Gujarati News

Gujarati News

News of Wednesday, 29th July 2020

ભગવતીપરામાં મહિલાનું ભેદી મોતઃ ગળાટૂંપાના નિશાન

કલાકોથી ગાયબ પતિ અચાનક બપોરે સાડા ત્રણે પ્રગટ થયો અને 'મેરી બીવી કો કિસને માર ડાલા?' કહી પોક મુકીઃ બી-ડિવીઝન પોલીસે તપાસ આરંભીઃ ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ બાદ પોલીસ કાર્યવાહી આગળ વધશેઃ પતિ અને ભાઇની પુછતાછઃ મૃતક મુળ ગ્વાલિયરની વતની

રાજકોટ તા. ૨૮: શહેરના ભગવતીપરા મેઇન રોડ પર નંદનવન સોસાયટી-૩માં રહેતી મુળ મધ્યપ્રદેશના ગ્વાલિયરની મહિલા શારદાદેવી બલરામસિંગ ભદોરીયા (ઉ.વ.૩૫)ની તેના જ ઘરમાંથી લાશ મળી આવતાં લોકોના ટોળા ભેગા થયા છે. ગળા પર ટૂંપો અપાયો હોય તેવા નિશાન છે. જો કે મહિલાએ જાતે ગળાફાંસો ખાધો કે પછી કોઇએ તેની હત્યા કરી? તે હજુ સ્પષ્ટ થયું નથી. બી-ડિવીઝન પીઆઇ એમ. બી. ઓૈસુરા, પીએસઆઇ ડામોર, વિરમભાઇ ધગલ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે અને તપાસ શરૂ કરી છે.

આસપાસના લોકોમાં થતી ચર્ચા મુજબ મૃત્યુ પામનાર મહિલાની ઓરડીનો દરવાજો સવારથી ખુલ્લો હતો. તેનો પતિ હાજર નહોતો. લોકોએ તપાસ કરતાં મહિલા શારદાદેવીની લાશ જોવા મળતાં પોલીસને જાણ કરાઇ હતી. દરમિયાન પોલીસ આવતાં જ તેણીનો પતિ અચાનક આવી ગયો હતો અને મેરી બીવી કો કિસને માર ડાલા? તેવું બોલી રડવા માંડ્યો હતો. તેણીનો ભાઇ પણ ત્યાં પહોંચ્યો હોઇ પોલીસે બંનેની પુછતાછ શરૂ કરી છે.

મૃતક શારદાદેવીનો પતિ બલરામસિંગ ભદોરીયા છુટક મજૂરી કરે છે. મહિલાનું મોત રાત્રીના જ થયાની શકયતા મૃતદેહ જોતા જણાઇ રહી છે. જો કે મોતનું ચોક્કસ કારણ જાણવા તથા મોત કયારે થયું તે સમય જાણવા સહિતના મુદ્દે ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ બાદ વિગતો સામે આવે તેમ હોઇ મૃતદેહને પંચનામા બાદ સિવિલ હોસ્પિટલે ખસેડવા પ્રબંધ કરવામાં આવી રહ્યો છે. બનાવ હત્યાનો છે કે આત્મહત્યાનો તે સ્પષ્ટ થયું નથી. બનાવ સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતાં. હત્યા થયાની લોકોમાં સતત ચર્ચા થઇ રહી છે.

(4:02 pm IST)