Gujarati News

Gujarati News

News of Thursday, 23rd July 2020

ધર્મ એટલે પ્રસન્નતા અને નિર્દોષતા

જેમનું ગુરૂતત્વ પરમતત્વ પ્રતિ લઈ જાય એવા પરમ ઉપકારી ગુરૂદેવ પૂ.નરેન્દ્રમુનિની ૧૦મી પુણ્યતિથિએ ભાવાંજલી અર્પણ : એક કલાકની સાધના એ આપણને બાકીના ૨૩ કલાક કેવી રીતે જીવવું એ શીખવાડી જાય છેઃ મૃત્યુ બાદ વ્યકિત સ્વર્ગમાં જાય એ મહત્વનું નથી પણ તે જયાં જાય ત્યાં સ્વર્ગ જેવું વાતાવરણ ઉભુ થાય એ મહત્વનું

બે ઘડીની (૪૮ મીનીટની) સામાયિકનું મહત્વ શું?

માળા, જપ, પૂજા, પાઠ, સ્વાધ્યાયનું મહત્વ શું?

મારા પરમ પૂજય ગુરૂદેવ નરેન્દ્ર મુનિ કહેતા કે આ એક કલાકની સાધનાએ આપણને બાકીના ૨૩ કલાકમાં કેવી રીતે જીવવું એ શીખવાડી જાય છે. એ એક કલાકની સાધનાની અસર જો બાકીના ત્રેવીશ કલાક સુધી ન રહે તો, એ એક કલાકની સાધનાની કોઇ કિંમત નથી. એ ફકત અજ્ઞાન ક્રિયા છે. આધ્યાત્મિક (ધાર્મિક) જીવન અને વ્યવહારિક જીવન એ બન્નેને જુદા માનવા એ અજ્ઞાનતા છે. બન્નેને જુદા માનવા એ એક દ્વંદ છે, લડાઇ છે અને એ લડાઇ, માનવીને સુખ અને શાંતિ લેવા દેતી નથી.

ગુરૂદેવ હંમેશા કહેતા કે મર્યા પછી માણસ સ્વર્ગમાં જાય એ મહત્વનું નથી, મહત્વનું એ છે કે તે જયાં જાય ત્યાં સ્વર્ગ જેવું, ધર્મમય વાતાવરણ ઊભું થાય.

ગુરૂદેવ કોણ હતા?

તો આ પરમ ગુરૂદેવ નરેન્દ્રમુનિ કોણ હતા? એમના જીવનના સિધ્ધાંતો શું હતા? મારો એમની સાથેનો પરિચય શું હતો? જીવનમાં મહત્વ શેનું છે, ધર્મનું કે ધર્મમય જીવનનું? તે અંગે આ લેખમાં મારા ભાવ, મારી લાગણી વિનમ્રતાથી વ્યકત કરૃં છું.

આજે, મારા પરમ ગુરૂદેવ, ગોંડલ સંઘાણી સંપ્રદાયના નાયક ગાદીપતિ બા.બ્ર.પૂ. નરેન્દ્રમુનિ મહારાજશ્રીને દેહ છોડયાને, દેવલોક પ્રયાણ કર્યાને દશ વર્ષ પુરા થવાના છે (જુલાઇ ૨૪, ૨૦૧૦) ત્યારે આ ઉપકારી ગુરૂ માટે હું મારા ભાવ વ્યકત કરવા માંગુ છું, એમના ચારિત્રની મારી સમજણ મુજબ થોડીક ઝલક આપવા માંગુ છું, એમના સિધ્ધાંતો તથા સાધનાની થોડીક વાતો કરવા માંગુ છું અને એ ગુરૂતવ આપણા જીવનને પરમતવ તરફ કેવી રીતે લઇ જાય એવો નાનો પ્રયાસ કરવા માંગુ છું.

ગુરૂદેવ નરેન્દ્રમુનિ ગોંડલ સંપ્રદાયના પંડિતરત્ન પૂ.બેચરજી સ્વામીની પરંપરાના સુશિષ્ય હતા. આ પૂ. બેચરજી સ્વામી એટલે એ જ કે જેમણે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને વિલાયત ભણવા જતાં પહેલાં માંસ, મદિરા અને સ્ત્રીસંગથી દુર રહેવાની ત્રણ પ્રતિજ્ઞા આપેલ. ગુરૂદેવ નરેન્દ્રમુનિ શ્રીમદ્ રાજચંદ્રના સંસાર પક્ષે માસિયાઇ ભાઇ હતા.

