Gujarati News

Gujarati News

News of Saturday, 23rd July 2022

ઢેબર કોલોની કવાર્ટરમાં માનસીક બિમારીથી કંટાળી પ્રદિપભાઇ ચૌહાણનો આપઘાત

પરિવારજનો ઘરે આવતા યુવાનને લટકતી હાલતમાં જોઇ દેકારો મચાવ્યો

રાજકોટ તા. ૨૩ : ઢેબર કોલોની કવાર્ટરમાં રહેતા યુવાને માનસીક બીમારીથી કંટાળી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.

મળતી વિગત મુજબ ઢેબર કોલોની કવાર્ટરમાં રહેતા પ્રદિપભાઇ રમણીકભાઇ ચૌહાણ (ઉ.૪૬) એ પોતાના ઘરે છતના હુકમાં ચુંદડી બાંધી ગળાફાંસો ખાઇ લીધો હતો. પરિવારજનો ઘરે આવ્યા ત્યારે પ્રદિપભાઇને લટકતી હાલતમાં જોઇ દેકારો મચાવતા પરિવારજનો એકઠા થઇ ગયા હતા. બાદ કોઇએ ૧૦૮માં જાણ કરતા ૧૦૮ની ટીમે સ્થળ પર પહોંચી તપાસ કરતા યુવાનનું મૃત્યુ નિપજ્યું હોવાનું જણાતા પોલીસને જાણ કરવામાં આવી હતી. જાણ થતા ભકિતનગર પોલીસ મથકના હેડ કોન્સ. પ્રશાંતસિંહ સહિતે તપાસ હાથ ધરી હતી. મૃતક પ્રદિપભાઇ અપરણીત હતા. તે છેલ્લા એક વર્ષથી માનસીક બીમારીથી પીડાતા હોઇ તેથી કંટાળી તેણે આ પગલુ ભર્યુ હોવાનું જાણવા મળ્યું છે.

(3:12 pm IST)