહ્યાં છે.'

(1:36 pm IST)