આજીવન ઉત્કૃષ્ટ ચારિત્રમાં રહીને આત્મા સાધનામાં કયારેય પણ એમણે શરીરની અનુકૂળતાનો મોહ રાખ્યો નહોતો.

ગુરૂદેવ નરેન્દ્રમુનિએ આજથી ૪૬ વર્ષ પૂર્વે (ત્યારે મારી ઉંમર ૧૬ વર્ષની હતી) મારી આંગળી પકડી મને આ જીવનમાં ચાલતા શીખવાડયું. અમારો સંબંધ લગભગ ૩૬ વર્ષ રહયો અને ત્યારબાદ મને પૂ. મા સ્વામી જય–વિજયાજીને સોંપતા ગયા.

ગુરૂત્વની ઝલક

ગુરૂ ઉપર સંપૂર્ણપણે નિર્ભર રહેનાર એવા મારા વ્યકિતત્વમાંથી જયારે મા–સ્વામીએ વિદાય લીધી (ડિસેમ્બર ૧૫, ૨૦૧૭) ત્યારે ગુરૂ અને ગુરૂત્વની એક ઝલકની અનુભુતિ મારા જીવનમાં આવી. આજે આ દેવ–ગુરૂ–ધર્મની થોડીક વાતો મારા ગુરૂદેવની દશમી પુણ્યતિથિએ ભાવભરી ભાવાંજલિ રૂપે કરવી છે.

''તું તારા ભાવમાં રહે, એને એના ભાવમાં રહેવા દે,

એને કારણે તું, તારા ભાવ ન બગાડ''

આવું ધ્યેયલક્ષી, અર્થસભર અને પ્રેરણાભયું અંતિમ સૂત્ર આપનારએ ગુરૂભગવંત સાથે ગાળેલ સમય દરમ્યાન મળેલ, સમજેલ અનુભવ–અનુભૂતિને મારા શબ્દોમાં મૂકવાની કોશિશ કરૃં છું.

૧.જીવન જીવવાની કળાઃ ધર્મ એટલે જીવન જીવવાની કળા. હરસમય, હરપળ સુખ, શાંતિ અને આનંદમય જીવવું એ જ સ્વર્ગ છે. એ જ મોક્ષ છે. ધર્મનું મહત્વ નથી, ધર્મમય જીવનનું મહત્વ છે. ધર્મ ગોખીને કરી શકાય, ધર્મ ક્રિયાથી કરી શકાય પરંતુ ધર્મમય જીવન આ ધર્મનાં આદર્શાેને જીવનમાં ઉતારીને જ કરી શકાય. મોક્ષમાર્ગ કોઇ પરલૌકિક નથી, પરંતુ વર્તમાન જીવનમાં જેટલી શાંતિ, જેટલો આનંદ અને જેટલું ચૈતન્ય સ્ફુરિત થાય છે એ જ મોક્ષ છે. જીવનની સહજતા એ મોક્ષ છે. ઇન્દ્રિયો અને મનનું વશીકરણ એ મોક્ષ છે.

૨.ધર્મનું અંતિમ ચરણઃ ધર્મ એટલે પાપ અને પુણ્ય નથી. પાપ એ ડરાવવાનું પગથિયું છે અને પુણ્યએ પ્રલોભનનું. નરકનું દુઃખ અને સ્વર્ગનું સુખ, દુર્ગતિનો ભય અને સદ્ગતિની લાલચ, આ બધું શરૂઆતમાં જરૂરી છે. પરંતુ ધમનું અંતિમ ચરણ એટલે ડર અને પ્રલોભન વગરનું જીવન. જયાં ડર અને લોભ હોય, ત્યાં સુખ, આનંદ અને શાંતિ ન હોય. ધર્મ એટલે ચિત્તની પ્રસન્નતા, નિર્ભયતા અને નિર્દોષતા.

૩. દાન–તપ–શીલઃ દાન–તપ–શીલ એ આપણા જીવનમાં ભાવ પરિવર્તીત કરે છે. પૈસા, પદાર્થ અને અંતે શરીરનો / દેહનો મોહ ઓછો કરી, અંતે તેને નષ્ટ કરે છે. અને અંતે એ ત્યાગના ત્યાગનો અહંકાર પણ દુર કરે છે. શરૂઆતમાં સાધના કરવી પડે, સ્વભાવ પરિવર્તન કરવો પડે, પરંતુ પછી એ સહજ સ્વભાવ બની જાય.

