Gujarati News

Gujarati News

News of Thursday, 23rd July 2020

મંદિરના બાકડા પર બેઠેલા મોરબી રોડ રાધીકા પાર્કના પટેલ વૃધ્ધ જેઠાભાઇનું સર્પદંશથી મોત

દરરોજ ઘર નજીક ઓવર બ્રીજ પાસેના મંદિરે બેસવા જતા'તાઃ પડધરીના ઉકરડા ગામે અંતિમવિધી : લોકોએ ભોણમાં ગરમ પાણી નાંખી સાપને બહાર કાઢી મારી નાંખ્યો

રાજકોટ તા. ૨૩: ચોમાસાની સિઝનમાં જીવજંતુ, સાપ કરડવાના બનાવો વધી જતાં હોય છે. મોરબી રોડ પર રાધિકા પાર્ક-૨માં રહેતાં જેઠાભાઇ જીવાભાઇ વૈષ્ણવ (લેઉવા પટેલ) (ઉ.વ.૯૩)નું ઘર નજીક ઓવર બ્રીજ પાસે આવેલા મહાદેવના મંદિરે બીજા સિનીયર સિટીઝન સાથે બાંકડા પર બેઠા હતાં ત્યારે સાપ કરડી જતાં મોત નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો છે.

જેઠાભાઇ વૈષ્ણવ લગભગ દરરોજ સાંજે ઘર નજીક આવેલા મહાદેવના મંદિરે બેસવા જતાં હતાં. ગઇકાલે સાંજે પણ બીજા વૃધ્ધો સાથે બાંકડા પર બેઠા હતાં ત્યારે અચાનક સાપ આવ્યો હતો અને જેઠાભાઇને દંશ મારી દીધો હતો. તેઓ બેભાન થઇ જતાં તેમના પરિવારજનોને જાણ કરવામાં આવતાં તાકીદે સિવિલ હોસ્પિટલે ખસેડાયા હતાં. પરંતુ સારવાર દરમિયાન દમ તોડી દેતાં પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી.

હોસ્પિટલ ચોકીના હેડકોન્સ. દેવરાજભાઇ નાટડાએ જાણ કરતાં બી-ડિવીઝનના એએસઆઇ સુધાબેન ડી. પાદરીયાએ જરૂરી કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર જેઠાભાઇને સંતાનમાં છ પુત્રી અને બે પુત્ર છે. તેમની અંતિમવિધી મુળ વતન પડધરીના ઉકરડા ગામે કરવામાં આવી હતી.

દરમિયાન ચર્ચાતી વિગત મુજબ જેઠાભાઇને હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા પછી મંદિરે એકઠા થયેલા પૈકીના કોઇ લોકોએ દંશ મારીને સાપ જે ભોણમાં ગયો હતો તેમાં ગરમ પાણી નાંખી તેને બહાર કાઢ્યો હતો અને બાદમાં મારી નાંખ્યો હતો.

(1:00 pm IST)