Gujarati News

Gujarati News

News of Thursday, 23rd March 2023

આર્થિક ભીંસને કારણે હિમાંશુ ભટ્ટીનો ગળાફાંસો ખાઇ આપઘાત

આરટીઓ પાછળ શ્રીરામ સોસાયટીમાં બનાવઃ પરિવારમાં કલ્‍પાંતઃ પત્‍નિએ દરવાજો ખખડાવતાં ત્રણ વર્ષના પુત્રએ ખોલ્‍યો, પતિ અંદર લટકતા દેખાયા

રાજકોટ તા. ૨૩: શહેરની આરટીઓ કચેરી પાછળ શ્રીરામ સોસાયટીમાં રહેતાં હિમાંશુ દિનેશભાઇ ભટ્ટી (ઉ.વ.૩૨) નામના યુવાને આર્થિક ભીંસથી કંટાળી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્‍યાપી ગઇ છે.

જાણવા મળ્‍યા મુજબ શ્રીરામ સોસાયટીમા મોમાઇ કૃપા-૨ ખાતે રહેતાં હિમાંશુ ભટ્ટી સવારે રૂમના બાથરૂમમાં નહાવા જવાનું કહીને રૂમનો દરવાજો બંધ કરીને અંદર ગયો હતો. પણ મોડે સુધી બહાર ન આવતાં પત્‍નિ ઉષાબેને દરવાજો ખુબ ખખડાવ્‍યો હતો. પરંતુ પતિએ દરવાજો ખોલ્‍યો નહોતો. એ દરમિયાન રૂમમાં ત્રણ વર્ષનો પુત્ર પ્રિયાંશ સુતો હતો તેની ઉંઘ ઉડી જતાં તેણે દરવાજો ખોલ્‍યો હતો. એ સાથે જ પતિને લટકતાં જોતાં ઉષાબેન હતપ્રભ થઇ ગયા હતાં. ૧૦૮ના ઇએમટીએ તેમને મૃત જાહેર કરતાં બી-ડિવીઝન પોલીસે જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્‍ટમોર્ટમ માટે ખસેડયો હતો.

આપઘાત કરનાર હિમાંશુભાઇ બે ભાઇમાં નાનો હતો અને વાળંદ કામ કરતો હતો. સંતાનમાં બે પુત્ર છે. આર્થિક ભીંસ અને લોનના હપ્‍તા ચડી જવાના ટેન્‍શનને કારણે આ પગલુ ભર્યાનું પરિવારજનોએ કહ્યું હતું.

(5:39 pm IST)