૪.જ્ઞાનની સાચી સમજણઃ સમ્યકજ્ઞાન એટલે સાચી સમજણ જે પોતાના અનુભવે અનુભૂતિ મારફતે નાભિ દ્વારા ઉદ્ભવે છે. પોતાનું જાતે અનુભવેલું જ્ઞાન હોવાથી, આપણી શ્રધ્ઘા એમાં પૂર્ણપણે હોય છે. આ છે સમ્યકદર્શન. અને આને આચરણમાં જાગૃતપણે / સજાગપણે લાવવું એટલે સમ્યકચારિત્ર. આ પ્રમાણે જીવન જીવવાથી આપણા ભાવ પરિવર્તીત થવા લાગે છે. આપણુ ં જીવન સંપૂર્ણપણે સમ્યકભાવમય બની જાય છે. શુધ્ધતા, નિર્મળતા આપણો સ્વભાવ બની જાય છે.

૫.ધર્મ–દર્શનનો સારઃ ધર્મનું અંતિમચરણ એટલે જ્ઞાતાભાવ, દ્રષ્ટાભાવ, સહજભાવ, સમતાભાવ, સમભાવ, ગમા–અણગમાનો અભાવ, પ્રિય–અપ્રિયભાવની સમાપ્તિ, સાક્ષીભાવ વગેરે વગેરે. ધર્મનું અંતિમચરણ એટલે પરિસ્થિતિનો સ્વીકારભાવ. ધર્મનું અંતિમચરણ એટલે રાગ–દ્વેષ રહિત. ધર્મનુંઅંતિમચરણ એટલેના અહં,ના મમ. સમગ્ર ધર્મ અને દર્શનનો સાર આ સુત્રમાં આવી જાય છે.

૬.સમાધિ જીવન : પુનર્જન્મ છે કે નહીં એ આપણે જાણતા નથી. દેવલોક, સ્વર્ગ, નર્ક અને મોક્ષ જોઇને કોઇ પાછું આવેલ નથી. પરંતુ સ્વભાવ શુધ્ધિ, અંતરની ઉદારતા, હૃદયની વિશાળતા અને શુધ્ધ ચારિત્ર એ આજે અને અત્યારે જ દેવલોક, સ્વર્ગ અને મોક્ષનું સુખ આપી શકે એમ છે. આપણી પોતાની સુખ–શાંતિની અનુભૂતિ એ જ એની સત્યતાનું પ્રમાણ છે. ગુરૂદેવ કહેતા સમાધિ મૃત્યુ નહીં, સમાધિ જીવન જીવતા શીખ. સમાધિમય જીવનની પ્રેરણા અને સમજ આપનાર ગુરૂદેવે સમાધિમય જીવન જીવીને, સહજતાથી પ્રભુધ્યાનમાં હાથમાં માળા સાથે પ્રતિક્રમણમાં સ્વેચ્છાએ દેહ ત્યાગ કરી દીઘો હતો.

૭. અંતરાત્માનો અવાજઃ  આ દુનિયામાં અંતરાત્માનો અવાજ અને દ્રષ્ટિનો ઉઘાડ જે ક્રોઘને કરૂણામાં, માનને નમ્રતામાં માયાને ઋજુતામાં અને લોભને ઉદારતામાં ફેરવી નાખે છે, તે જ સાચું જીવન છે, તે જ સાચો ધર્મ છે, તે જ સાચી માનવતા છે.

ગુરૂદેવ હંમેશા કહેતા આ સમગ્ર બ્રહ્માંડમાં કોઇપણ જીવને, પ્રાણીને તું તારા જેવો બન એમ કહેવું નથી પડતું. આપણે વાંદરાને ,તું વાંદરો બન એમ કહેતા નથી. તે તેના મુળ સ્વભાવમાં જ રહે છે. એક મનુષ્ય જ એવું પ્રાણી છે જેને કહેવું પડે છે કે ''હે મનુષ્ય, તું માનવ બન''.

આવું ધર્મમય જીવન જીવનાર અને આવા ધર્મમય જીવનની સમજ અને પ્રેરણા આપનાર મારા ગુરૂદેવ પ.પૂ.શ્રી નરેન્દ્રમુનિને એમની દશમી પુણ્યતિથિએ ભાવભરી ભાવાંજલિ આપી, લાખ લાખ વંદન કરી એમના બતાવેલ માર્ગ પર ચાલીએ એ જ અભ્યર્થના.

ધર્મમય જીવન અને પરોપકાર માટે જીવવાની સમજ અને પ્રેરણા આપનાર પરમ ઉપકારી ગુરૂદેવ

આલેખનઃ શ્રી અજયભાઈ શેઠ

(3:45 pm IST)