Gujarati News

Gujarati News

News of Wednesday, 24th April 2024

વસ્‍તુઓનો ત્‍યાગ માત્ર નહીં પણ લાગણીનો પરિત્‍યાગ તે સંયમ માર્ગ : પૂ. નમ્રમુનિ મ.સા.

મહાતપોત્‍સવ-દીક્ષામહોત્‍સવનો મંગલ પ્રારંભ

રાજકોટ,તા. ૨૪: ગુરુ ગૌતમ અને પ્રભુ મહાવીરની સેંકડો વર્ષ પહેલાંની ક્ષણો જેમ ઇતિહાસ બની ગઈ એમ સ્‍થાનકવાસી જૈન સમાજના સેંકડો વર્ષમાં એક સુદીર્ઘ ઇતિહાસ બની જનારા મહાતપોત્‍સવ અને દીક્ષા મહોત્‍સવ નું શ્રી વિલે -પાર્લે વર્ધમાન સ્‍થાનકવાસી જૈન શ્રાવક સંઘના ઉપક્રમે કરવામાં આવેલા પાંચ દિવસીય આયોજનનો મંગલમય પ્રારંભ રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના સાંનિધ્‍યે વિલેપાર્લે સ્‍થિત રિતંભરા વિશ્વ વિદ્યાલયના ગ્રાઉંડ ખાતે કરવામાં આવ્‍યો હતો.

આ મંગલ શુભારંભ અવસરે પરમ ગુરુદેવના બ્રહ્મનાદે મહાપ્રભાવક શ્રી ઉવસગ્‍ગહર સ્‍તોત્રના ગુંજારવ સાથે આ મહોત્‍સવનો શંખનાદ કરવામાં આવ્‍યો હતો. કોઈના કહેવા માત્રથી નહીં પરંતુ હૈયાના, અંતરના અવાજ સાથે થતી હોય છે તપશ્ચર્યા અને લેવાતી હોય છે દીક્ષા! ત્‍યારે દીક્ષા તે માત્ર વસ્‍તુઓનો ત્‍યાગ નથી હોતો પરંતુ મોહ, લાગણી કે સંવેદનાનો પરિત્‍યાગ તે દીક્ષાનું જીવન હોય છે. જેમના ખોળામાં રમ્‍યા હોઈએ, જેમની છત્રછાયામાં ઉછર્યા હોઈએ એવા માતા-પિતાની સામે પણ જિંદગીભર ન જોવાની પ્રતિજ્ઞા તે સંયમ હોય છે. જે દિવસે દિલમાં લાગણીઓ પર વિજય પમાય છે તે દિવસે ભાલ પર સંયમનો વિજય તિલક લાગતો હોય છે. જે મોહ છોડી શકે તે પ્રભુના માર્ગ પર આવી શકે છે. માત્ર મારો આત્‍મા કાન્‍ત તેવા એકાંતનું જીવન તે સંયમ જીવન હોય છે. કોઈનો સાથ કાયમ નથી અને જે કાયમ નથી તે કદી મારું ન હોય, કોઈપણ સાથ શાશ્વત નથી તેવા આ સંસારની વાસ્‍તવિકતાને સમજીને બધું જ છૂટી જાય તે સંયમ હોય છે.

આ અવસરે પિંજરના અદભુત પ્રયોગ દ્વારા ઉપસ્‍થિત ભાવિકોને સત્‍યની પ્રતિતી કરી હતી.

આ અવસરે મુંબઈભરના ૫૦થી વધુ મહિલા મંડળના બહેનો દ્વારા નોન સ્‍ટોપ ગીતોની સાંજી સ્‍તવના કરીને મહાતપસ્‍વી મહાસતીજીની ભક્‍તિભીની અનુમોદના કરવામાં આવી હતી. એ સાથે જ, સર્વ દ્વારા લીલા વસ્ત્ર પર કંકુ વર્ણ  સ્‍વસ્‍તિક વિધિનું માંગલ્‍ય કરીને દીક્ષા મહોત્‍સવના શુકનવંતા વધામણા કરાયેલ.

તપ ધર્મ અને સંયમ ધર્મની અનુમોદના  સ્‍વરૂપ આ મહોત્‍સવના આવતીકાલ તા.૨૫ દ્વિતીય દિવસમાં મહાતપસ્‍વીને ગુરુ ભગવંતના શ્રી મુખેથી ૧૦૦૮મી આયંબિલ તપના પ્રત્‍યાખ્‍યાનની ક્ષણોના સાક્ષીદાર બનવા આ અવસરે પધારી ધન્‍ય બનવા દરેક ધર્મપ્રેમી ભાવિકોને શ્રી સંઘ તરફથી ભાવભીનું આમંત્રણ આપવામાં આવ્‍યું છે

(4:14 pm IST)