Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd November 2021

પૂ. રાષ્ટ્રસંત નમ્રમુનિ મ.સા.ના સાનિધ્યે ગુરૂવારે નિધીબેન શાહની દીક્ષા આજ્ઞા અર્પણ વિધી

રાજકોટની દિકરીનું પ્રભુ પંથે પ્રયાણ

રાજકોટ : સંસારની વાસ્તવિકતા સમજાવીને અનેક આત્માઓને સત્યનો માર્ગ દર્શાવનારા ગોંડલ સંપ્રદાયના રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના ચરણ - શરણમાં એક આત્મા પ્રભુ પંથે પ્રયાણ કરવા તત્પર બન્યો છે ત્યારે તેમની દીક્ષા આજ્ઞા અર્પણ વિધિનો મંગલ અવસર ગુરુ પુષ્ય નક્ષત્રના શુભ યોગમાં તા.૨૫ ના દિને પરમધામ સાધના સંકુલના પાવન પ્રાંગણે આયોજિત કરવામાં આવ્યો છે.

સમગ્ર સંસારનો ત્યાગ કરવા તત્પર બનેલા રાજકોટ નિવાસી  નિધીબેન નિતીનભાઈ શાહની દીક્ષા આજ્ઞા અર્પણ વિધિના અવસરે તેમના માતા-પિતા રાષ્ટ્રસંત પરમ ગુરુદેવના ચરણ - શરણમાં માંગલિક વિધિ - વિધાન સાથે ૪૯ સંત- સતીજીઓના પાવન સાંનિધ્ય સહ ચતુર્વિધ સંઘ સમક્ષ વ્હાલસોયી દીકરી નિધિબેનની દીક્ષા અનુજ્ઞા પત્રની અર્પણતા કરશે.

ઉલ્લેખનીય છે કે, આગામી તા.૨૦/૦૨/૨૦૨૨ના મંગલ મુહૂર્તે પરમધામ સાધના સંકુલના પાવન પ્રાંગણે પરમ ગુરુદેવના શ્રીમુખેથી કોલકાત્તાના મુમુક્ષુ  હેતાલીબેન હિમાંશુભાઈ દોશીનો ગોંડલ સંપ્રદાયના અધ્યાત્મયોગીની પૂજ્ય શ્રી લલિતાબાઈ મહાસતીજીના સુશિષ્યા ગુરુણિમૈયા ડો. પૂજ્ય  તરુલતાબાઈ મહાસતીજીની નિશ્રામાં શ્રી ભાગવતી જૈન દીક્ષા મહોત્સવ યોજાઈ રહ્યો છે ત્યારે મુમુક્ષુ શ્રી નીધીબેનની દીક્ષા આજ્ઞા અર્પણ વિધિનો અવસર યોજાતા ૨ આત્માઓ સંયમ પંથે મંગલ પ્રયાણ કરશે.

મુમુક્ષુ નિધીબેનની દીક્ષા આજ્ઞા અર્પણવિધિના આ અવસરે પરમધામમાં ઉપસ્થિત રહીને તેમજ લાઈવના માધ્યમે અનેક ક્ષેત્રમાં બિરાજિત પૂજ્ય સંત - સતીજીઓ તેમજ દેશ-વિદેશના હજારો ભાવિકો અનુમોદનાના ભાવો સાથે જોડાઈ જવા આતુર બની રહ્યાં છે.

(1:01 pm IST)