Gujarati News

Gujarati News

News of Friday, 25th June 2021

ઠેબચડાના ગરાસીયા પ્રોૈઢની હત્યાના ગુનામાં આરોપીના હાઇકોર્ટમાં જામીન મંજુર

રાજકોટ, તા. રપ : રાજકોટ તાલુકાના ઠેબચડા ગામે જમીનના વિવાદમાં ગરાસીયા ખેડૂતો પર કરાયેલ હુમલામાં  ઘવાયેલા ગરાસીયા પ્રૌઢની હત્યાના ગુનામાં આરોપીની સેશન્સ કોર્ટમાં જામીન અરજી નામંજૂર થતા જેની  સામે ગુજરાત હાઈકોર્ટમાં રેગ્યુલર જામીન અરજી મંજુર થયેલ છે.   

વધુ વિગત મુજબ શહેરના ભાવનગર રોડ પર આવેલા ઠેબચડા ગામે તારીખ ૩૦. ના રોજ રક્ષણ  માટે મુકાયેલી પોલીસની હાજરીમાં ખેડૂતની પોતાની જ વાડીમાં કોળી જૂથ દ્વારા તીક્ષ્ણ હથિયાર વડે  કરવામાં આવેલ હુમલામાં લગધિરસિંહ નવુભા જાડેજા નામના ૫૭ વર્ષના ગરાસિયા પ્રૌઢની હત્યા થઈ હતી.  જયારે અન્ય બે વ્યકિત ઘવાતા સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.   

આ બનાવમાં આજીડેમ પોલીસ મથકના સ્ટાફે હરેન્દ્રસિંહ જાડેજાની ફરિયાદના આધારે મગન. બીજલ  રાઠોડ, મહેશ છગન રાઠોડ, ખોડા છગન રાઠોડ, સંજય મગન રાઠોડ, લક્ષ્મણ લાલજી રાઠોડ, લાભુબેન  છગનભાઇ રાઠોડ, દેવુબેન મગનભાઈ રાઠોડ, દક્ષાબેન લક્ષ્મણભાઈ રાઠોડ, કાંતાબેન રમેશભાઈ રાઠોડ,  કલ્પેશ ભીખુભાઈ સોલંકી, સંજય ભીખુ સોલંકી, નાથા જેરામ, ખીમજી નાથાભાઈ, ભુપત નાથાભાઈ, રોનક  નાથાભાઈ, પોપટ વશરામભાઈ, કેસુભાઈ વશરામભાઈ, ચનાભાઈ વશરામભાઈ, શામજી બચુભાઈ,  અક્ષિતભાઈ છાયા સામે આઇપીસી કલમ ૩૦૨, ૩૨૪, ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૧૨૦ (૪) વિગેરે મુજબ હત્યાનો ગુનો  નોંધીને ઉપરોકત શખ્સોની ધરપકડ કરી હતી.        

ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે હરેન્દ્રસિંહ સહિતના ખેડૂતની પોતાની જમીનનો કેસ સુપ્રીમ કોર્ટમાં જીતી ગયેલા તે જમીનમાં નહીં જવા દેતા પોલીસને જાણ કરતાં પોલીસે આરોપીઓને સમજાવેલા છતાં નહીં  સમજતા વાતાવરણ તંગ જણાતા પોલીસે વધારાનો સ્ટાફ બોલાવેલ અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને  તેવા પ્રયત્ન કરતા ત્યારે કોળી જૂથ દ્વારા પોલીસની હાજરીમાં બનાવ બનેલ હતો. ત્યાંર બાદ ઉપરોકત  આરોપીઓની ધરપકડ કરેલ હતી અને આરોપીને નામદાર કોર્ટે જેલ હવાલે કરેલ હતા. જેમાં પોલીસ તપાસ  પૂર્ણ થતાં પોલીસ દ્વારા આરોપી સામે ચાર્જશીટ દાખલ કરેલ. જે પૈકી આરોપી લક્ષ્મણભાઈ લાલજીભાઈ  રાઠોડે નામદાર સેશન્સ કોર્ટમાં રેગ્યુલર જામીન ઉપર છૂટવા માટે જામીન અરજી કસ્તાં રાજકોટની નામદારઃ  સેશન્સ કોર્ટે તે અરજી નામંજુર કરેલ.   

જેથી આરોપીએ તેમના રાજકોટમાં જામીન અરજી કરેલ જે રદ થતા ગુજરાત હાઇકોર્ટમાં એડવોકેટ કર્ણ એચ. ઢોમસે દ્વારા રેગ્યુલર જામીન અરજી  દાખલ કરેલ. જે રેગ્યુલર જામીન અરજી ચાલવામાં આવતા સરકાર પક્ષે સખત વાંધાઓ લેવામાં આવેલ હતા અને જામીન અરજી રદ્દ કરવા વિનંતી કરેલ હતી, જે અરજીના કામે આરોપી તરફે તેમના એકવોકેટ  દ્વારા કાયદા વિષયક વિસ્તાર પૂર્વકની દલીલો તથા વિવિધ હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ ટાંકીને  ધારદાર દલીલ કરતાં, ગુજરાત હાઈકોર્ટે તે દલીલો  માન્ય રાખીને આરોપીને રેગ્યુલર જામીન  ઉપર છોડવાનો હુકમ ફરમાવેલ છે.   

આ કામે આરોપી લક્ષ્મણભાઈ લાલજીભાઈ રાઠોડ તરફે નામદાર ગુજરાત હાઇકોર્ટમાં એડવોકેટ  તરીકે કર્ણ એચ. ઢોમસે તથા રાજકોટ ખાતે યુવા એડવોકેટ કલ્પેશ એલ. સાકરીયા, રાહુલ બી.મકવાણા રોકાયેલ હતા.

(3:25 pm IST)